પહેલે જ દહાડેથી ગોખલેએ મને હું મહેમાન છું એવું ન ગણવા દીધું. હું તેમનો સગો નાનો ભાઈ હોઉં એમ મને રાખ્યો. મારી હાજતો બધી જાણી લીધી ને તેને અનુકૂળ થવાની તજવીજ કરી લીધી. સારે નસીબે મારી હાજતો થોડી હતી. બધું જાતે કરી લેવાની ટેવ મેં કેળવી હતી, તેથી મારે થોડી જ સેવા લેવી રહેતી. સ્વાવલંબનની મારી આ ટેવની, મારી તે કાળની પોશાક વગેરેની સુઘડતાની, મારા ઉદ્યમની, ને મારી નિયમિતતાની તેમના ઉપર ઊંડી છાપ પડી, ને તેની હું અકળાઉં એટલી સ્તુતિ કરવા લાગ્યા.
તેમને મારાથી છાનું એવું કશું હોય એમ મને ન ભાસ્યું. જે કોઈ મોટા માણસો તેમને મળવા આવતા તેમની મને ઓળખાણ કરાવતા. આવી ઓળખાણોમાં મારી નજર આગળ અત્યારે સહુથી વધારે તરી આવે છે દા. પ્રફુલ્લચંદ્ર રૉય. તેઓ ગોખલેના મકાનની પાસે જ રહેતા ને લગભગ હમેશાં આવતા એમ કહી શકાય.
‘આ પ્રોફેસર રૉય, જેમને દર માસે આઠસો રૂપિયા મળે છે, અને જે પોતાના ખર્ચને સારુ રૂ. ૪૦ રાખી બાકીના બધા જાહેર કામમાં આપી દે છે તેઓ પરણ્યા નથી અને પરણવા માગતા નથી.’ આવા શબ્દોમાં ગોખલેએ મને તેમની ઓળખાણ કરાવી.
આજના દા. રૉયમાં અને ત્યારના પ્રો. રૉયમાં હું થોડો જ ભેદ જોઉં છું. જેવી જાતનો પોશાક ત્યારે પહેરતા તેવો જ લગભગ આજે છે. હા, આજે ખાદી છે; ત્યારે ખાદી નહોતી જ; સ્વદેશી મિલની બનાવટનાં કપડાં હશે. ગોખલેની અને પ્રો. રૉયની વાતો સાંભળતાં હું તૃપ્ત જ ન થતો, કેમ કે તેમની વાતો દેશહિતને જ લગતી હોય અથવા કોઈ જ્ઞાનવાર્તા હોય. કેટલીક વાતો દુખદ પણ હોય. કેમ કે તેમાં નેતાઓની ટીકા હોય. જેમને હું મહાન યોદ્ધા ગણતાં શીખ્યો હતો તેઓ નાના દેખાવા લાગ્યા.
ગોખલેની કામ કરવાની પદ્ધતિથી મને જેટલો આનંદ થયો તેટલું જ શીખવાનું મળ્યું. તેઓ પોતાની એક પણ ક્ષણ નકામી ન જેવા દેતા. તેમના બધા સંબંધો દેશકાર્યને અંગે જ હતા એમ મેં અનુભવ્યું. બધી વાતો પણ દેશકાર્યને ખાતર. વાતોમાં મેં ક્યાંયે મલિનતા, દંભ કે જૂઠ ન જોયાં. હિંદુસ્તાનની કંગાલિયત અને પરાધીનતા તેમને પ્રતિક્ષણ ખૂંચતી. અનેક માણસો તેમને અનેક બાબતોમાં રસ લેવડાવવા આવે. તેમને એક જ જવાબ દેતાઃ ‘તમે એ કામ કરો. મને મારું કરવા દો. મારે તો દેશની સ્વાધીનતા મેળવવી છે. તે મળ્યા પછી મને બીજું સૂઝશે. અત્યારે તો એ વ્યવસાયમાંથી મારી પાસે એક ક્ષણ પણ બાકી રહેતી નથી.’
