જવાહરલાલ નહેરુએ સ્મારક સંગ્રહાલયને 10 મે 1963ને રોજ ખુલ્લું મૂકતાં કહ્યું હતું કે, “હું વિચારુ છું કે, મને આ જુના સ્થળે તમે આમંત્રણ આપ્યું છે, આ સ્થળ યાદોથી ભરેલું છે. એ સારું થયું કે તમે અહીં એક મ્યુઝિયમ બાંધ્યું છે – એક સુંદર મ્યુઝિયમ….”
દેશના પહેલાં વડાપ્રધાન અને આઝાદી સમયના ગાંધીજીના સાથીદાર જવાહર લાલ નહેરુએ મ્યુઝિયમ ખૂલ્લું મૂક્યું તેના 7 વર્ષ પછીના સંચાલકોએ ગાંધીજીના સ્મારકોની મોટા પાયે તોડફોડ કરી હતી. મનમાન્યા ફેરફારો કરી દીધા હતા. તેમનો એક ફેરફાર હતો વિનોબા ભાવે અને મીરા કુટીરનો.
એક સમયે જ્યાં વિનોભા ભાવે રહેતાં હતા તે મકાન તોડી પાકવામાં આવ્યું હતું. આ મકાન ગાંધીજી જ્યાં રહેતાં હતા તે હ્રદય કૂંજની જમણી બાજુએ હતું. તે તોડી પાડીને થોડે દૂર નકલી મકાન બનાવવામાં આવ્યું હતું. આજે 8 લાખ લોકો વર્ષે તે નકલી વિનોબા ભાવે કુટીરને અસલી માનીને ધન્યતા અનુભવીને જાય છે. પણ તેમને ખબર નથી હોતી કે ગાંધી આશ્રમના સંચાલકો તેમની સાથે છેતરપીંડી કરી રહ્યા છે. નકલી વસ્તુને અસલી બતાવી રહ્યાં છે.
કોણ હતા વિનોબા ભાવે
વિનાયક નરહરી ભાવે તેમનું મૂળ નામ હતું. 1695માં જન્મ થયો અને 1982માં મૃત્યું થયું હતું. દશ વર્ષની કુમળી વયે જ આજીવન બ્રહ્મચર્ય અને લગ્ન નહીં કરવાની પ્રતિજ્ઞા કરી હતી. ભારતના રાષ્ટ્રીય અધ્યાપક અને મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ઉત્તરાધિકારી હતા. વિનોબા નામ ગાંધીજીએ પાડ્યું હતું. આજની પેઢીમાં ઘણાં તેમને સ્ત્રી માને છે, પણ તેઓ પુરૂષ હતા. સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે પણ ગાંધીજીએ જ્યારે ‘વ્યકિતગત સત્યાગ્રહ’ શરૂ કર્યો હતો. ત્યારે તેમની પ્રથમ પસંદગી વિનોબાજી પર ઉતરી હતી. શિક્ષણ, સમાજ સુધારણા, સર્વોદય વિચાર, ભૂદાન, સંપત્તિદાન, ગ્રામદાન અને જીવનદાન જેવી પ્રવૃત્તિઓ કરતાં રહ્યાં હતા. વિનોબાનું કાર્ય પ્રેમ અને કરૂણાના પથ પર રહ્યું હતું. વિનોબા ભાવે ભારતની પ્રાચીનતમ સાંસ્કૃતિક વિરાસતનું અનમોલ રત્ન હતા. તેઓ ગાંધી આશ્રમમાં 1921-22માં જ્યાં રહેતાં હતા તે મૂળ મકાન તોડી પાડવામાં આવ્યું છે. તેનાથી થોડે દૂર નકલી કુટીર બનાવવામાં આવી છે. જે અંગે સમાચારપત્રમાં તેનો અહેવાલ છપાયો હતો છતાં તે અંગે 47 વર્ષથી કોઈ પગલાં ભરાયા નથી.
