માથાસુરમાં મકાન ધરાશાયી થતાં અને વિસતપુરામાં ઘરનું છજુ પડતાં બે વૃદ્ધાનાં મોત

કડી, તા.૦૧

કડીના માથાસુરમાં દેવીપૂજક વાસમાં એકલવાયું જીવન જીવતા દેવીપૂજક લીલાબેન ધૂળાભાઈ (55) રવિવારે સાંજે ઘરમાં હતા. તે દરમિયાન તેમના કાચા મકાનની પાછળની દીવાલ વરસાદના કારણે ધસી પડતાં લીલાબેન મકાનના કાટમાળમાં દટાઈ ગયા હતા. આસપાસના લોકોએ મહામહેનતે બહાર કાઢી સારવાર માટે લઈ જાય તે પહેલાં તેમનું મોત નીપજ્યું હતું. માથાસુર તલાટી અમીત બોરીચાએ બનાવને પગલે 108માં ફોન કરવા છતાં આવી જ નહીં. ખાનગી વાહનની શોધખોળમાં ઇજાગ્રસ્ત મહિલાનુ મોત નીપજ્યું હતું. તેમજ સોમવારે સાંજે તાલુકાના વિસતપુરા ગામની બે વૃદ્ધ મહિલાઓ ગોદાવરીબેન અને મરઘાબેન તેમના ઘર આગળ બેઠા હતા. તે દરમિયાન દરવાજા ઉપરનું છજુ તૂટીને બંને મહિલા ઉપર પડતાં સારવાર માટે કડી ખસેડાયા હતા. જ્યારે મરઘાબેનને વધુ સારવાર માટે મહેસાણા ખસેડાયા હોવાનું ટીડીઓએ જણાવ્યું હતું. તેમજ નાડોલીયામાં પણ એક રહેણાંક મકાનની દીવાલ ધસી પડી હતી.