માલણ દરવાજા નજીક સાંકડા માર્ગને લીધે એસટી બસ ડિવાઈડર પર ચઢી ગઈ

પાલનપુર, તા.૦૨

પાલનપુરના માલણ દરવાજા નજીક મંગળવારે માંડવીથી અંબાજી જતી એસટી બસના ડ્રાઇવરને ડિવાઇડર ન દેખાતા બસ ડિવાઇડર પર ચડી ગઇ હતી અને બસમાં સવાર પેસેન્જરોના જીવ તાળવે ચોંટ્યા હતા. પરંતુ બસના ડ્રાઇવરે બસ પરનો કાબૂ જાળવી રાખતાં જાનહાનિ ટળી હતી.

અંબાજીથી દાંતા વચ્ચે ત્રિશુળીયા ઘાટ પર સોમવારે લક્ઝરી બસ પલ્ટી જવાની ઘટનાને પગલે 21 લોકોના મોત નિપજતાં વાહન ચાલકો સહીત મુસાફરોમા ફફડાટ ફેલાયો છે. ત્યારે મંગળવારે માંડવીથી અંબાજી જવા રવાના થયેલી એસટી બસ પાલનપુરના માલણ દરવાજા નજીકથી પસાર થતી હતી. તે સમયે જનતા નગરથી પોલીટેકનીક કોલેજ નજીક ટર્નીંગ લેતી સમયે બસના ચાલકને ડિવાઈડર દેખાયુ નહી અને શોર્ટ ટર્ન લઇ લીધો તો બસ ડિવાઇડર પર ચઢી ગઈ હતી. ત્યારે બસ અચાનક ઊંચી થઈ જતાં બસમાં સવાર મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા. ઘટનાને પગલે ડ્રાઇવરે બસ પરનો કાબૂ જાળવી રાખતા ચાલુ બસ રોકાઇ ગઇ હતી. ત્યારબાદ પાલનપુર એસટી વિભાગના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી બસને રોડ પર ઉતારવાની કામગીરી હાથ ધરી હતી.

પાલનપુર ડેપો મેનેજરે જણાવ્યુ હતું કે, આ વિસ્તારનો માર્ગ સાંકડો અને ડિવાઇડર થોડુ બહાર હોવાને કારણે બસનો ટર્નિંગ લોંગ લેવો પડે છે. પરંતુ ડ્રાઇવરને ડિવાઇડર નહી દેખાયુ હોય જેને કારણે બસ ડિવાઇડર પર ચડી હતી. તે બાદ ડિવાઇડરને તોડી બસને રીવર્સ લઇ નીચે ઉતારી હતી. જોકે મોટી ઘટના ઘટતા અટકી હતી.