ગાંધીજીના મુખ્ય શિષ્ય વિનોબા
ગાંધીજીના એક મુખ્ય શિષ્ય વિનોબા ભાવે ને આજે બહુ ઓછા લોકો ઓળખતા હશે. ભુમિવિહિન ખેડૂતોને જમીન આપવાની લડત ઉપાડી હતી. જમીનદારો પાસેથી જમીન દાનમાં મેળવીને જમીન વિહોણાને આપતાં હતા. ગાંધીજીનું અવસાન થયા પછી ભારતના લોકોએ વિનોબામાં ગાંધીજીને જોયા હતા. ગાંધીજીના સિધાંતો તેમનામાં હતા. દેશની પ્રજા ઉપર હજી ગાંધીજીની સાદાઈ અને સામાન્ય લોકો માટે કરી છુટવાની ભાવનાની અસર મોજુદ હતી, ગાંધીજીની જેમજ બે વસ્ત્ર ધારણ કરેલા વિનોબાજીને જોઈને ઘણા ને તેમનામાં ગાંધીજીના દર્શન થતા હતા. તેમની રહેણી કરણી અને રીતભાત પણ ગાંધીજી જેવાજ હતા. વિનોબાજી કંઈક અંશે ગાંધીજીના પર્યાય હતા.
બનાવટી વિનોબા અને મીરાબેન કુટીર
હાલ જે વિનોબા કુટીર છે તે બનાવટી છે. પાછળથી બનાવેલી છે. ઐતિહાસિક સ્મારક તોડીને નવેસરથી બનાવ્યું છે. એ એટલા માટે કે ગાંધીયનો હ્રદ્યય કૂંજ સામે આ કુટીર ઈચ્છતાં ન હતા તેથી તેને તોડી પાડીને થોડે દૂર બનાવી હતી. જે લગભગ જૂન 1970માં તોડી પાડવામાં આવી હતી. હાલ જે વિનોબા કુટીર છે તેનું બાંધકામ આશ્રમની મૂળ બીજા 12 ઈમારતો છે તેની સાથે જરાપણ મેળ બેસતું નથી. બધી જ ઈમારતો પાયા પર ઉંચી છે. જ્યારે વિનોબા – મીરા કુટીર સાવ જમીન તળિયે છે. વળી આ કુટીર બની તો છે, પણ તેમાં વિનોબા ભાવે અને મિરાબેન કઈ રીતે રહેતાં હશે તે એક સવાલ છે. બે દરવાજા છે. પણ વચ્ચે કોઈ દિવાલ જ નથી. જે માત્ર પ્રતિકૃતી બનાવવામાં આવી છે. લોકોને અસલી તરીકે બતાવીને આજે 2018માં પણ ગાંધીજીના નામે છેતરવામાં આવી રહ્યાં છે. ખરેખર આશ્રમના સંચાલકોએ ત્યાં એક નોંધ મૂકવાની જરૂર છે કે આ મૂળ મકાન નથી. મૂળ મકાન તોડી પાડવામાં આવ્યું છે. તેના સ્થાને આ પ્રતિકૃત્તી છે. પણ તેમ નહીં કરીને 1970થી આજ સુધીના 47 વર્ષથી લોકોની સાથે ગાંધીજીના નામે છેતરપીંડી કરવામાં આવી રહી છે. આમ ગાંધીજીના સ્મારકોની ઐતિહાસિક અગત્યતા અવગણવામાં આવી રહી છે. ટ્રસ્ટીઓએ અગાઉ જે ભૂલ કરી હતી તે હાલના ટ્રસ્ટીઓએ સુધીરી લઈને સત્યના પુજારી ગાંધીજીને માટે સત્ય જાળવવું જોઈએ. અહીં દર વર્ષે 7થી 8 લાખ લોકો આવે છે અને તેઓ એવું જ માને છે કે ગાંધીજીના હ્રદય કૂંજની જેમ આ પણ અસલી છે. જ્યાં મૂકવામાં આવેલું લખાણ પણ લોકોને ગેરમાર્ગે દોરનારું છે.
નેશન આર્કાવ્ઝનું ચિત્ર ઘણું કહે છે
નેશનલ આર્કાઈવ્ઝમાં ગાંધી આશ્રણની ઈમારતોના કેટલાંક ચિત્રો મુકવામાં આવ્યા છે. જેમાં એક મીરા કુટીર પણ છે. 1945થી 1956 સુધીના સમય ગાળા દરમિયાન આ ચિત્રો દત્તામહા નામના ચિત્રકારે બનાવ્યા હતા. મીરાં બહેન આ નાનકડી ઝૂંપડીમાં રહેવા લાગ્યાં તે પહેલાં ત્યાં વિનોબા ભાવે રહેતા હતા. આ એક સૌથી મોટો પૂરાવો છે કે વિનોબા કુટીર મૂળ સ્થાને નથી. આ ચિત્ર બીબીસીએ હમણાં જ પ્રકાશિત કર્યું હતું.