રાનડે પ્રત્યેનો તેમનો પૂજ્યભાવ તો વાતવાતમાં જોઈ શકાય. ‘રાનડે આમ કહેતા’ એ તો એમની વાતચીતમાં લગભગ ‘સૂત ઉવાચ’ જેવું હતું. હું હતો તે દરમિયાન રાનડેની જયંતી (કે પુણ્યતિથિ એનું અત્યારે સ્મરણ નથી) આવતી હતી. ગોખલે તે હમેશાં પાળતા હોય એમ લાગ્યું. તે વખતે મારા ઉપરાંત તેમના મિત્રો પ્રોફેસર કાથવટે અને બીજા એક સબજજ ગૃહસ્થ હતા. એમને તેમણે જયંતી ઊજવવા નોતર્યા, અને તે પ્રસંગે તેમણે અમારી આગળ રાનડેના અનેક સ્મરણ કહ્યાં. રાનડે, તેલંગ અને મંડલિકની સરખામણી પણ કરી. તેલંગની ભાષાની સ્તુતિ કર્યાંનું મને સ્મરણ છે. મંડલિકની સુધારક તરીકે સ્તુતિ કરી. પોતાના અસીલ પ્રત્યેની તેમની કાળજીના દૃષ્ટાંતમાં, રોજની ટ્રેન ચૂકી જવાથી પોતે સ્પેશિયલ ટ્રેન કરીને લેવા ગયેલા, એ કિસ્સો સંભળાવ્યો. અને રાનડેની સર્વદેશી શક્તિનું વર્ણન કરી બતાવી, તે કાળના અગ્રણીઓમાં તેમની સર્વોપરીતા બતાવી. રાનડે માત્ર ન્યાયમૂર્તિ નહોતા. તેઓ ઇતિહાસકાર હતા, અર્થશાસ્ત્રી હતા, સુધારક હતા. પોતે સરકારી જડજ હોવા છતાં પણ મહાસભામાં પ્રેક્ષક તરીકે નીડરપણે હાજરી આપતા. તેમ તેમના ડહાપણ ઉપર બધાને એટલો વિશ્વાસ હતો કે, સહુ તેમના નિર્ણયોનો સ્વીકાર કરતા. આ વર્ણન કરતાં ગોખલેના હર્ષનો કંઈ પાર નહોતો.
ગોખલે ઘોડાગાડી રાખતા. મેં તેમની પાસે ફરિયાદ કરી. હું તેમની મુશ્કેલીઓ નહોતો સમજી શક્યો. ‘તમે કાં બધે ટ્રામમાં ન જઈ શકો? શું એથી નેતાવર્ગની પ્રતિષ્ઠા ઓછી થાય?’
જરા દિલગીર થઈને તેમણે જવાબ આપ્યોઃ ‘તમે પણ મને ન સમજી શક્યા કે? મને વડી ધારાસભામાંથી જે મળે છે તે હું મારે સારુ નથી વાપરતો. તમારી ટ્રામની મુસાફરીની મને અદેખાઈ આવે છે. પણ મારાથી તેમ નથી થઈ શકતું. તમને જ્યારે મારા જેટલા જ લોકો ઓળખતા થશે ત્યારે તમારે પણ ટ્રામમાં ફરવું અસંભવિત નહીં તો મુશ્કેલ થઈ પડવાનું છે. નેતાઓ જે કંઈ કરે છે તે મોજશોખને જ સારુ કરે છે એમ માનવાનું કશું કારણ નથી. તમારી સાદાઈ મને પસંદ છે. હું બને તેટલી સાદાઈથી રહું છું. પણ તમે જરૂર માનજો કે કેટલુંક ખર્ચ મારા જેવાને સારુ અનિવાર્ય છે.’
