અમદાવાદઃ તા:08 રાજ્યની તમામ શાળાઓમાં હાલમાં વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે વેકેશન દરમિયાન જ વિદ્યાર્થીલક્ષી કામકાજ પૂર્ણ કરી દેવા માટે અમદાવાદ જિલ્લા અને શહેરના શિક્ષણાધિકારીએ આદેશ કર્યા છે. દરેક શાળાઓને મોકલવામાં આવેલા પરિપત્રમાં એવી તાકીદ કરવામાં આવી છે કે ભૂતકાળમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા અમુક ચોક્કસ કામ વેકેશન દરમિયાન જ પૂરા કરી દેવા માટે સૂચના આપવામાં આવી હતી, છતાં પણ કેટલીક શાળાઓ વેકેશન પૂર્ણ થયા પછી પણ આ કામગીરી કરતી નથી. જેના કારણે ફરીવાર આ પ્રકારનો પરિપત્ર કરવાની ફરજ પડી છે.
દરેક સ્કૂલોને મોકલવામાં આવેલા પરિપત્રમાં એવી તાકીદ કરવામાં આવી છે કે, વેકેશન દરમિયાન જ શાળામાં વીજવાયર ખુલ્લા છે કે નહીં તેની તપાસ કરી લેવાની રહેશે. આ ઉપરાંત શાળામાં સ્વિચ અને લાઈટ ફિટિંગ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે નહીં, આ ઉપરાંત સ્વિચબોર્ડ સલામતીની દૃષ્ટિએ યોગ્ય છે કે નહીં તેની ચકાસણી કરવાની રહેશે. આ ઉપરાંત છતમાં કરાયેલા થર્મોકોલના સ્તરમાં જગ્યા રહેતી હોય તો આગ લાગવાની શક્યતા વધી જતી હોવાથી આ પ્રકારની ક્ષતિ તાકીદે દૂર કરવાની રહેશે. વોટર કૂલરથી પણ શોર્ટસર્કિટ થતી હોવાથી તેમાં પાણીના લીકેજ અંગેની પણ તપાસ કરવાની રહેશે. આ ઉપરાંત પંખાના હૂક બોલ્ટ યોગ્ય રીતે લાગ્યા છે કે નહીં, શાળાનાં બારી-બારણાં યોગ્ય છે કે નહીં તેની ચકાસણી પણ કરવાની રહેશે. દરેક શાળાઓએ ફાયર સેફ્ટીને લગતું સર્ટિફિકેટ પણ મેળવી લેવાનું રહેશે. આ સિવાય શાળાના મકાનનું સ્ટ્રક્ચરલ પ્રમાણપત્ર પણ માન્ય સંસ્થા પાસેથી લેવાનું રહેશે. આ ઉપરાંત દરેક પ્રિન્સિપાલે ફાયર સેફ્ટી અધિકારીના સંપર્કમાં રહીને વારંવાર અકસ્માત સમયે શું કરવું અને શું ન કરવું તેની જાણકારી વિદ્યાર્થીઓને આપવાની રહેશે. શાળા છૂટવાના કે રિસેસના સમયે બાળકો રોડ પર ન જાય તેની તકેદારી પણ સંચાલકોએ રાખવાની રહેશે. શાળાના ગેટમાં વિઝિટ બુક રાખવી અને સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. ખાલી ઓરડાની ચાવી આચાર્યએ પોતાની પાસે રાખવાની રહેશે. આ ઉપરાંત પ્રયોગશાળામાં વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને અગ્નિશામક સાધનોની વ્યવસ્થા કરવાની રહેશે. વિદ્યાર્થીઓના પરિવહન અંગે પણ જરૂરી સલામતીના નિયમોની ચકાસણી કરવા માટે શાળાઓને તાકીદ કરવામાં આવી છે.