રાણકી વાવમાં રૂ.1 કરોડના ખર્ચે ઉત્સવ શરૂ

પાટણ રાણકી વાવને કારણે દુનિયાના નકશામાં ચમક્યું છે. કલા- સ્થાપત્યની આ અલભ્ય વિરાસત છે. પાટણ ખાતે બે દિવસના સંગીત સમારોહ યોજાયો છે.  પાટણ એ ગુજરાતની પ્રાચીન રાજધાની છે. પાટણમાં રાણકી વાવની ગરિમા ઉજવવાનો આ ઉત્સવ છે. પાટણ ગુજરાતની અસ્મિતાનું પ્રતિક છે. રાણકીવાવ, મોઢેરા સૂર્યમંદિર, રુદ્ર-મહાલય, બિન્દુ સરોવર જેવા વિવિધ સ્થાપત્યો ગુર્જરધરાને મળેલા અલભ્ય સ્થાપત્યો છે.

અણહિલવાડથી શરૂ થયેલ ગુજરાતનો સમૃદ્ધ વારસો વિકસીત ગુજરાતમાં પણ જળવાયો છે. કચ્છનું સફેદ રણ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીરના સાવજ, સોમનાથ અને દ્વારિકાના પુરાતન મંદિર ગુજરાતની વૈવિધ્યતાનો લખલુટ ખજાનો છે.

‘તાનારીરી’ ઉત્સવ, સૂર્ય મંદિર ખાતેનોઉતરાર્ધ મહોત્સવ, કાઈટ ફેસ્ટિવલ વગેરે ઉત્સવો ઉજવી ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરવાની આગવી પરંપરા છે. ગુજરાતના વિકાસમાં અલભ્ય વિરાસત, કલા અને સ્થાપત્યનું પણ અમૂલ્ય યોગદાન છે. સંગીત સમારોહ પૂર્વે મુખ્ય  પ્રધાન વિજય રૂપાણીએ વિશ્વ વિરાસત રાણકી વાવની મુલાકાત લીધી હતી.

વિરાસત સંગીત સમારોહમાં ગઝલ સમ્રાટ હરિહરન, લોકગાયક જીગ્નેશ બારોટ, રિચાશર્મા, લોકગાયક બિહારી હેમુ ગઢવી અને લોકગાયિકા ગીતાબેન રબારીએ સંગીતની સૂરાવલી વહાવી હતી.

80 લાખથી 1 કરોડના ખર્ચે આ કાર્યક્રમ યોજાશે 7000 થી વધુ લોકો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. રાણીની વાવ અને સમગ્ર સંકુલ ભવ્ય રોશનીથી સુશોભિત કરવામાં આવ્યું છે.  બે દિવસ નિ: શુલ્ક પ્રવેશ આપવામાં આવશે.