આમ મારી એક ફરિયાદ તો બરોબર રદ થઈ. પણ બીજી ફરિયાદ મારે રજૂ કરવી રહી હતી તેનો સંતોષકારક જવાબ તેઓ ન આપી શક્યાઃ
‘પણ તમે ફરવા પણ પૂરા નથી જતા. એટલે તમે માંદા રહો છો એમાં શી નવાઈ? શું દેશકાર્યમાંથી વ્યાયામને સારુ પણ નવરાશ ન મળી શકે?’ મેં કહ્યું.
‘મને કયે વખતે તમે નવરો જુઓ છો, જ્યારે હું ફરવા જઈ શકું?’ જવાબ મળ્યો.
મારા મનમાં ગોખલેને વિશે એવા આદર હતો કે હું તેમને પ્રત્યુત્તર ન આપતો. ઉપરના જવાબથી મને સંતોષ ન થયો, પણ હૂં ચૂપ રહ્યો. મેં માન્યું ને હજુ માનું છું કે, ગમે તેવાં કામ છતાં જેમ આપણે ખાવાનો સમય કાઢીએ છીએ તેમ જ વ્યાયામનો કાઢવો જોઈએ. તેથી દેશની સેવા વધારે થાય પણ ઓછી નહીં, એવો મારો નમ્ર અભિપ્રાય છે.
ગોખલેની છાયા તળે રહી મેં બધો સમય ઘરમાં બેસીને ન ગાળ્યો.
મેં દક્ષિણ આફ્રિકાના મારા ખ્રિસ્તી મિત્રોને કહેલું કે હું હિંદુસ્તાની ખ્રિસ્તીઓને મળીશ, તેમની સ્થિતિ જાણીશ, કાલિચરણ બૅનરજીનું નામ મેં સાંભળ્યું હતું. તેઓ મહાસભામાં આગળ પડતો ભાગ લેતા, તેથી તેમને વિશે મને માન હતું. સામાન્ય હિંદી ખ્રિસ્તીઓ મહાસભાથી તેમ જ હિંદુ મુસલમાનથી અળગા રહેતા. તેથી તેમને વિશે અવિશ્વાસ હતો, ને કાલિચરણ બૅનરજીને વિશે નહોતો. મેં તેમને મળવા જવા વિશે ગોખલેને વાત કરી. તેમણે કહ્યું: ‘ત્યાં જઈને તમે શું લેશો? એ બહુ ભલા છે, પણ મને લાગે છે કે તેઓ તમને સંતોષ નહીં આપી શકે. હું તેમને સારી રીતે જાણું છું. છતાં તમારે જવું હોય તો સુખે જજો.’
મેં વખત માગેલો. તેમણે મને તુરત વખત આપ્યો ને હું ગયો. તેમને ઘેર તેમનાં ધર્મપત્ની મરણપથારીએ હતાં. તેમનું ઘર સાદું હતું. મહાસભામાં તેમને કોટપાટલૂનમાં જોયેલા. તેમના ઘરમાં તેમને બંગાળી ધોતી ને કુડતામાં જોયા. આ સાદાઈ મને ગમી. તે વખતે જોકે હું તો પારસી કોટપાટલૂનમાં હતો. છતાં મને આ પોશાક ને સાદાઈ બહુ ગમ્યાં. મેં તેમનો વખત ન ગુમાવતાં મારી ગૂંચવણો રજૂ કરી.
તેમણે મને પૂછયું: ‘તમે માનો છો કે આપણે પાપ લઈને જનમીએ છીએ?’
મેં કહ્યું, ‘હા જી.’
‘ત્યારે એ મૂળ પાપનું નિવારણ હિંદુ ધર્મમાં નથી ને ખ્રિસ્તી ધર્મમાં છે.’ આમ કહીને તેણે કહ્યું: ‘પાપનો બદલો મોત છે. એ મોતમાંથી બચવાનો માર્ગ ઈશુનું શરણ છે એમ બાઇબલ કહે છે.’
