વિજયનગરના કોસમ ગામમાં આવેલ જ્વાળામુખીના પથ્થરની પ્રાચીન વાવ

પ્રાધ્યાપક ડો. રામજી સાવલિયા (નિયામક, ભો. જે. અધ્યયન સંશોધન વિઘાભવન દ્વારા)

સાબરકાંઠા,તા:23
વિજયનગર (સાબરકાંઠા ) હરણાવ નદીના કાંઠાથી છેક અરવલ્લીના ડુંગરની ઘાટીમાં પોળોના જંગલમાં 11મી સદીથી 16મી સદીમાં નિર્માણ પામેલા હિન્દુ – જૈન મંદિરો આવેલા છે. નૈસર્ગિક સંપદા અને પ્રાકૃતિક સૌંદર્ય થી છલકાતા સ્થળની મુલાકાત જીવન સંભારણું બની રહે છે. આ બધા વૈભવ સાથે વિજયનગર – પોળો ના જંગલમાં જ્વાળામુખીના પથ્થરમાંથી નિર્માણ પામેલી વાવ આવેલી છે.


વિજયનગરથી પાંચ કિલોમીટરના અંતરે કોસમ ગામની ઉત્તર દિશા તરફ હિરણ્ય નદીના કિનારે આ વાવ આવેલી છે. વાવની સળંગ ભીંતો અને પગથિયા જ્વાળામુખીના પથ્થરમાંથી બનેલા છે. જ્યારે કૂવાનો ભાગ અને તેના ઉપરની કમાનો અને કેટલાક પાટડાં રેતીયા પથ્થરના છે. ભારત અને ગુજરાત માંથી પ્રાપ્ત વાવોમાં આ પ્રકારની વાવ તેના પદાર્થો અને પ્રકારને લઈને નોંધપાત્ર અને અનોખી છે. નવરાત્રી દરમિયાન અહીં ફૂલની માંડવી મૂકવાનો રિવાજ છે સાથે હોમ હવન પણ કરવામાં આવે છે. આ વાવ અંગે ઘણી દંતકથાઓ ગામલોકોમાં પ્રચલિત છે. આ વાવની અનેક વિશેષતા હોવા છતાં એનો ચોક્કસ સમય તેની બાંધણીને લઈને કહેવો મુશ્કેલ છે. છતાં પણ સલ્તનત કાલની વાવની રચના પધ્ધતિ સાથે તેનું સ્થાપત્ય સમાનતા ધરાવતું હોવાને કારણે આ વાવ 14મી સદીની ગણી શકાય. વિજયનગર -પોળોનું સૌંદર્ય અને સ્થાપત્ય કલાને માણવા અનેક પ્રવાસીઓ આ રસ્તેથી પસાર થતા હોવા છતાં આજદિન સુધી આ અનોખા પ્રકારની વાવ વિશે કોઈ જાણકારી ધરાવતું નથી. ફોટો જર્નાલિસ્ટ દિલીપ ઠાકર સાથે “ગુજરાતના જળાશયો” પ્રોજેક્ટ અંગેનાં ફિલ્ડ વર્ક દરમિયાન અચાનક જ આ વાવની ભાળ મળી. ગુજરાતની નોંધાયેલી વાવોમાં ઉમેરો થયાંનો આનંદ અનુભવી અને પ્રવાસીઓ આ વાવ સુધી આવે તેવી વ્યવસ્થા ગોઠવાય તેવી આશા રાખીએ છીએ.