સ્વામી નિત્યાનંદના અમદાવાદ આશ્રમમાં એક જ પરિવારના 4 સંતાનોને ગોંધી રખાયા હતા, માતા-પિતાનો હોબાળો

અમદાવાદ,તા:16 શહેરના હાથીજણ પાસે હિરાપુરામાં આવેલા લંપટ નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં આવ્યો છે, બેંગ્લુરૂના એક પરિવારની ત્રણ દિકરીઓ અને એક દિકરાને અહીં ગોંધી રખાયાનું સામે આવ્યું હતુ, જેમાંથી 2 બાળકોને છોડાવી લેવાયા છે, પરંતુ 18 અને 21 વર્ષની 2 યુવતીઓને છોડાવી શકાઇ નથી, એક યુવતીને આ આશ્રમમાં ગોંધી રાખવામાં આવી હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો, જેમાં તેની સાથે છેડતી રહી હોવાનું દેખાઇ રહ્યું છે, બાદમાં તેના માતા-પિતા આ આશ્રમ પહોંચ્યાં હતા અને હોબાળો કર્યો હતો, આશ્રમના સંચાલકોએ તેમને અંદર એન્ટ્રી પણ આપી ન હતી, જેથી તેમને સમગ્ર ઘટનાની પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસ પણ આશ્રમ પહોંચી હતી, પરંતુ હજુ સુધી 2 યુવતીઓને છોડાવી શકાઇ નથી.

યુવતીઓએ કહ્યું અમારી મરજીથી રહીએ છીએ  

પોલીસ જ્યારે અહી પહોંચી ત્યારે અહી કેટલીક યુવતીઓ આશ્રમમાં હાજર હતી, પોલીસે જ્યારે તેમને પૂછ્યું ત્યારે જવાબ મળ્યો કે અમે પુખ્ત વયના છીએ અને અમારી મરજીથી જ અહીયા રહીએ છીએ, હવે અમારા કોઇ માતા-પિતા નથી, જવાબ સાંભળીને બેંગ્લોરૂથી જે માતા-પિતા આવ્યાં હતા, તે પણ ચોંકી ગયા હતા, તેમને પોતાના બે સંતાનો પાછા મળ્યાં પરંતુ બે સંતાનો તેમની સાથે આવવા તૈયાર નથી.

સ્વામી નિત્યાનંદ અગાઉ પણ તેમની કામલીલાને કારણે વિવાદમાં આવ્યાં હતા અને તેમનો દેશભરમાં વિરોધ થયો હતો અને હવે તેમનો અમદાવાદ આશ્રમ ચર્ચામાં આવ્યો છે, મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ચાઇલ્ડ વેલફેર દ્વારા સમગ્ર ઘટના પર નજર રાખવામાં આવી રહી છે.