સ્વચ્છતાનું ફરી એક વખત અમદાવાદમાં નાટક થશે

અમદાવાદ જિલ્લાના ગામોમાં આગામી 1 થી 31 ઓગષ્ટ 2018 એમ એક માસ સુધી સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવશે. ભારત સરકારના પેય જળ અને સ્વચ્છતા મંત્રાલય, નવી દિલ્હી દ્વારા શરૂ કરવામાં આવેલા આ કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર ગામોને રાજ્ય અને દેશ સ્તર પર 2 જી ઓક્ટોબરે સન્માન કરવામાં આવશે. ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલી એજન્સી દ્વારા રેન્ડમલી અમદાવાદ જિલ્લાના ગામોનું સ્વચ્છતા સર્વેક્ષણ કરવામાં આવશે. આ એજન્સીની ટીમ દ્વારા શાળા, આંગણવાડી, હાટ- બજાર, ધાર્મિક સ્થળે સફાઇ ચેક કરવામાં આવશે. આ ઉપરાંત આ ટીમ દ્વારા ભરાયેલા ખાબોચિયા, જાહેર સ્થળે વેરાયેલો કચરો, ગંદા પાણીના નિકાલની વ્યવસ્થા, ઘનકચરાના નિકાલની વ્યવસ્થા વગેરે માપદંડોની પણ ચકાસણી કરવામાં આવશે.નાગરિકોના પ્રતિભાવ, સ્વચ્છતામાં કરેલ પ્રગતિ અને સ્થળ પર કરેલા નીરિક્ષણને આધારે સ્વચ્છતા અંગેના ગુણ આપવામાં આવશે તેમ નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, અમદાવાદની અખબારી યાદીમાં જણાવાયું છે. સરકારની દરેક યોજનામાં મીલાવટ અને લાગવગ ચાલે છે એવું આ યોજનામાં પણ થશે જ એવું ગામ લોકો પોતે કહી રહ્યાં છે. ખરેખર પહેલેથી જ જે ગામ ચોખ્ખાઈ રાખી રહ્યાં છે તેમને ઈનામ આપવું જોઈએ પણ એવું અધિકારીઓ અને સરકાર નહીં કરે, કારણ કે ત્યાં તેમને લાગવગ કે ભ્રષ્ટાચારને અવકાશ રહેતો નથી.