અમદાવાદ, તા. 18
મહેસાણાના બહૂચર્ચિત દૂધસાગર ડેરી સાગરદાણ કૌભાંડના કેસમાં પાંચ વર્ષના ગાળા બાદ વિપુલ ચૌધરી સામે તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.ચૌધરી સહિત છ આરોપીઓ વિરૂદ્ધ મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે.આ તહોમતનામું ફરમાવાતા વિપુલ ચૌધરીની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ અંગે મળતી વિગતો અનુસાર સાગરદાણ કૌભાંડ મામલે છેલ્લાં કેટલાંય સમયથી વિપુલ ચૌધરી સહિત અન્ય આરોપીઓ સામે ગાળિયો કસાતો જતો હતો. ત્યારે આજે મહેસાણા એડિશનલ ચીફ જ્યૂડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા ઈપીકો કલમ 406, 420, 465, 468, 471, 120બી અને 114 મુજબ તહોમતનામું ફરમાવવામાં આવ્યું છે. તહોમતનામામાં વિપુલ ચૌધરીએ એનડીડીબીના ચેરમેન બનવાની રાજકીય લાલસા પૂરી કરવા તેમ જ તત્કાલિન કૃષિપ્રધાનના આશીર્વાદ મેળવવાના બદઈરાદે દાણ મોકલ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
તહોમતનામામાં કોઈપણ જાતનો કરાર ન થયેલો ન હોવા છતાં મહારાષ્ટ્ર રાજ્યમાં દુકાળ પડેલ હોવાનું કારણ રજૂ કરી મહાનંદા ડેરીને મહેસાણા તેમજ જગુદણ કેટલ ફીડ ફેક્ટરી થી 186405903 રૂપિયાના કેટલ ફીડ ના જુદા જુદા બિલ ઉધારી મોકલ્યું હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં જુદા જુદા વાહનો મારફતે 637 ટ્રીપ દ્વારા વાહન ખર્ચ રૂ. 3.86 કરોડ મળી કુલ રૂ. 22.50 કરોડનું દાણ કોઈપણ પ્રકારના સેલ્સ ઓર્ડર કે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની પૂર્વ મંજૂરી લીધા વગર બારોબાર મોકલીને મોટું કૌભાંડ આચર્યું હોવાનો પણ તહોમતનામામાં ઉલ્લેખ કરાયો છે.