ખાસ અહેવાલ – પૈસો પરમેશ્વર – દિલીપ પટેલ
ગુજરાતમાં ગરીબી રેખા હેઠળ આવતાં BPL પરિવારોની સંખ્યા 26.19 લાખથી વધીને 31 લાખ થઈ ગઈ છે. ગરીબી ભૂખમરામાં 42%નો વધારો થયો છે. 2004થી 2014 સુધીની કોંગ્રેસ સરકારની સર્વાંગી વિકાસ કરનારી આર્થિક નીતિઓના કારણે લાખો પરીવારો આર્થિક રીતે સધ્ધર થયા હતા. હવે ભાજપની ગરીબ વિરોધી આર્થિક નીતિઓના કારણે બીપીએલ પરીવારોની સંખ્યામાં વધારો થયો છે.
ગુજરાતમાં વિકાસ એક ભ્રમ
વર્ષ 2000થી 2018 સુધીમાં ઉદ્યોગોને રૂ.1,29,962 કરોડનો આર્થિક ફાયદો ગુજરાતની ભાજપ સરકાર દ્વારા કરાવવામાં આવ્યો છે. આ રાહતો સામે વર્ષ 2000થી 2018 સુધીમાં રૂ.1,07,316 કરોડના જ ઉદ્યોગો શરૂ થયા છે. 2001ના વર્ષથી 18 વર્ષમાં 1771.2 કરોડ ચોરસ મીટર જમીન ઉદ્યોગે આપી પણ ગરીબ લોકોને ઘર બનાવવા કે ખેતી માટે જમીન આપી નહીં. રૂ.75 લાખ કરોડના રોકાણ થવાના હતા. એટલે ભાજપની સરકારો જે દાવો કરે છે તેમાં ખરેખર મૂડીરોકાણ 1.43 % જ થયું છે. તેની આર્થિક નીતિ ખોટી હોવાનું આ આંકડાઓ કહી રહ્યાં છે. જો તે સાચી નીતિ હોય તો ખરેખર ગરીબી ઘટવી જોઈતી હતી. પણ ઘટી નથી.
ગરીબો વધ્યા તો વિકાસ કેમ કહેવાય
23 માર્ચ 2018મા ગુજરાત સરકારે વિધાનસભામાં જાહેર કર્યું હતું કે, 31 લાખ કરતાં વધારે પરિવાર ગરીબી રેખા હેઠળ જીવે છે. સમૃદ્ધ, ગતિશીલ, વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે પણ ગુજરાતની ચોથાભાગની વસતી ગરીબ છે. જો ખરેખર વિકાસ થયો હોત તો રાજ્યમાં 31,46,413 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા ન હોત. તે હિસાબે એક પરિવારમાં પાંચ સભ્યો ગણીએ તો 1,57,32,065 લોકો ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે તેવું કહી શકાય. 2004-05નાં આંકડા પ્રમાણે ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ વસ્તીના 21.8% લોકો ગરીબી રેખા નીચે જીવતા હતા. હવે તે 25 ટકા થઈ ગયા છે. આ આંકડાઓ પરથી એવું સાબિત થાય છે કે સમૃદ્ધ ગુજરાતની ચોથા ભાગની વસતી ગરીબી રેખા નીચે જીવી રહી છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં કુલ 18,992નો વધારો થયો છે. અંદાજ પ્રમાણે રાજ્યમાં દૈનિક ગરીબી રેખા નીચે જીવતા 26 પરિવારનો વધારો થાય છે. ગરીબી વધવાનું કારણ સરકાર થોડું વિચિત્ર આપી રહી છે, ગુજરાત સરકાર કહે છે કે બહારના લોકો ગુજરાતમાં આવે છે એટલે ગરીબી વધી છે. તેનો મતલબ સરકાર દાવો કરે છે કે જે લોકો ગુજરાતમાં આવે છે તે ગરીબ છે પણ એવું નથી ખરેખર તો ખેડૂતો તૂટી રહ્યાં છે તેના કારણે ગરીબી વધી રહી છે. વિકાસ માત્ર ઔદ્યોગિક ક્ષેત્રે જ થયો છે. તેનું આ પરિણામ છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધારે એટલે કે 2,36,492 ગરીબ પરિવાર રહે છે. બીજા નંબરે દાહોદ જિલ્લો આવે છે. દાહોદમાં 2,25,291 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. ત્રીજા નંબરે ખેડા જિલ્લામાં 1,56,436 પરિવાર ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં સૌથી વધારે 4,248 ગરીબ પરિવારમાં વધારો થયો છે. જ્યારે નવસારીમાં 4,120 પરિવારનો વધારો થયો હતો.