મેં ભગવદ્ગીતાનો ભક્તિમાર્ગ રજૂ કર્યો, પણ મારું બોલવું નિરર્થક હતું. મેં આ ભલા પુરુષનો તેમની ભલમનસાઈને સારુ ઉપકાર માન્યો. મને સંતોષ ન થયો, છતાં આ મુલાકાતથી મને લાભ જ થયો.
આ જ માસમાં હું કલકત્તાની ગલીએ ગલી રખડયો એમ કહું તો ચાલે. ઘણુંખરું કામ પગપાળો કરતો. આ સમયમાં જ ન્યાયમૂર્તિ મિત્રને મળ્યો, સર ગુરુદાસ બૅનરજીને મળ્યો. તેમની કુમક તો દક્ષિણ આફ્રિકાના કામ સારું જોઈતી હતી. રાજા સર પ્યારીમોહન મુકરજીનાં દર્શન પણ આ જ સમયે કર્યાં.
કાલિચરણ બૅનરજીએ મને કાલિના મંદિરની વાત કરી જ હતી. તે મંદિર જોવાની મને તીવ્ર ઇચ્છા હતી. તેનું વર્ણન મેં પુસ્તકમાં વાંચ્યું હતું. તેથી ત્યાં એક દિવસ જઈ ચડયો. ન્યાયમૂર્તિ મિત્રનું મકાન તે જ લત્તામાં હતું. એટલે જે દહાડે તેમને મળ્યો તે જ દહાડે કાલિમંદિરે પણ ગયો. રસ્તે બલિદાનનાં ઘેંટાંની વાત તો હારની હાર ચાલી જતી હતી. મંદિરની ગલીમાં પહોંચતાં જ ભિખારીઓની લંગાર લાગી રહેલી જોઈ. બાવાઓ તો હોય જ. મારો રિવાજ તે વખતે પણ હૃષ્ટપુષ્ટ ભિખારીને કશું ન આપવાનો હતો. ભીખ માગનારા તો ખૂબ વળગ્યા હતા.
એક બાવાજી ઓટલા ઉપર બેઠા હતા. તેણે બોલાવ્યોઃ ‘ક્યોં બેટા, કહાં જાતે હો?’ મેં અનુકૂળ ઉત્તર વાળ્યો. તેણે મને અને મારા સાથીને બેસવા કહ્યું, અમે બેઠા.
મેં પૂછયું: ‘આ ઘેટાંનો ભોગ તમે ધર્મ માનો છો?’
તેણે કહ્યું: ‘જીવને હણવામાં ધર્મ કોણ માને?’
‘ત્યારે તમે અહીં બેસી લોકોને કેમ બોધ નથી દેતા?’
‘અમારું એ કામ નથી. અમે તો બેસીને ભગવદ્ભક્તિ કરીએ.’
‘પણ તમને બીજી જગ્યા ન મળતાં આ જ મળી?’
‘અમે જ્યાં બેસીએ ત્યાં સરખું. લોકો તો ઘેટાંના ટોળા જેવા છે; જેમ મોટા દોરે તેમ દોરાય. તેમાં અમારે સાધુને શું?’ બાવાજી બોલ્યા.
મેં સંવાદ આગળ ન વધાર્યો. અમે મંદિરે પહોંચ્યા. સામે લોહીની નદી વહેતી હતી. દર્શન કરવા ઊભવાની મારી ઇચ્છા ન રહી. હું ખૂબ અકળાયો, બેચેન થયો. આ દૃશ્ય હું હજુ લગી ભૂલી શક્યો નથી. એક બંગાળી મિજલસમાં તે જ સમયે મને નોતરું હતું. ત્યાં મેં એક ગૃહસ્થ પાસે આ ઘાતકી પૂજાની વાત કરી. તેમણે કહ્યું: ‘ત્યાં નગારાં વગેરે વાગે ને તેની ધૂનમાં ઘેટાંને ગમે તે રીતે મારો, તોપણ તેને કંઈ ઈજા ન લાગે એમ અમારો અભિપ્રાય છે.’
