વડાગામની માઝુમ નદીમાં નાહવા પડેલ ૨૧ વર્ષીય યુવક ડૂબતા ભારે ચકચાર

ધનસુરા, તા.૧૬  અરવલ્લી જીલ્લામાં પાણીમાં ડૂબી જવાની ઘટનાઓમાં સતત નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. જીલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે નદી, નાળા, તળાવ બે કાંઠે થતા પ્રજાજનો પાણીમાં નાહવાની માજા માણવા લલચાતા ચાલુ ચોમાસામાં ૧૦ થી વધુ લોકો પાણીમાં ડૂબવાની ઘટનામાં મોત નીપજ્યું છે.

ધનસુરા તાલુકાના વડાગામ નજીક થી પસાર થતી માઝુમ નદીમાં ગામના ત્રણ યુવકો નાહવા જતા ત્રણમાંથી એક યુવક નદીમાં ડૂબી જતા ભારે ચકચાર મચી હતી. મોડાસા અને બાયડ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પરંતુ તરતા આવડતું ન હોવાથી સ્થાનિક તરવૈયાઓની મદદ લઈ શોધખોળ હાથધરી હતી. ૧૫ કલાકથી વધુના સમય થવા છતાં યુવકનો મૃતદેહ શોધવામાં નિષ્ફળ રહેતા સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો. વહીવટી તંત્રએ આખરે હિંમતનગર ફાયરબ્રિગેડના તરવૈયા બોલાવતા હિંમતનગરના તરવૈયાઓ ભારે શોધખોળ હાથધરી ૨૦ કલાક પછી મૃતક યુવકની લાશ હાથ લાગતા ધનસુરા પોલીસે લાશને પીએમ માટે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

શનિવારે સાંજના સુમારે, વડાગામ ગામના અજયભાઇ શૈલેષભાઇ ખાંટ, જયેશભાઈ જગદીશભાઈ ખાંટ, અને પ્રકાશભાઈ રમણભાઈ ખાંટ નામના ત્રણે મિત્રો વડાગામ નજીકથી પસાર થતી માઝુમ નદીમાં નાહવા જતા અજય નામનો યુવક નદીમાં ડૂબી જતા બંને યુવકોએ બુમાબુમ કરતા આજુબાજુ થી લોકો અને પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નદીમાં યુવકના ડૂબવાની ઘટનાના પગલે વહીવટી તંત્ર પોલીસતંત્ર અને વડાગામ સરપંચ સહીત પહોંચ્યા હતા. ૨૦ કલાકની ભારે જહેમત પછી હિંમતનગર ફાયરબ્રિગેડ ટીમે અજયભાઈ શૈલેષભાઇ ખાંટ(ઉં.વર્ષ-૨૧)ની લાશ નદીમાંથી શોધી કાઢવામાં સફળતા મળતા પરિવારજનોએ આક્રંદ કરી મૂક્યું હતું. પરિવારજનોએ તેના સાથે રહેલા બંને મિત્રો મૃતક અજયના ડૂબવા પાછળ જવાબદાર હોવાનો આક્ષેપ કર્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

ધનસુરા પોલીસે સ્થળપર પંચનામું કરી મૃતક યુવક અજયની લાશને પીએમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.