ભાજપની રાજકીય લેબોરેટરી મનાતી મહેસાણા લોકસભાની બેઠક પર ભાજપ પોતાના ઉમેદવાર શોધી શકી નથી ત્યારે કોંગ્રેસ દ્વારા મોડી રાત્રે મહેસાણા લોકસભાના ઉમેદવાર તરીકે એ. જે. પટેલની જાહેરાત કરી છે. જાહેરાત બાદ મોડી રાત્રે એ. જે. પટેલના ઘરે કોંગ્રેસના કાર્યકતાઓનો ઘસારો જોવા મળ્યો હતો. તો તેમના ઘર આગળ ફટાકડા ફોડી કાર્યકતાઓએ પોતાની ખુશી વ્યક્ત કરી હતી. એ.જે.પટેલ કાર્યકર્તાઓ સાથે બહુચરાજી તેમજ દેલવાડા દર્શન કરી ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
એ.જે.પટેલ એક સામાજિક આગેવાન છે. 1999ની સાલમાં પાટણ જિલ્લા પંચાયતમાં પ્રમુખ હતા. 25 વર્ષ સુધી ગુજરાત સરકારના પ્રથમ વર્ગના અધિકારી તરીકે ઉદ્યોગ વિભાગમાં હતા. તેઓ જોઈન્ટ કમિશ્નર ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઓફ ગુજરાત તરીકે નિવૃત્ત થયા છે. ગુજરાત સરકારના કંટ્રોલર ઓફ લેગલ મેટ્રોલોજી (Wtgs & Mgs) વિભાગમાં પણ તેઓ હેડ તરીકે ફરજ આપી ચુક્યા છે.
એ. જે.એ બીઇ મિકેનિકલ એન્જીનિયરનો અભ્યાસ કર્યો છે. એ.જે. પટેલનું વતન ચાણસ્મા તાલુકાનું ચાવેલી ગામ છે. સમસ્ત 84 કડવા પાટીદાર સમાજના પૂર્વ પ્રમુખ પણ છે. હાલ તેઓ મહેસાણાના રાધનપુર રોડ ખાતે આવેલા તુલસી બંગ્લોઝમાં રહે છે. આ ઉપરાંત તેઓ મહેસાણા અને પાટણના સમસ્ત ચૌધરી કડવા પાટીદાર સમાજના પ્રમુખ રહી ચુક્યા છે. તેઓ ગુજરાત અંબુજા કો-ઓપરેટિવ બેંક લિમિટેડના સ્થાપક તેમજ અધ્યક્ષ છે. ઉપરાંત પટેલ મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંકના અધ્યક્ષ પદે છે. અખીલ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ મેનેજમેન્ટ મહા મંડળના તેઓ ચેરમેન છે. ગુજરાત ગર્વનમેન્ટ પેન્સનર મંડળ, પાટણના તેઓ અધ્યક્ષ છે. આ ઉપરાંત શ્રી સિકોતેર માતાજી (ગંગવા કુવા) સેવા ટ્રસ્ટ દેલવાડા ધરમપુરના તેઓ પ્રમુખ છે. વેપાર ક્ષેત્ર, બેન્કિંગ ક્ષેત્ર, શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા છે.
એ.જે. પટેલ પોતે 2 લાખથી વધુ મતથી જીતશે એવી જાહેરાત કરી છે. તેમનું નામ નક્કી જ હતું પણ બીજેપી અવઢવમાં છે કે કોને મેદાને ઉતારવા. એના લીધે ભાજપ હજુ સુધી ઉમેદવાર નક્કી કરી શક્યા નથી. ભાજપ હજુ સુધી ઉમેદવાર જાહેર કરી શકી નથી તેનો મતલબ એવો સ્પષ્ટ છે કે કોંગ્રેસ સબળ છે.
પાટીદારમાં પ્રભુત્વ ધરાવતા કોંગ્રેસે તેમને ટિકિટ ફાળવી છે.
એ.જે.પટેલ માને છે કે, ગુજરાત રાજયમાં ONGCના તેલના કુવા મહેસાણા જીલ્લામાં સારી એવી સંખ્યામાં આવેલા છે. જેમાં ONGCએ જોઈએ તેટલુ સંશોધન કર્યું નથી. ONGCના કુવામાં ખેડૂતોની જમીન ગઈ છે, તે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. ખેડૂતોને પુરૂ વળતર પણ આપવામાં આવ્યુ નથી. તેમના પરિવારના લોકોને રોજગારી મળી નથી. તેમને રોજગારી મળે તે માટે મારા પ્રયત્નો રહેશે. શિક્ષિત માણસ તરીકે મને વહીવટી અનુભવ છે. આથી પ્રજાની અપેક્ષા પૂરી કરવાની મારી ઈચ્છા છે. દેશની પ્રગતિ તેમજ વિદેશ નીતિ જેવી બાબતે મારા વહીવટી જ્ઞાનનો ઉપયોગ કરીને રાહુલ ગાંધીની ટીમને મદદ કરીશ. 2014ની ચૂંટણીમાં ગુજરાતનો કંઈ ઉદ્ધાર થશે તેવું માનીને પ્રજાએ નરેન્દ્ર મોદીને વોટ આપ્યા હતા પરંતુ 5 વર્ષમાં બધાનો અનુભવ કડવો રહ્યો છે. અમે લોકોને તેમણે આપેલા વચનો અને તેમાંથી કેટલા પૂરા થયા તે વાત યાદ અપાવીશું. સામા પક્ષે રાહુલ ગાંધીના વડપણમાં જે રાજ્યમાં ચૂંટણી યોજાઈ હતી ત્યાં કેવા વચનો અપાયા હતા અને કેટલા પૂરા થયા તે પણ પ્રજાને જણાવીશું. અને લોકો સમક્ષ વાસ્તવિક્તા મૂકીશું.
બનાસકાંઠા લોકસભા બેઠક માટે પાલનપુરના કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું તેમની સાથે પાલનપુર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અમ્રુતલાલ જોશીએ પણ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જોકે હાલ સુધી સત્તાવાર ઉમેદવારની જાહેરાત થઈ નથી. પરંતુ આ બે અગ્રણીઑએ ફોર્મ ભરતા તર્ક વિતર્ક વહેતા થયા છે.