ગાંધીનગર, તા. 22 ગુજરાતના મુખ્ય સચિવનો કાર્યકાળ 30મી નવેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે રાજ્યના નવા મુખ્ય સચિવ કોણ બનશે તેની અટકળો હાલમાં સચિવાલયમાં ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સામાન્ય રીતે સરકારની ગૂડબૂકમાં હોય એવા વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ એટલે કે અધિક મુખ્ય સચિવ હોય તેમને આ પદ આપવામાં આવે છે.
મુખ્ય સચિવને અપાયું હતું છ મહિનાનું એક્સ્ટેન્શન
સામાન્ય રીતે કોઈપણ રાજ્યના મુખ્ય સચિવ હોય અને તેમની વય નિવૃત્તિ આવતી હોય તો સરકાર ઈચ્છે તો તેમને ત્રણ મહિનાનું એક્સ્ટેન્શન આપી શકે છે. અને પછી જો જરૂર જણાય તો બીજા ત્રણ મહિનાનું એક્સ્ટેન્શ આપવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકારે રાજ્યના મુખ્ય સચિવ જે. એન. સિંઘની વય નિવૃત્તિ બાદ તેમને છ મહિનાનું એક્સ્ટેન્શન આપી દીધું. એટલે હવે તેમને એક્સ્ટેન્શન મળવાનું નથી. આ સંજોગોમાં નવા મુખ્ય સચિવ માટે સરકારે વિચારણા શરૂ કરી છે.
કોણ કોણ છે મુખ્ય સચિવ પદની દોડમાં?
રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે એકદમ વરિષ્ઠ અને સરકારની ગૂડબૂકમાં હોય એવા આઈએએસ હોય તેની પસંદગી કરવામાં આવે છે. જોકે, રાજ્ય સરકારના અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પદ માટે હાલમાં પંકજકુમાર અને મુકેશ પુરી દોડમાં સૌથી આગળ છે. કેમ કે આ બન્ને આઈએએસ અધિકારીઓ સરકારની ગૂડબૂકમાં આવે છે.
અન્ય કોણ કોણ દાવેદાર?
હાલમાં અરવિંદ અગ્રવાલ ગુજરાતના એકદમ વરિષ્ઠ આઈએએસ અધિકારી છે. જોકે તેમની સામે એક કેસની ખાતાકીય તપાસ ચાલતી હોવાથી તેમની શક્યતા ઓછી દેખાઈ રહી છે. તેમના પછી 1985ની બેચના સુજીત ગુલાટી પણ વરિષ્ઠ છે, પરંતુ તેઓ સરકારની ગુડબુકમાં આવતા નથી. જ્યારે 1985ની બેચના અનિલ મૂકિમ બધી રીતે પરફેક્ટ માનવામાં આવે છે, પરંતુ તેઓ હાલ ડેપ્યુટેશન પર કેન્દ્ર સરકારમાં ફરજ બજાવી રહ્યા છે. આથી તેમને ફરીથી કેન્દ્રમાંથી હટાવીને ગુજરાતના નવા મુખ્ય સચિવ બનાવવા તેની વિચારણા પણ ચાલી રહી હોવાનું સૂત્રો કહે છે. જ્યારે વરિષ્ઠ પૂનમચંદ પરમાર પણ આવતા વર્ષે નિવૃત્ત થઈ રહ્યા છે. વરિષ્ઠ આઈએએસ સંગીતા સિંઘ પણ 2020માં જ નિવૃત્ત થવાના છે. ત્યારબાદ 1986 બેચના સંજય પ્રસાદનું નામ આવે છે, પરંતુ તેઓ અગ્રેસિવ ન હોવાથી અને સીધા તેમ જ સરળ હોવાથી તેમને મુખ્ય સચિવ બનાવવામાં સરકારને કોઈ રસ નથી. તેમજ 1986 બેચના ડોક્ટર રાજીવકુમાર ગુપ્તા પણ મુખ્ય સચિવનું પદ મેળવવા માટે પોતાની શક્તિ લગાવી રહ્યા છે, પણ તેમની આગળ આનંદીબહેન પટેલનો સિમ્બોલ લાગી ગયો હોવાથી આ સંજોગોમાં તેમની શક્યતા જણાતી નથી.
પંકજકુમાર પ્રબળ દાવેદાર

હાલમાં મહેસૂલ વિભાગમાં ફરજ બજાવતા અધિક મુખ્ય સચિવ અને 1986 બેચના આઈએએસ પંકજકુમારની શક્યતા વધુ જોવાઈ રહી છે. તેઓ પાસે વિવિધ વિભાગોનો સારો એવો અનુભવ છે અને વહીવટીતંત્ર પર પણ તેમની પકડ જોવા મળે છે. સરકાર અને વહીવટી તંત્રની વચ્ચે તેઓ સારી કામગીરી કરી શકવા માટે સક્ષમ છે. તેઓ કોઈ વિવાદમાં પણ આવતા નથી અને સરકારમાં તેમની છબી સારી છે.
મુકેશ પુરી પણ દોડમાં સામેલ
આ બધા કરતા થોડા જુનિયર ગણાતા 1988ની બેચના તથા હાલમાં શહેરી વિકાસની જવાબદારી સંભાળી રહેલા આઈએએસ અધિકારી મુકેશ પુરીનું નામ પણ મુખ્ય સચિવના દાવેદારોની રેસમાં ચાલી રહ્યું છે કારણ કે તેઓ પણ સરકારને વિશ્વાસમાં લઈને વહીવટીતંત્રમાં કામ કરવા માટે જાણીતા છે.
આમ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અને કેન્દ્રમાં કેટલાક આઈએએસ અધિકારીઓ ડેપ્યુટેશન પર જતા તેમ જ અન્ય કેટલાક કારણો અને બાબતોને ધ્યાનમાં રાખીએ તો ગુજરાતના મુખ્ય સચિવનું પદ મળી શકે છે. તેવા અધિકારીઓમાં સૌથી વધુ શક્યતા પંકજકુમાર તથા મુકેશ પુરીની છે. જો સરકાર ઈચ્છે તો વરિષ્ઠ એવા અરવિંદ અગ્રવાલને નવા મુખ્ય સચિવનું પદ મળી શકે છે.

English





You must be logged in to post a comment.