શહેરો માટે રૂ.596 કરોડના કામો સરકારે મંજૂર કર્યા

રાજ્યની ૧૮ નગરપાલિકાઓ અને રાજકોટ સૂરત, વડોદરા, ભાવનગર તેમજ જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓને પાણી પુરવઠા ભૂગર્ભ ગટર યોજના, રેલ્વે ઓવરબ્રિજ, અન્ડરબ્રિજ, ટ્રાફિક સિગ્નલ, નગરબ્યુટિફિકેશન, રોડ અને સ્ટ્રીટલાઈટના માળખાકીય વિકાસ કામો માટે રૂ.૫૯૬.૩૪ કરોડની ગ્રાન્ટ ફાળવવાની મંજૂરી ગુજરાત સરકારે આપી છે.

પાણી પુરવઠાના કામો માટે રૂ. ૧૫૩.૧૧ કરોડ, રેલ્વે ઓવરબ્રિજ – અંડરબ્રિજ કામો માટે રૂ. ૬૨.૨૩ કરોડ, ભૂગર્ભ ગટર યોજના માટે રૂ. ૩૪૪.૩૬ કરોડ, આગવી ઓળખના કામો અને બ્યુટિફિકેશન કામો માટે રૂ. ૮.૫૬ કરોડ, રોડ રસ્તા અને સ્ટ્રીટલાઈટ કામો માટે રૂ. ૮.૫૮ કરોડ, તેમજ ટ્રાફિક સિગ્નલ અને ઇન્ટીગ્રેટેડ કમાન્ડ કન્ટ્રોલ સેન્ટર માટે રૂ. ૧૯.૫૦ કરોડ ફાળવવામાં આવશે.

પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાયાવદર નગરપાલિકાને રૂ. ૧.ર૯ કરોડ, જામરાવલ નગરપાલિકાને રૂ. ૪.૮૮ કરોડ તથા કડોદરા નગરપાલિકાને રૂ. ૧૧.૬૮ કરોડ ફાળવાયા છે. પાણી પુરવઠાના કામો માટે સુરત મહાનગરપાલિકાને રૂ. ૬ર.ર૬ કરોડ તથા વડોદરા મહાનગરમાં પ૦ એમ.એલ.ડી.ના નવા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે રૂ. ૬૧ કરોડ તેમજ તાજેતરમાં વડોદરામાં સમાવવામાં આવેલા આઉટગ્રોથ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધાના કામો માટે રૂ. ૧ર કરોડ મળશે.

નગરો અને મહાનગરોમાં ટ્રાફિક અને વાહન યાતાયાત નિયંત્રણ-સુવિધા માટે રેલ્વે ઓવરબ્રિજ અને અંડરબ્રિજના કામો માટે ભાવનગર મહાનગરપાલિકાને રેલ્વે અંડરબ્રીજ માટે રૂ. ૬.૮૩ કરોડ તેમજ જુનાગઢ મહાનગરપાલિકાને રેલ્વે ઓવરબ્રિજ માટે રૂ. ૩૧.૪૦ કરોડ ફાળવાયા છે. હિંમતનગર, તલોદ, વિજલપોર અને વાપી આ ચારેય નગરપાલિકાઓને રેલ્વે અંડરબ્રિજ માટે પ્રત્યેકને રૂ. ૬ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

જુનાગઢ મહાનગરપાલિકામાં ટ્રાફિક સીગ્નલના કામો માટે રૂ. ૧.પ૦ કરોડ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકામાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ઇન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર અને ફાયરબ્રિગેડના નવિનીકરણ માટે રૂ. ૧૮ કરોડ મંજૂર કર્યા છે.

ભૂર્ગભ ગટર કામો માટે કુલ રૂ. રૂ. ૩૪૪.૩૬ કરોડ સરકારે મંજૂર કર્યા છે તેમાં વડોદરા મહાનગરના આઉટગ્રોથ વિસ્તારમાં ગટરના કામો માટે રૂ. ૧પ કરોડ, બોટાદ નગરપાલિકાને રૂ. ૪૩.૩ર કરોડ, ગાંધીધામ નગરપાલિકાને રૂ. ૯૯.૬ર કરોડ, માંગરોળ નગરપાલિકાને રૂ. ૮૮.૭૪ કરોડ તથા મોડાસા નગરપાલિકાને રૂ. ૬૪.૭પ કરોડ અને રાજપીપળા નગરપાલિકાને રૂ. ૧૭.પ૬ કરોડ ફાળવામાં આવશે.

રાજ્યની નગરપાલિકાઓને સંબંધિત નગરની આગવી ઓળખના કામો માટે જે રકમ મંજૂર કરવામાં આવી છે તેમાં, બાયડ નગરપાલિકાને ટાઉનહોલ બનાવવા રૂ. ૧.૯૮ કરોડ, દામનગર નગરપાલિકાને તળાવ બ્યૂટીફિકેશન માટે રૂ. ૧.૯૮ કરોડ, પાદરાને તળાવ બ્યૂટીફિકેશન માટે રૂ. ૩.૧૦ કરોડ અને માણસા નગરપાલિકાને આ જ કામ માટે રૂ. ૧.પ૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.

ખાનગી સોસાયટીમાં જનભાગીદારીના કામો અન્વયે જુનાગઢ મહાનગરપાલિકામાં રોડ અને સ્ટ્રીટલાઇટના ૩૭ કામો માટે રૂ. પ.૭૬ કરોડ અને ભાવનગર મહાનગરપાલિકાને રોડ-રસ્તાના પ૯ કામો માટે રૂ. ૧.૭પ કરોડ જ્યારે કે સાવલી નગરપાલિકાને રોડ-રસ્તાના પાંચ કામો માટે રૂ. ૧.૦૭ કરોડ ફાળવવામાં આવશે.