જિલ્લા પ્રમાણે ગરીબ કુટુંબો
12 જૂલાઈ 2018મા ગરીબીના આંકડા જાહેર કરાયા હતા.
જિલ્લો ગરીબ કુટુંબો બે વર્ષમાં વધારો
ખેડા 1,56,436 12
સુરત 1,14,583 01
ગાંધીનગર 44,535 07
જામનગર 34,616 128
અમરેલી 89,895 4,248
બોટાદ 30,094 34
નર્મદા 82,871 00
અરવલ્લી 69,440 53
પોરબંદર 20,664 406
દ્વારકા 27,888 406
બનાસકાંઠા 2,36,492 512
ભરૂચ 1,24,930 24
રાજકોટ 91,253 3,203
પાટણ 1,01,954 00
આણંદ 1,53,122 24
સાબરકાંઠા 9,69,86 287
ડાંગ 35,278 15
છોટાઉદેપુર 99,940 00
નવસારી 69,994 4,120
જૂનાગઢ 51,175 1,017
સુરેન્દ્રનગર 1,25,794 14
વલસાડ 1,26,087 742
વડોદરા 1,26,919 00
મોરબી 47,136 2,299
કચ્છ 1,05,664 105
ભાવનગર 74,516 14
મહેસાણા 1,06,381 49
અમદાવાદ 1,44,099 437
ગીર સોમનાથ 49,965 71
તાપી 79,293 00
મહિસાગર 82,061 03
દાહોદ 22,591 407
કુલ 31,46,413 18,942
ખેતી તૂટી રહી છે
ગુજરાત 1.20 કરોડ જમીનના ટૂકડા છે. 50 લાખ ખેડૂત કુટુંબો છે. 24,000 કરોડનું દેવું છે. 42 ટકા ખેડૂત કુટુંબો પર સરેરાશ દરેક પર રૂ.16.74 લાખ દેવું છે. 15 વર્ષમાં ખેતમજૂરોનો વધારો થયો છે, 17 લાખ ખેત મજૂરો વધી ગયા છે. 2001 પછી 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. જે ગરીબ બની જતાં મજૂર તરીકે કામ કરે છે. જમીન નાના ટુકડામાં પહેંચાઈ રહી છે. કુટુંબ વિભાજનના કારણે જમીન ટૂકડામાં ફેરવાઈ રહી છે. તેથી તે જમીન ખેડવી પોસાય તેમ ન હોવાથી ખેડૂતો જમીન વેચી રહ્યાં છે. જમીન વેચીને તેઓ મજૂરી કામ માટે જોતરાય છે. ગુજરાતમાં 2005-06મા 46.61 લાખ ખેડૂતો હતા તે 2010-11મા વધીને 48.85 લાખ થયા હતા. 2018મા વધીને 50 લાખ થયા હતાં. જમીન ધારકોની સંખ્યા 2.25 લાખ જેટલી વધી છે. પરંતુ તેની સામે વર્ષ 2005-06મા કૃષિ જમીન જે કુલ 102 કરોડ હેક્ટર હતી તે 2010-11મા ઘટીને 98.98 લાખ હેક્ટર થઈ ગઈ છે. આમ રાજ્યમાં કૃષિ જમીન 3.70 લાખ હેક્ટર ઘટી છે. પણ 2017-18મા 94 લાખ હેકટર અને 2025 સુધીમાં ઘટીને 86 લાખ હેકટર જમીન થવાની ધારણા છે. જમીન નકામી બની છે અથવા તે ઉદ્યોગોમાં બિનખેતી તરીકે જતી રહી છે. પહેલાં જમીન 10 વિઘા એક ખેડૂત ધરાવતાં હતા તે હવે 5 વીઘા ધરાવતાં થયા છે. જેમાં તેનું ગુજરાન ચાલી શકતું નથી. તેથી ગરીબી વધી રહી છે. વસતી પ્રમાણે વધારામાં ઘટાડો થતાં 4 લાખ ખેડૂતો ઘટી ગયા છે. વળી ગુજરાતમાં 2001 પછી ૩.૭૦ લાખ હેક્ટર જમીન ઘટી છે. તેનો સીધો મતલબ કે એટલા ખેડૂતો ઘટી ગયા છે. કુટુંબ વિભાજનના કારણે જમીન નાના ટુકડામાં ફેરવાઈ રહી છે. તેથી ગરીબી વધી છે.
