પાલનપુર, તા.૦૭
પાલનપુરમાં નાણાં ધિરધારની સહકારી કચેરીના ઓડિટ કરતા અધિકારીએ લાયસન્સ ધારકના હિસાબોમાં ગોટાળા છે તેવો ભય બતાવી 25 હજારની લાંચ માંગી હતી. જેમાં છેલ્લે રૂ. 22માં સોદો નક્કી થયો હતો. જોકે બુધવારે વેપારીને એસીબીએ જોડે રાખી રૂ.22 હજાર લાંચ લેતાં અધિકારી ગોરધન જોષીને ઝડપી તેમની સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નાણાં ધિરધારનો ધંધો કરતા વેપારીના ચોપડામાં હિસાબોમાં કોઈ ભૂલ ન હોવા છતાં પાલનપુર સ્થિત નાણાં ધિરધારના વ્યવસાયકારો માટેના હિસાબ રાખતી ધિરધારની કચેરીના ઓડિટરે કેટલીક ભુલો કાઢી હતી. ગોરધનભાઇ તેજાભાઇ જોશી નામના અધિકારીએ સ્થાનિક વેપારીને વ્યાજ વટાવના ચોપડાની ભુલો જતી કરવા પહેલા રૂ.25 હજાર માંગ્યા બાદમાં ઓછા કરતા-કરતા છેવટે 22 હજારમાં ભૂલો જતી કરવા સોદો નક્કી થયો હતો.
જોકે ધીરધાર વેપારી અધિકારીને લાંચ આપવા માંગતો ન હતો. જેથી તેણે પાલનપુર એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન બુધવારે ગોરધન જોષીએ ધીરધાર વેપારીને કચેરી ખુલવાના સમયે જ્યારે કોઇ સ્ટાફમાં ન હોય ત્યારે બોલાવ્યો હતો. નિયત સમય મુજબ 11 વાગે સોદો થયા મુજબ રૂ. 22 હજાર કચેરીની બહાર કમ્પાઉન્ડમાં આપતા જ એસીબીના પીઆઇ કે.જે. પટેલ સ્ટાફ સાથે પહોંચી રંગે હાથ ગોરધન જોષીને ઝડપી લીધા હતા. જાન્યુઆરીથી દિવાળી સુધીમાં પાલનપુર એસીબીએ 12 લાંચિયા સરકારી બાબુઓને રંગે હાથે ઝડપી લીધા છે.