રૂપાણીના નવા પ્રધાન યોગેશ પટેલે આવતાં જ વિવાદ શરૂ કરી દીધો

નર્મદા અને શહેરી ગૃહ નિર્માણના રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે 11 માર્ચથી પોતાનો પદભાર સંભાળવાના હતા. પરંતુ પોતાને ફાળવવામાં આવેલી ચેમ્બરનો અસ્વીકાર કરીને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની બાજુની ચેમ્બર તેમને ફાળવવામાં આવે તેવી માંગણી કરી હતી. આ વિવાદને લઇને રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલને કોઈપણ ચેમ્બરની ફાળવણી કરવામાં આવી નથી.

સ્વર્ણિમ સંકુલ-2ના પહેલા માળે મંત્રી જવાહર ચાવડાને ચેમ્બર ફાળવવામાં આવી છે, ચોથા માળ પર રાજ્યકક્ષાના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને ચેમ્બર ફાળવવામાં આવી છે. ત્યારે હવે માત્ર રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલની માગના કારણે તેમને ચેમ્બર ફાળવવામાં આવી નથી અને તેમનું નામ પણ સ્વર્ણિમ સંકુલ-2માં લાગેલા મંત્રી મંડળના નામવાળા બોર્ડમાં લખવામાં આવ્યું નથી. રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલની માગ પર સરકારનું એવું કહેવું છે કે, પ્રોટોકોલના કારણે ગુહમંત્રીની આજુબાજુની ચેમ્બર કોઈને આપી શકાતી નથી.

સ્વર્ણિમ સંકુલ-2ના પહેલા માળ પર એક પણ ચેમ્બર ખાલી નથી, બીજા માળ પર એક ચેમ્બર ખાલી છે, ત્રીજા માળ પર ત્રણ ચેમ્બર ખાલી છે અને ચોથા માળ પર એક ચેમ્બર ખાલી છે. આમ સ્વર્ણિમ સંકુલ-2માં 5 ચેમ્બરો ખાલી છે. પરંતુ મંત્રી યોગેશ પટેલની માગના કારણે તેઓ આજે પદભાર સંભાળી શક્યા નથી. જેના કારણે તેઓ 12 માર્ચે પદભાર સંભાળે તેવી ચર્ચા ચાલી રહી છે.