ગરીબોની આવક મહિને રૂ.324થી 501
4 ફેબ્રુઆરી 2014મા એક એવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે કે, 2002થી ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધી છે. 2018મા રૂપાણી સરકાર કહે છે કે, યુ.પી., બિહાર, ઓરિસા જેવા બીજા રાજ્યોમાંથી રોજી માટે ગુજરાતમાં આવેલા પરપ્રાંતીય ગરીબો જવાબદાર છે. ગુજરાતમાં મૂળ ગુજરાતી ગરીબો ઘટ્યા છે, પરંતુ રાજ્યમાં રોજગારીની શોધમાં ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસા, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી આવતા ગરીબ લોકોને બીપીએલ કાર્ડ આપવાના રાજ્ય સરકારના વલણને કારણે ગરીબોની સંખ્યા વધી છે, તદુપરાંત વસતિ વધવાથી તેમજ બીપીએલ પરિવારોના વિભાજનને લીધે પણ બીપીએલ કાર્ડધારક ગરીબો વધ્યા છે. 32 લાખ બીપીએલ કાર્ડધારક કુટુંબોને રેશનના અનાજનો લાભ મળે છે. ગુજરાત સરકારે નવા માપદંડથી ગરીબો ગણવાને બદલે જૂના માપદંડ ચાલુ રાખ્યા છે. ગુજરાતના ગામડામાં મહિને રૂ. 324 અને શહેરોમાં મહિને રૂ. 501.14 આવક મેળવે છે.
આઝાદીથી રમત
ભારત 1947મા આઝાદ થયો ત્યારે ગરીબી સંતાડવામાં આવતી ન હતી પરંતુ ‘ગરીબી હટાઓ’ તેવા મુદ્દા પર ચૂંટણી લડાતી હતી. 2002થી 2018 સુધીમાં વાયબ્રન્ટ ગુજરાત વખતે કે ચીન-જાપાન-અમેરિકા કે અન્ય દેશના કે દેશના મહાનુભાવો અને વેપારીઓ ગુજરાતના વિકાસ-દર્શને આવે ત્યારે હવાઈમથકથી મહાત્મા મંદિર કે સભાસ્થળ સુધી જતાં રસ્તામાં જે પણ ઝૂંપડપટ્ટી આવે છે તે બધી પ્લાસ્ટિકની નેટહાઉસ માટેની લીલી જાળીથી હંમેશા ઢાંકી દેવામાં આવે છે. તેથી ગરીબી રેખા ગુજરાતના હાથમાં દેખાતી નથી.
1978થી ગામડાના લોકોને 2,400 અને શહેરના લોકોને જીવવા 2,100 કેલરી જોઈએ એવું કેન્દ્ર સરકારે નક્કી કર્યું હતું. તેથી ગામડામાં મહિને રૂ. 61.80 અને શહેરમાં રૂ. 71.30 મળે તેને આ ખોરાક મળે તેથી તે ગરીબી રેખા ગણવામાં આવી હતી. છેલ્લે રૂ. 32 રોજની આવક ગરીબો માટે નક્કી કરી ત્યારે ભાજપે તેનો ભારે વિરોધ કર્યો હતો અને ભાજપે 31 ઓગસ્ટ 2010મા માગણી કરી હતી કે બીપીએલની મર્યાદા રૂ. 1,000 નક્કી કરો. આ જ ભાજપે ગુજરાતમાં 2014માં ગરીબી રેખા ઘટાડી દીધી અને ગામડા માટે રૂ. 11 તથા શહેર માં રૂ. 17 કમાતા હોય તેને ગરીબ જાહેર કર્યા હતા. ‘ગરીબી દૂર કરવી હોય તો ગરીબી રેખા બદલી ગરીબોની સંખ્યા ઓછી કરી નાંખો’. ગુજરાત માટે પોતે વિકાસ કર્યો છે તેવું દુનિયાને બતાવવા ‘ગુજરાતમાં ગરીબો નથી’એ બતાવવું ખૂબ જરૂરી હતું. સરકારી દફ્તરે ગરીબો ઘટાડી દેવાના નવા માપદંડો નક્કી કરાયા તેમ છતાં ગરીબો તો વધતાં જ જાય છે.
