રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારાઈ નથીઃ આવકવેરા વિભાગ દ્વારા સ્પષ્ટતા

અમદાવાદ,તા.31  ઈન્કમટેક્સ રિટર્ન ભરવાની અંતિમ તારીખને વધારવામાં આવી હોવાના સમાચારોને આઈટી ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટી ગણાવવામાં આવી છે. આવકવેરા વિભાગ દ્વારા આઈટી રિટર્ન દાખલ કરવાની તારીખ લંબાવવાની ચાલી રહેલી ચર્ચાને ફગાવી દેવામાં આવી છે. આઈટી વિભાગે કરદાતાઓને આજે જ જ રિટર્ન દાખલ કરી દેવાની સલાહ આપી છે. આ અંગે સીબીડીટી દ્વારા ફરિયાદ નિવારણ માટે સ્ટાર્ટઅપ સેલ બનાવવામાં આવ્યા છે.

આ અંગે ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સૂત્રોએ જણાવ્યું છે કે, હાલમાં ઈન્કમટેક્સ રિર્ટન ભરવાની અંતિમ તારીખ 31 ઓગસ્ટ જ છે. જેથી કરદાતાઓને સલાહ આપવામાં આવી છે કે, આ જ દિવસે તેઓ પોતાનું આઈટી રિટર્ન ભરી દે. આવકવેરા વિભાગ દ્વારા આવું સ્પષ્ટીકરણ એટલાં માટે કરવામાં આવ્યું છે કે, સોશિયલ મીડિયા પર તા. 29 ઓગસ્ટના રોજ એક પોસ્ટ સામે આવી હતી, જેમાં આઈટી રિટર્ન ભરવાની અંતિમ તારીખ વધારીને 30 સપ્ટેમ્બર કરવામાં આવી હોવાના સમાચાર હતા. જો કે, આવકવેરા વિભાગ દ્વારા  આવા સમાચારોને નકારી કાઢીને ખોટા ગણાવ્યા છે.