1923માં રોમારોલા દ્વારા મીરાબેન (મિસ સ્લેડ) નો પરિચય ગાંધીજીને થયો હતો. ત્યાર બાદ ગાંધીજી અને મિસ સ્લેડ વચ્ચે પત્રવ્યવહાર ચાલેલો હતો. ગાંધીજી તેમને પોતાની પુત્રી સમાન માનતાં હતા.
કિસન ત્રિવેદીએ વિનોબા કુટીર તોડી હતી
1921-22માં બનેલું આ મકાન હતું. એક જ મકાનના બે નામ હતા વિનોબા અને મીરાબેન કુટીર. આ પવિત્ર સ્થળને તોડી પાડવાનો હુકમ કિસન ત્રિવેદી. આવું કરવાનો તેમનો ઈરાદો શું હતો તે આજ સુધી રેકર્ડ પર લેવામાં આવ્યું નથી. તેઓ આશ્રમના ડાયરેક્ટર – નિયામક હતા. ત્રિવેદી પહેલાં સરકારી કર્મચારી હતા. તેમાં રાજીનામું આપવાની ફરજ પડી હતી. તેમણે શા માટે સરકારી નોકરી છોડી તે અંગે આશ્રમે ક્યારેય તપાસ કરી ન હતી. તે આશ્રમના લોકોને કહેતાં હતા કે વિનોબા ભાવેની વિનંતીને માન આપીને તેણે નોકરી છોડી હતી. પછી તેઓ સર્વોદય કાર્યકર તરીકે ભૂદાન પ્રવૃત્તિમાં જોડાયા હતા. ત્રિવેદી 1970માં રૂ.1100નો પગાર લેતાં હતા. તેમની સામે આશ્રમના અનેક કર્મચારીઓએ લેખિતમાં વિરોધ કર્યો હતો. તેઓ ગાંધીજીના સિધ્ધાંતની વિરૂદ્ધ હંમેશ વર્તી રહ્યાં હતા. જો હુકમી કરતાં રહેતાં હતા. કર્મચારીઓને ધમકી આપી આશ્રમની નોકરીમાંથી હાંકી કાઢતાં હતા. આશ્રમની વસ્તુઓ તેઓ પોતે રહેતાં આશ્રમના 8 ઓરડાના મકાનમાં વારતાં હતા. ગાંધી સતાબ્દી વખતે ખોટા બિલ તેમણે બનાવીને આશ્રમમાંથી પૈસાની ઉચાપત કરી હતી. ગાંધીજીના શતાપ્દીની ઉજવણી વખતે કિશન ત્રિવેદીએ ગાંધીજી પર એ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું જે બનાવવાનો કોન્ટ્રાક્ટ તેમના ભાઈને જ આપ્યો હતો.
વિનોબા ભાવે શું કહે છે, તેમના જ શબ્દોમાં
1922-23ના અરસામાં અમે આશ્રમમાં બપોરે ચાર વાગ્યા સુધી રેંટીયા પર સુતર કાંતવાનું કામ કરીને હિસાબ લગાવતા કે ત્યાં સુધીમાં કેટલું કામ થયું અને તેની કેટલી મજૂરી મળી. તેમાં જો એમ જણાય કે સાંજે છ વાગ્યા સુધીમાં, એટલે કે આઠ કલાકમાં પૂરતી મજૂરી મળી જશે, તો જ સાંજની રસોઈ બનાવવામાં આવતી, નહીં તો વિચારાતું કે શું કરવું છે ? સાંજનું ભોજન છોડી દેવું છે કે પછી આઠ કલાક પછીયે વધુ કામ કરીને જરૂરી મજૂરી મેળવવી છે ? જુવાનિયા મોટે ભાગે પૂરું ભોજન ઈચ્છતા, એટલે વધારે કામ કરવામાં આવતું. અથવા ક્યારેક જેટલી મજૂરી ઓછી પડતી હોય, તેટલી ચીજો તે દિવસની રસોઈમાંથી કાઢી નાખવામાં આવતી.