2014મા પણ આવું જ થયું હતું
ગુજરાતની વડી અદાલતમાં જાહેર હિતની અરજી થઈ તેમાં બહાર આવ્યું હતું કે, અમદાવાદમાં 2,43,038 બીપીએલ કાર્ડ બનાવાયા હતા જેમાં 2014 સુધીમા 78,039 કાર્ડ તો વહેંચવામાં જ આવ્યા ન હતા. હવે સરકારી દફ્તરે ગરીબો ઘટાડવા આવો કારશો કર્યો પણ ગુજરાત સરકારે જાહેર કર્યું કે ગુજરાતમાં ગરીબો વધી રહ્યાં છે. આવું કેમ, સસ્તુ અનાજ ક્યાં જઈ રહ્યું છે, દેશનું સૌથી મોટું અનાજ કૌભાંડ ગુજરાતમાં અમરેલી, સુરત, વડોદરા અને અમદાવાદમાં પકડાયું છે. ગરીબી રેખા એટલે કે ભૂખે ન મરવાના પૈસા ગણાય છે. તો અનાજ પણ ભૂખ્યા લોકોનું કોણ જમી જાય છે. જે અરજી કરે છે તેને જો બીપીએલ કાર્ડ આપવામાં આવતું નથી તો આ ગરીબ લોકો કયા છે.
ગરીબ ગુજરાત
ગુજરાતમાં વાસ્તવિકતા એ છે કે ભાજપ ગરીબ વિરોધી છે. બધા જ ગરીબ ગુજરાતી છે. કોઈ બહારનું નથી. સરકાર પોતાના જાહેરાતો પાછળ જે નાણાં ખર્ચે છે તેટલા નાણાંમાંથી તો ગરીબોને મફત અનાજ આપી શકાય તેમ છે પણ એ અનાજ તો ભાજપના નેતાઓ જમી રહ્યાં છે.
એક તરફ, ભાજપના સત્તાધીશો ગુજરાતને સમૃદ્ધ, વિકસીત રાજ્ય ગણાવીને લોકોને ગેર માર્ગે દોરી રહ્યાં છે. ખોટી ગુલબાંગો પોકારી રહ્યાં છે પણ નરી અને કડવી વાસ્તવિકતા એ છે કે, વાયબ્રન્ટ ગુજરાત યોજીને રોજગારી અને ગરીબી અંગે પ્રજાને આજ સુધી ગેરમાર્ગે દોરી છે. ઉદ્યોગોના વિકાસની સાથે સાથે ગરીબી વધી છે. ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં દોઢથી 2 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવવા મજબૂર છે. ગરીબ અવસ્થામાં જીવન ગાળી રહ્યાં છે. વધી રહેલાં ગરીબ પરિવારોની સંખ્યાએ જ વાયબ્રન્ટ ગુજરાતની અસલિયતને છતી કરી દીધી છે.
28 વર્ષ પછી પણ ગરીબી કોંગ્રેસની દેન
18 નવેમ્બર 2018મા ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે, દેશમાં બેરોજગારી, ગરીબી અને ભ્રષ્ટાચાર કોંગ્રેસની દેન છે. હવે ગુજરાતમાં ભાજપની સરકાર 1996થી છે. જેને 22 વર્ષ થયા અને ભાજપની ભાગીદારી વાળી સરકાર તો 1991થી છે તો પછી 27 વર્ષથી તો ગુજરાતમાં કોંગ્રેસ સત્તા પર નથી, તો ગરીબી કેમ વધી રહી છે?
