વાયબ્રંટમાં રૂ.13000નો ભોજન થાળ, બાળનોને રૂ.6માં ખાવાનું

વાઈબ્રન્ટ ઉત્સવોમાં ખાસ મહેમાનો માટે રૂ.૧૩,૦૦૦, રૂ.૭,૦૦૦, રૂ.૩,૦૦૦ની જમવાની
ડીશ બીજી બાજુ રાજ્યના ભવિષ્ય સમાન આંગણવાડી-બાલવાડી, મધ્યાહન ભોજનના બાળકોને
રૂ.૪.૫૮ અને રૂ.૬ જેટલી નજીવી રકમનો ખોરાક અપાતા હોવાની ગતિશીલ, પ્રગતિશીલ અને
વાઈબ્રન્ટ ગુજરાતની કડવી વાસ્તવિકતા ખુલ્લી પાડતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા
ડૉ.મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતની ભાજપ સરકાર અબજો રૂપિયાના મૂડી રોકાણ અને કરોડો
રોજગારીના આંકડાના દાવા વચ્ચે વાઈબ્રન્ટ ભાજપ સરકારની સ્વપ્રસિદ્ધિ અને સરકારી સંશાધનો-
કુદરતી સંશાધનો લુંટાવાની યોજના ચાલતી હોય તેમ સિદ્ધ થતું જાય છે. વાઈબ્રન્ટ ગુજરાતમાં
સરકારી ચોપડે ૩૧,૪૬,૪૧૩ ગરીબી રેખા નીચે જીવતા ગરીબ પરિવારો છે. એટલે કે, ૧,૫૭,૩૨,૪૬૫
નાગરિકો રાજ્યના ગરીબી રેખા નીચે અનેક મુશ્કેલી સાથે જીવન જીવી રહ્યા છે. રાજ્યમાં ચાર લાખ
કરતા વધુ ખેડૂતો વીજ કનેક્શન માટે રાહ જોઈ રહ્યા છે.
એક તરફ વાઈબ્રન્ટ ઉત્સવમાં વિશેષ મહેમાનો માટે ગાલા ડીનરમાં રૂ.૧૩૦૦૦/- ની પ્રતિ
વ્યક્તિ ભોજન પીરસાય, વિશેષ મહેમાનો માટે ખાસ ઉત્સવમાં પ્રતિ વ્યક્તિ રૂ.૭૦૦૦/- એક ડીશના
ચૂકવાય, નાસ્તા માટે પ્રતિ વ્યક્તિ રૂ.૭૦૦/- અને રૂ.૧૨૦૦/- ચૂકવાય છે. જ્યારે બીજી બાજુ રાજ્યમાં
૧,૧૦,૯૦૯ કુપોષિત બાળકો પૌષ્ટિક આહાર માટે સંઘર્ષ કરવો પડે, આ છે ગુજરાતની કડવી
વાસ્તવિકતા…!

છેલ્લાં પંદર વર્ષથી વિવિધ ઉત્સવો પાછળ ૫૦૦૦ કરોડ રૂપિયા જેટલી જંગી રકમ સરકારી
તિજોરીમાંથી સ્વપ્રસિદ્ધિ માટે વેડફનાર ભાજપ સરકાર-મોદી સરકારે ગુજરાતમાં અસમાનતાની મોટી
ખાઈ ઉભી કરી હોવાનો પર્દાફાશ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ
દોશીએ જણાવ્યું હતું કે, ગુજરાતના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા કાર્ય કરતા શિક્ષકોને સહાયક
પ્રથાના નામે આર્થિક શોષણ થઈ રહ્યું છે. આંગણવાડી, મધ્યાહન ભોજન, બાલવાડી, આશા વર્કર,
મનરેગા કર્મચારી, પાણી પુરવઠા, આરોગ્ય, સફાઈ કામદારો જેટલું અને આઉટસોર્સિંગ, કોન્ટ્રકટ પ્રથાના
નામે પ્રતિ મહિના ચૂકવાતું વેતનની રકમ કરતા વધુ રકમનો વાઈબ્રન્ટના વિશેષ મહેમાનોને પ્રતિ ડીશ
જમણવારમાં ખર્ચાય છે. ગાયના નામે મત માંગનાર ભાજપ સરકારે અછતગ્રસ્ત વિસ્તારમાં ગયોને
ઘાસચારો પેટે પ્રતિદિન રૂ.૧૨ થી રૂ.૨૦ જ ચૂકવી રહી છે. જ્યારે, સરકારી તિજોરીને લુંટનારા પ્રતિદિન
રૂ.૧૩૦૦૦ ની મોંઘીદાટ જમણની જયાફત ઉડાવે તે કેટલે અંશે વ્યાજબી ?
ગુજરાતમાં પ્રજાના રક્ષણ અને વાઈબ્રન્ટ સહિત ઉત્સવોમાં વિશેષ મહેમાનો માટે સુરક્ષાની
જવાબદારી સંભાળતા પોલીસ જવાનોને પ્રતિમાસ રૂ.૩૦/- વોશિંગ એલાઉન્સ ચૂકવાય છે, જ્યારે તે
મહેમાનો રૂ.૧૩૦૦૦/- ની ડીશ આરોગે છે. રાજ્યમાં પ્રતિદિન ૨૬ પરિવારો ગરીબી રેખામાં ધકેલાઈ
રહ્યા છે. બાળ વૃદ્ધિદરમાં ગુજરાત ૧૨માં ક્રમે છે. રાજ્યમાં મોંઘા શિક્ષણનો ભોગ બનનાર શિક્ષિત
બેરોજગાર ૫,૩૭,૫૬૨ ચોપડે નોંધાયા છે. જ્યારે બે વર્ષમાં માત્ર ૧૨,૮૬૯ યુવાનોને જ રોજગાર
એટલે ૨.૪% ને જ રોજગારી મળી છે. રાજ્યમાં ૧૧૪૭૫ વ્યક્તિએ એક ડોક્ટર ઉપલબ્ધ છે. છેલ્લાં દસ
વર્ષમાં ૩.૫ લાખ ખેડૂતોની સંખ્યામાં ઘટાડો થયો છે. ત્યારે, રાજ્યમાં ૩૦ ટકા કરતા વધુ ગરીબી રેખા
નીચે જીવતા પરિવારો, ૪૩ ટકા દેવાદાર ખેડૂતો, લાખો બેરોજગાર યુવાનો, ફિક્સ પગાર, આઉટ
સોર્સિંગ, કોન્ટ્રાક્ટ પ્રથાના નામે ૨૦ લાખ યુવાનોનું આર્થિક શોષણ કરી રાજ્યને આર્થિક, સામાજીક
અસમાનતાની ઉંડી ખાઈમાં ધકેલી દેનાર ભાજપ સરકાર જવાબ આપે.