મને આ અભિપ્રાય ગળે ન ઊતર્યો. ઘેટાંને વાચા હોય તો નોખી જ વાત કરે એમ મેં આ ગૃહસ્થને જણાવ્યું. આ ઘાતકી રિવાજ બંધ થવો જોઈએ એમ લાગ્યું. પેલી બુદ્ધદેવવાળી કથા યાદ આવી. પણ મેં જોયું કે આ કામ મારી શક્તિની બહાર હતું.
જે મેં ત્યારે ધાર્યું તે આજે પણ ધારું છું. મારે મન ઘેટાંના જીવની કિંમત મનુષ્યના જીવના કરતાં ઓછી નથી. મનુષ્યદેહને નિભાવવા હું ઘેટાંનો દેહ લેવા તૈયાર ન થાઉં. જેમ વધારે અપંગ જીવ તેમ તેને મનુષ્યના ઘાતકીપણાથી બચવા મનુષ્યના આશ્રયનો વધારે અધિકાર છે એમ હું માનું છું. પણ તેવી યોગ્યતા વિના મનુષ્ય આશ્રય આપવા પણ અસમર્થ છે. ઘેટાંને આ પાપી હોમમાંથી બચાવવા, મારી પાસે છે તેના કરતાં અતિશય વધારે આત્મશુદ્ધિની અને ત્યાગની આવશ્યકતા છે. એ શુદ્ધિ અને એ ત્યાગની અત્યારે તો ઝંખના કરતાં જ મારે મરવું રહ્યું છે એમ લાગે છે. એવો કોઈ તેજસ્વી પુરુષ કે એવી કોઈ તેજસ્વિની સતી પદો થાઓ, જે આ મહાપાતકમાંથી મનુષ્યને બચાવે, નિર્દોષ પ્રાણીઓની રક્ષા કરે, ને મંદિરને શુદ્ધ કરે, એવી પ્રાર્થના તો નિરંતર કરું છું. જ્ઞાની, બુદ્ધિશાળી, ત્યાગવૃત્તિવાળું, ભાવનાપ્રધાન બંગાળ કેમ આ વધ સહન કરે છે?
કાલિ માતાને નિમિત્તે થતો વિકરાળ યજ્ઞ જોઈને બંગાળી જીવન જાણવાની મારી ઇચ્છા વધી. બ્રહ્મસમાજને વિશે તો ઠીક ઠીક વાંચ્યુંસાંભળ્યું હતું. પ્રતાપચંદ્ર મજમુદારનું જીવનવૃત્તાંત થોડું જાણતો હતો. તેમનાં વ્યાખ્યાનો સાંભળવા ગયો હતો. તેમનું લખેલ કેશવચંદ્ર સેનનું જીવનવૃત્તાંત મેળવ્યું ને તે અતિ રસપૂર્વક વાંચી ગયો. સાધારણ બ્રહ્મસમાજ એ આદિ બ્રહ્મસમાજનો ભેદ જાણ્યો. પંડિત શિવનાથ શાસ્ત્રીનાં દર્શન કર્યાં. મહર્ષિ દેવેદ્રનાથ ઠાકુરનાં દર્શન કરવા પ્રો. કાથવટે અને હું ગયા. પણ તેઓ તે વેળા કોઈને મળતા નહોતા, તેથી તેમનાં દર્શન ન થઈ શક્યાં. પણ તેમને ત્યાં બ્રહ્મસમાજનો ઉત્સવ હતો તેમાં જવા અમને નોતરેલા તેથી અમે ગયા હતા, ને ત્યાં ઊંચાં પ્રકારનું બંગાળી સંગીત સાંભળવા પામ્યા. ત્યારથી જ બંગાળી સંગીત ઉપરનો મારો મોહ જામ્યો.