દેશનાં ગરીબ રાજ્યોમાં ગુજરાત
દેશમાં ગરીબો ઘટવાને બદલે વધી રહ્યા છે. ગરીબ અને શ્રીમંત વચ્ચેની આર્થિક ખાઈ વધુને વધુ પહોળી બની રહી છે. કોઈને પેટ ભરવાનાં ફાંફાં છે તો કોઈની પાસે ખાવાનું જ એટલું છે કે, હોટલ ભરેલી રહે છે. દેશમાં આજે બિહાર સૌથી વધુ ગરીબ રાજ્ય છે, જ્યાં 39.74 ટકા ગરીબો છે. ઝારખંડમાં – 36.96, મણિપુર – 36.89, અરુણાચલ પ્રદેશ – 34.67, ઓરિસા – 32.59, આસામ – 31.89, મધ્ય પ્રદેશ – 31.65, ઉત્તર પ્રદેશ – 29.43, કર્ણાટક – 20.91 ટકા અને ગુજરાતમાં 25 ટકાથી વધુ પરિવારો ગરીબી રેખા નીચે જીવી રહ્યાં છે. ભાજપની ગરીબી દૂર કરવાની નીતિ હોત તો 27 વર્ષમાં ગુજરાતમાં તે ગરીબી દૂર કરી શક્યું હોત પણ તેમ થયું નથી. ગરીબોને રહેવા 50 લાખ મકાનો 2012થી બનાવવાના હતા. એક પણ ગરીબને મફત ઘર આપ્યું નથી. દુનિયામાં 57.1 કરોડ લોકો ગરીબ છે જેમાં ગુજરાતનો હિસ્સો 2 કરોડનો છે. જે બતાવે છે કે ગુજરાતનું વિકાસનું મોડેલ દેશમાં બતાવવામાં આવી રહ્યું હતું તે ખુલ્લું થયું છે. CM રૂપાણીના રાજમાં બે વર્ષમાં ગરીબો ઘટવાના બદલે 19,000 હજાર કુટુંબો વધી ગયા છે. ત્યારે કઈ રીતે ભાજપ કહી શકે કે ગરીબી નાબૂદ થઈ છે. ગરીબ નેતાઓ છેલ્લાં 27 વર્ષથી મોંઘી કારમાં ફરતા થઈ ગયા છે. તેમની ગરીબી દૂર થઈ ગઈ છે પણ પ્રજા વધારે ગરીબ બની છે. ગરીબોના નામે ભ્રષ્ટાચાર વધ્યો છે.
ગરીબી-બેરોજગારીએ 1492 લોકોનો ભોગ લીધો!
ગુજરાત રાજ્યને વિકાસશીલ રાજ્યના મોડલ તરીકે રજૂ કરાઈ રહ્યું છે. થોડાક સમય પહેલાં જ ગુજરાતને સમગ્ર દેશમાં રોજગારી આપતાં રાજ્યોમાં નંબર વનનું સ્થાન પણ અપાયું હતું. જોકે રોજગારી અંગેની હકીકત થોડીક જુદી છે. પાંચ વર્ષમાં રાજ્યમાં ગરીબી અને બેરોજગારીના કારણે આત્મહત્યા કરનારાઓની સંખ્યા વધી છે. 2010મા 3047, 2011મા -1160, 2012મા -2291, 2013મા -1866, 2014મા -1699, 2015મા -1804 લોકોએ આત્મહત્યા ગરીબીના કારણે કરી હતી. બેરોજગારીના કારણે પાંચ વર્ષમાં 1,146 લોકોએ આત્મહત્યા કરી હતી.