એક અર્થશાસ્ત્રી તરીકે
સને 1924ની વાત છે. મેં અર્થશાસ્ત્રનું અધ્યયન શરૂ કર્યું, અને તેની સાથે મેં તે દિવસોમાં મારું રોજનું ગુજરાન બે આનામાં કરવાનું નક્કી કર્યું; કેમ કે તે વખતે હિંદુસ્તાનમાં માથાદીઠ ઓછામાં ઓછી આવક દોઢ-બે આના હતી. ત્યારે સાત પૈસાનું ભોજન અને એક પૈસો બળતણ માટે (ત્યારના આઠ = બે આના, અને સોળ આના = 1 રૂપિયો), એવો મારો હિસાબ હતો. સાત પૈસામાં જવારના રોટલા, મગફળી, ગોળ, દાળ, થોડુંક શાક, મીઠું, આંબલી એટલી ચીજો આવતી. એક વાર ગાંધીજીના ઉપવાસને કારણે મારે એમની પાસે દિલ્હી જવું પડ્યું. ત્યાં જુવાર નહોતી મળતી, ઘઉં જ મળતા હતા અને તે મોંઘા હતા. એટલે ત્યાં મારે મગફળી છોડવી પડી. મારો આ ‘બે આના આહાર’ નો પ્રયોગ વરસેક ચાલ્યો.
સિધ્ધી માટે એકાગ્ર બનો
કોઈકને થશે કે અર્થશાસ્ત્રના અધ્યયનને વળી આવી તપસ્યા સાથે શો સંબંધ છે ? તો એ વિશે મારે કહેવું છે કે અધ્યયન ત્યારે જ હજમ થાય છે, જ્યારે આપણે તેમાં ઓતપ્રોત થઈ જઈએ છીએ, આપણી ઈન્દ્રિયોને, પ્રાણોને કસીને તેમાં એકાગ્રતા સાધીએ છીએ. એક વાર મેં બે વરસ અત્યંત એકાગ્રતાથી વેદોનું અધ્યયન કરેલું. ત્યારે પણ હું માત્ર દૂધ-ભાત ઉપર રહ્યો હતો. આવી રીતે વિચારોની સાથે જીવનને જોડવાની મને આદત છે. 1935માં ફરી એક વરસ સુધી પ્રયોગ કર્યો. તેમાં એક દિવસ પણ પડવા ન દીધો. ચરખા ઉપર સૂતર કાંતનારાઓને પૂરતી કમાણી નથી થતી, તેની ચર્ચા ચાલતી હતી. એક બાજુ એમ કહેવાતું કે મજૂરી વધારીશું તો ખાદીના ભાવ વધશે અને તે વેચાશે નહીં. બીજી બાજુ, શ્રમ કરનારાને જીવનનિર્વાહ પૂરતુંયે ન મળે, તે કેમ ચાલે ? આનો શો ઉપાય ? આનો ઉપાય એ જ કે મારા જેવાએ પોતાના જીવનમાં પ્રયોગ કરીને જોવું કે ત્યારે કાંતનારાને જેટલી મજૂરી મળતી હતી, તેટલી જ મજૂરીમાં ગુજરાન શી રીતે થઈ શકે છે.
ખાદી કાંતતા હતા
મેં રોજની ચાર-ચાર આંટી કાંતવાનો મહાયજ્ઞ શરૂ કર્યો. તેમાં સાડા આઠથી નવ કલાક થઈ જતા. ઊભો-ઊભો કાંતતો, બેસીને કાંતતો, બેન્ચ પર બેસીને કાંતતો, જમણે હાથે કાંતતો, એ હાથ થાકે એટલે ડાબે હાથે કાંતતો. રોજ ચાર આંટી પૂરી થવી જોઈએ. અને છતાં ચરખા સંઘના તે વખતના દર મુજબ મને મહિને દહાડે આની પાંચ રૂપિયા મજૂરી મળતી. એટલામાં જ મેં મારો નિર્વાહ ચલાવવાનો પ્રયત્ન કર્યો. પણ મેં પ્રયોગ કરીને જોયું કે મહિને સાત-સાડા સાત રૂપિયા તો મળવા જ જોઈએ. દરેક કાંતનારને આઠ કલાકના કામથી મહિને આટલું તો મળવું જ જોઈએ. મારા આ પ્રયોગથી ઘણાની આંખ ઊઘડી ગઈ. ગાંધીજીને પણ ખબર પડી. ઘણાએ મજૂરી વધારવાનો વિરોધ કર્યો. પણ ગાંધીજીએ દઢતાપૂર્વક ચરખા સંઘ પાસે કાંતનારને જીવન-વેતન આપવાનો સિદ્ધાંત કબૂલ કરાવ્યો. મેં કહ્યું, ‘આનાથી મને અપાર આનંદ થયો, કારણ કે હું પણ એક મજૂર છું. ઘાયલ કી ગત ઘાયલ જાને !’