બ્રહ્મસમાજનું બની શકે તેટલું નિરીક્ષણ કર્યા પછી સ્વામી વિવેકાનંદનાં દર્શન ન કરું એમ તો બને જ કેમ? અતિ ઉત્સાહપૂર્વક હું બેલૂર મઠ લગી ઘણે ભાગે ચાલીને ગયો. પૂરો ચાલ્યો કે અરધો, એ મને અત્યારે યાદ નથી. મઠનું એકાંત સ્થાન મને ગમ્યું. સ્વામીજી બીમાર છે, તેમને મળાય એમ નથી, અને એઓ પોતાને કલકત્તાને ઘેર છે એમ ખબર સાંભળી નિરાશ થયો. ભગિની નિવેદિતાના રહેઠાણના ખબર મેળવ્યા. ચોરંઘીના એક મહેલમાં તેમનાં દર્શન પામ્યો. તેમના દમામથી હું હેબતાઈ ગયો. વાતચીતમાં પણ અમારો મેળ બહુ ન જામ્યો. મેં આ વાત ગોખલેને કરેલી. તેમણે કહ્યું: ‘એ બાઈ બહુ તેજ છે, એટલે તમારો મેળ ન મળે એ હું સમજું છું.’
ફરી એક વાર તેમનો મેળાપ અને પેસ્તનજી પાદશાહને ઘેર થયેલો. પેસ્તનજીનાં વૃદ્ધ માતાને તે ઉપદેશ આપતાં હતાં, તેવામાં હું તેમને ત્યાં જઈ પહોંચેલો. એટલે હું તેમની વચ્ચે દુભાષિયો બન્યો હતો. ભગિનીનો હિંદુ ધર્મ પ્રત્યેનો પ્રેમ ઊભરાઈ જતો હતો એટલું તો, હું અમારો મેળ ન મળતાં છતાં, જોઈ શકતો હતો. તેમનાં પુસ્તકોનો પરિચય પાછળથી કર્યો.
દિવસના મેં વિભાગ પાડ્યા હતાઃ એક ભાગ દક્ષિણ આફ્રિકાના કામને અંગે કલકત્તામાં રહેતા આગેવાનોને મળવામાં ગાળતો, ને એક ભાગ કલકત્તાની ધાર્મિક સંસ્થાઓ અને બીજી જાહેર સંસ્થાઓ જોવામાં. એક દિવસ મેં, બોઅર લડાઈમાં હિંદી સારવાર – ટુકડીએ જે કામ કર્યું હતું તે પર, દા. મલિકના પ્રમુખપણા હેઠળ ભાષણ આપ્યું. ‘ઇંગ્લિશમૅન’ સાથેનો મારો પરિચય આ વખતે પણ બહુ મદદગાર નીવડયો. મિ. સૉન્ડર્સ આ વેળા બીમાર રહેતા. પણ તેમની મદદ તો ૧૮૯૬ની સાલમાં મળેલી તેટલી જ મળી. આ ભાષણ ગોખલેને ગમ્યું હતું. અને જ્યારે દા. રૉયે મારા ભાષણના વખાણ કર્યા ત્યારે તે બહુ રાજી થયા.
આમ ગોખલેની છાયા નીચે રહેવાથી બંગાળમાં મારું કામ બહુ સરળ થઈ પડયું. બંગાળનાં અગ્રગણ્ય કુટુંબોની માહિતી હું સહેજે પામ્યો ને બંગાળ સાથે મારો નિકટ સંબંધ થયો. આ ચિરસ્મરણીય માસનાં ઘણાં સ્મરણો મારે છોડવાં પડશે. તે માસમાં હું બ્રહ્મદેશ પણ ડૂબકી મારી આવ્યો હતો. ત્યાંનાં ફૂંગીઓની મુલાકાત કરી. તેમના આળસથી દુઃખી થયો. સુવર્ણ પેગોડાનાં દર્શન કર્યાં. મંદિરમાં અસંખ્ય નાની મીણબત્તીઓ બળતી હતી તે ન ગમી. મંદિરના ગર્ભગૃહમાં ઉંદરોને ફરતા જોઈ સ્વામી દયાનંદનો અનુભવ યાદ આવ્યો. બ્રહ્મદેશની મહિલાઓની સ્વતંત્રતા, તેમનો ઉત્સાહ, ને ત્યાંના પુરુષોની મંદતા જોઈ મહિલાઓ ઉપર મોહ પામ્યો ને પુરુષોને વિશે દુઃખ થયું. મેં ત્યારે જ જોયું કે, જેમ મુંબઈ હિંદુસ્તાન નથી તેમ રંગૂન બ્રહ્મદેશ નથી; અને જેમ હિંદુસ્તાનમાં અંગ્રેજ વેપારીઓના આપણે કમિશન એજન્ટ બન્યા છીએ તેમ બ્રહ્મદેશમાં આપણે અંગ્રેજોની સાથે મળીને બ્રહ્મદેશવાસીઓને કમિશન એજન્ટ બનાવ્યા છે.
