મોડાસામાં મુસ્લિમ બિરાદરોએ મહોરમની ભાવપૂર્વક ઉજવણી કરાઈ

મોડાસા, તા.૧૦

મોડાસા શહેરમાં મંગળવારે તાજીયાનું મોડાસા નગરમાં કસ્બા સમાજના બિરાદરો દ્વારા જુલુસ નીકાળી શહેરના માર્ગો પર ફેરવવામાં આવ્યું હતું. તાજીયા જુલૂસમાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. અરવલ્લી જીલ્લા નવ નિયુક્ત કલેકટર અમૃતેશ ઔરંગાબાદકર અને જીલ્લા પોલીસવડા મયુર પાટીલ તાજીયા જુલુશ નિહાળી તાજીયા કમિટીની મુલાકાત લીધી હતી. મોડાસાના પ્રમુખ સુભાષ શાહ, કોર્પોરેટરો અને રથયાત્રા સમિતિ સહીત ઘોરીઓના ચોકમાં તાજીયા કમિટીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવતા કોમી એખલાસના દ્રશ્યો સર્જાયા હતા. જીલ્લા પોલીસતંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો. મોહરમ પર્વમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહેતે માટે જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ફાલ્ગુનીબેન દ્વારા પેટ્રોલિંગ હાથ ધરાયું હતું.

મોહરમના દસ દિવસ એટલે યૌમે આશુરાના દિવસ હજરત મોહંમદ પયગંબર સાહેબના નવાસા હજરત હુસેન સાહેબ સચ્ચાઈ અને ન્યાય સામેની લડાઈમાં શહીદ થયા હતા. જેને મુસ્લિમ સમાજ દ્વારા દસ દિવસ સુધી માતમ મનાવવા સાથે રોજ મરાશિયા ગાવામાં આવે છે. દસમા દિવસે રોજ રાખી ઈબાદત કરવામાં આવે છે. મોહરમના દસમા દિવસે મોડાસા નગરમાં પરંપરાગત રીતે તાજીયા જુલુસ નીકાળવામાં આવ્યું હતું. કસ્બા જમાત દ્વારા કાઢવામાં આવતા તાજીયા જુલૂસમાં “યા હુસેન”ના ગગનભેદી નારા સાથે મોટી સંખ્યામાં મોડાસા શહેર સહીત જીલ્લાના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા. તાજીયા જુલૂસમાં અખાડાના કરતબ નિહાળી લોકો અભિભૂત બન્યા હતા.