શ્રમ કરનારને ઓછી મજૂરી મળે છે
હું જે પૈસો કમાઉં છું, હું જે અન્ન ખાઉં છું, તેમાં કોઈનું શોષણ તો નથી થયું ને – એવું વિચારવું પડશે. માત્ર ધન-આધારિત આજની વ્યવસ્થામાં આવું કાંઈ ઝટ સૂઝતું નથી. આપણે એમ માની લીધું છે કે દુનિયામાં આવું જ ચાલે. પરંતુ ઊંડાણથી આ બધો વિચાર કરવો પડશે. આજે શરીરશ્રમ કરનારને ઓછી મજૂરી મળે છે, અને બીજાં કામો કરનારાઓને તેનાથી અનેકગણું મળે છે. એટલે સમાજમાં શ્રમનું મૂલ્ય સ્થપાય તે જરૂરી છે. પ્રચલિત અર્થવ્યવસ્થા અને સમાજ ઉપર આપણે કુઠારાઘાત કરવો છે. આખીયે વ્યવસ્થા આજે ધન-આધારિત છે, તેને બદલે તેને શ્રમ-અધારિત બનાવવી છે.
આવી દષ્ટિથી મજૂરીને, એટલે કે શરીરશ્રમને ઉપાસના રૂપ સમજીને હું જીવ્યો છું. તે અંગે સાથીઓ સાથે મળીને વરસો સુધી મેં જાતજાતના પ્રયોગો કર્યા છે. તેને માટે રાત ને દિવસ કલાકો સુધી કામ કરવું પડ્યું, તે મેં કર્યું છે. ત્રીસેક વરસ સુધી તો સામાન્ય રીતે આઠ કલાકનો શ્રમ મારો થતો જ. ક્યારેક વધુ પણ થતો. ખેતી, પાણી પાવું, દળવું, ભંગીકામ, કાંતણ, વણાટ, ધોલાઈ, સુથારી કામ, એમ જાતજાતનાં કામો કલાકો સુધી હું સતત ત્રીસ વરસ સુધી કરતો રહ્યો છું. છપ્પન વરસની ઉંમરે પછી દેશભરની પગપાળા યાત્રા ચાલી, ત્યારે મેં માન્યું કે ચાલવું એ આ અવસ્થામાં મારો શરીરશ્રમ જ છે.
હું શરીરશ્રમ કરતો રહ્યો, તો તેનાથી મારી બુદ્ધિની શક્તિ ઘણી વધી, ઓછી નથી થઈ. હું એમ કહેવા નથી માગતો કે જેઓ રાતદિવસ કેવળ શરીરશ્રમ કરશે, એમની બુદ્ધિ તીવ્ર થશે. કોઈ પણ ચીજ ‘અતિ’ થઈ જાય છે, તો માણસનો વિકાસ અટકી જાય છે. પણ હું એમ તો જરૂર કહેવા માગું છું કે જેના જીવનમાં શરીરશ્રમનો સારો એવો અંશ અને તેની સાથે ચિંતન પણ હશે, એમની બુદ્ધિની તેજસ્વિતા વધશે. (ભૂમિપુત્રમાંથી)
જો ગાંધીજીના મુખ્ય શિષ્ય એવા વિનોબા ભાવેના રહેવાના મકાન સાથે આ રીતે છેડછાડ કરતાં હોય તો પછી ગાંધીજી માટે શું નહીં કર્યું હોય ? ગાંધીજી માટે પણ ગાંધી આશ્રમે ઘણી છેતરપીંડી કરી છે. કઈ હતી એ છેતરપીંડી ? શું એ બધું તપાસ પંચ સમક્ષ આવી શકે તેમ હતું ?