શાળાએ જવાના બદલે મજૂરી
ઓગસ્ટ 2014મા ગાંધીનગર ગુજરાતમાં બાળમજૂરો નહિવત્ હોવાના સરકારી દાવા વચ્ચે રાજ્યમાં 4.20 લાખ જેટલા બાળમજૂરો હોવાનો નેશનલ સેમ્પલ સરવે ઓર્ગેનાઈઝેશને જાહેર કર્યું હતું. જે બતાવે છે કે ગુજરાતમાં બાળમજૂરીનું પ્રમાણ દેશના અન્ય રાજ્યોની તુલનાએ ઘણું વધારે છે. કારણ કે કારખાનાઓમાં બાળકોને મજૂર તરીકે રાખીને કામ લેવામાં આવે છે. ખરેખર તો બાળ મજૂરોનું પ્રમાણ તો આનાથી પણ વધારે છે. તેઓના કુટંબો ગરીબી અને ભૂખમરામાં સપડાયા હોવાના કારણે કામ કરે છે. 2004-05મા સરવે દરમિયાન રાજ્યમાં 3.9 લાખ જેટલા બાળકો ભણવાની ઉંમરે મજૂરી કરતા હતા, તે સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. ક્યાંય વિકાસ દેખાતો નથી. પશ્ચિમ બંગાળમાં 12.6 ટકા, ઉત્તરપ્રદેશમાં 4.4 ટકા અને ઓરિસામાં 4.1 ટકા, ગુજરાતમાં 4 ટકા બાળમજૂરો હતા. જ્યારે ગ્રામીણ ક્ષેત્રે ગુજરાત ઝારખંડ પછી દેશમાં બીજા નંબરે છે. તેનો મતલબ કે ગરીબી ગામડાઓમાં વધારે છે.
ગરીબ કલ્યાણ મેળા, એક તૂત
30 સપ્ટેમ્બર 2016મા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું કે ગરીબી નિર્મૂલન માટે ગરીબ કલ્યાણ મેળા એ ગુજરાતની સરકારની વિશિષ્ટ ઓળખ બન્યા છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ સરકાર ગરીબ, પીડિત, વંચિત, શોષિત, દલિત અને જરૂરતમંદોની સરકાર બનીને પારદર્શી, ભ્રષ્ટાચાર મુકત શાસન અને વચેટિયા નાબૂદીની નેમ સાથે ગરીબોને તેમના હક્કના લાભ સહાય આપવા પ્રતિબદ્ધ છે. 2009થી 12 વર્ષ 2370 ગરીબ કલ્યાણ મેળા યોજીને રૂ. 29 હજાર કરોડ આપ્યા છે. બે કરોડ લોકોને તેમાં આવરી લેવાયા હતા. તો પછી ગરીબી કેમ ઘટતી નથી. આટલા નાણાંમાં તો દરેક ગરીબને પાકું મકાન મફતમાં આપી શકાયું હોત. ગરીબીથી કુપોષણ વધે છે તેથી સરકાર પર આરોગ્યનું આર્થિક ભારણ વધે છે. ગુજરાતમાં એક પણ ઝૂંપડું ન હોવું જોઈએ તેના બદલે 20 લાખ કુટુંબોને રહેવા સારું ઘર નથી.
ગરીબ મૂળ સમસ્યા
ગરીબ ન હોય તો કોઈ સમસ્યા નથી. જો ગરીબી દૂર થઈ જાય તો મોટા ભાગે કોઈ સમસ્યા રહેતી નથી. તેથી પહેલું કામ ગરીબી દૂર કરવાનું કરવું જોઈએ. ગરીબી દૂર કરવાનું સૌથી પહેલું પગથિયું તેમને સારું ઘર આપાવનું છે, પછી તે સારી રીતે જીવશે તો રોજગારી તે જાતે શોધી લેશે. સારા ઘરથી તેનું આરોગ્ય પણ સુધરશે. તેથી ત્યાં સુધી સરકાર ગરીબોને મફત ઘર નહીં આપે ત્યાં સુધી ગરીબી દૂર થઈ શકે તેમ નથી. 20 લાખ ઘર બનાવવા માટે રૂ. 40 હજાર કરોડની જરૂર છે. જે સરકાર આરામથી ઊભા કરી શકે તેમ છે. જો આટલું થાય તો ગુજરાત સરકારને આરોગ્યના જ રૂ. 5,000 કરોડ બચી શકે તેમ છે. તેથી ખરેખર તો સરકારને 20 વર્ષમાં સાવ મફતમાં આ ઘર પડે તેમ છે. ગરીબી છે તો ભ્રષ્ટાચાર છે. જો ભ્રષ્ટાચાર દૂર કરવો હશે તો પહેલાં ગરીબી દૂર કરવી પડશે. ઘર મળતા ઉત્પાદકતા વધશે, ઉત્પાદન પણ વધશે તેથી માથાદીઠ આવક પણ વધી જશે. આમ મકાન આપવા તે જ એક માત્ર સચોટ ઉપાય છે.