બ્રહ્મદેશથી પાછા ફરી મેં ગોખલે પાસેથી વિદાયગીરી લીધી. તેમનો વિયોગ મને સાલ્યો, પણ મારું બંગાળનુંખ્ર્અથવા ખરી રીતે કલકત્તાનુંખ્ર્કામ પૂરું થયું હતું.
ધંધે વળગું તે પહેલાં મારો વિચાર હિંદુસ્તાનનો નાનકડો પ્રવાસ ત્રીજા વર્ગમાં કરી, ત્રીજા વર્ગના મુસાફરોનો પરિચય કરવાનો અને તેમનાં દુઃખો જાણી લેવાનો હતો. ગોખલે આગળ મેં આ વિચાર મૂક્યો. તેમણે પ્રથમ તો તે હસી કાઢયો. પણ જ્યારે મેં મારી આશાઓનું વર્ણન કર્યું, ત્યારે તેમણે ખુશીથી મારી યોજનાને સંમતિ આપી. મારે પહેલું તો કાશીજી જવાનું ને ત્યાં જઈ વિદુષી ઍની બેસંટના દર્શન કરવાનું હતું. તેઓ તે વખતે બીમાર હતાં.
આ મુસાફરીને સારુ મારે નવો સામાન વસાવવાનો હતો. એક ડબ્બો પિત્તળનો ગોખલેએ જ આપ્યો ને તેમાં મારે સારુ મગજના લાડુ અને પૂરી મુકાવ્યાં. એક બાર આનાની કંતાનની પાકીટ લીધી. છાયા (પોરબંદર નજીકનું ગામ)ની ઊનનો ડગલો બનાવડાવ્યો હતો. પાકીટમાં એ ડગલો, ટુવાલ, પહેરણ અને ધોતિયું હતાં. ઓઢવાને સારુ એક કામળી હતી. ઉપરાંત એક લોટો સાથે રાખ્યો હતો. આટલો સામાન લઈને હું નીકળ્યો.
ગોખલે અને દા. રૉય સ્ટેશન ઉપર મને વળાવવા આવ્યા. બન્નેને મેં ન આવવા વીનવ્યા. પણ બન્નેએ આવવાનો આગ્રહ પકડી રાખ્યો. ‘તમે પહેલા વર્ગમાં જાત તો કદાચ હું ન આવત, પણ હવે તો મારે આવવું જ છે,’ એમ ગોખલે બોલ્યા.
પ્લૅટફૉર્મ ઉપર જતાં ગોખલેને તો કોઈએ ન રોક્યા. તેમણે પોતાનો રેશમી ફેંટો બાંધ્યો હતો ને ધોતિયું તથા કોટ પહેર્યા હતા. દા. રૉયે બંગાળી પોશાક પહેર્યો હતો. એટલે તેમને ટિકિટ-માસ્તરે અંદર આવતાં પ્રથમ તો રોક્યા, પણ ગોખલેએ કહ્યું, ‘મારા મિત્ર છે,’ એટલે દા. રૉય પણ દાખલ થયા. આમ બન્નેએ મને વિદાય આપી.
વધુ આવતા અંકે______