સિહોરના ખારી ગામે તળાવમાં ડૂબતાં માતા અને બે બાળકોનાં મોત

ભાવનગર,24

સિહોરના ખારી ગામમાં બનેલી ઘટનાએ સમગ્ર ગામને શોકમગ્ન બનાવી દીધું છે.સિહોરના ખારી ગામે ખેતરેથી કામ કરીને નયનાબહેન રાઠોડ અને તેમનાં બે સંતાનો માયા અને લાલજી ગામમાં પરત ફરી રહ્યાં હતાં. તે દરમિયાન રસ્તામાં ચાર વર્ષીય પુત્રીનો પગ લપસતાં તે તળાવમાં ખાબકી હતી અને ડૂબવા લાગી હતી. એકાએક બનેલી આ ઘટનાથી માતા નયનાબહેન ગભરાઈ ગયાં હતાં અને પુત્રીને બચાવવા માટે 9 માસના પુત્ર લાલજી સાથે જ તળાવમાં કૂદી પડ્યાં હતાં. જો કે વરસાદ બાદ ભરાઈ ગયેલા તળાવમાં પડેલાં માતા અને સંતાનોને તરતા આવડતું ન હોઈ ત્રણેય ડૂબી ગયાં હતાં.ઘટના અંગે સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતાં દોડી આવેલી ફાયરબ્રિગેડની મદદથી સ્થાનિકોએ ત્રણેયના મૃતદેહને બહાર કાઢ્યા હતા. પોલીસે માતા અને તેનાં બે સંતાનોનાં મોત અંગે તપાસ હાથ ધરી છે.