મુકેશ અંબાણી અને અનિલ અંબાણી સહિત 11 લોકોને 25 કરોડનો દંડ

મુંબઇ, 9 એપ્રિલ 2021

ભારતીય બજાર નિયામક સેબીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી, તેમના નાના ભાઇ અનિલ અંબાણી અને તેમની પત્નીઓ નીતા અંબાણી તેમજ ટીના અંબાણીને 25 કરોડ રૂપિયાની પેનલ્ટી ફટકારી છે. આ પેન્ટલી ટેક ઓવરના નિયોમનું પાલન ન કરવાના મામલે લગભગ 11 વર્ષ જૂના કેસમાં દંડ ફટકાર્યો છે.

આ કેસમાં સેબીએ ઘણા લોકોને દંડ ફટકાર્યો છે. તેમાં કોકિલા બહેન અંબાણી, મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણી, દીકરી ઇશા અંબાણી, અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ અંબાણી વગેરે પણ શામેલ છે.

સેબીએ બુધવારે 20 વર્ષ જૂના આ કેસમાં 85 પાનાનો ઓર્ડર જાહેર કર્યો છે. સેબીઆ આ કેસમાં ફેબ્રુઆરી 2011માં કારણ દર્શક નોટીસ જારી કરી હતી. સેબીએ પોતાના ઓર્ડરમાં કહ્યુ કે, વર્ષ 2000માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટેક ઓવરના નિયમોનું પાલન ન કરવામાં આવતા આ દંડ ફટકાર્યો છે. તે સમયે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ભાગલા પડ્યા ન હતા. આથી અનિલ અંબાણી અને તેમની પત્ની ટીના અંબાણીને પણ આ દંડ ફટકારવામાં આવ્યો છે.

6.83% હિસ્સેદારી હસ્તગત કરી હતી.

સેબીના આદેશ અનુસાર રિલાયન્સના પ્રમોટરોએ વર્ષ 2000માં પોતાન કંપનીની 6.83 ટકા હિસ્સેદારી હસ્તગત કરી હતી. આ ટેકઓવર 1994માં જારી 3 કરોડ વોરંટને પરિવર્તિત કરીને કરવામાં આવ્યુ હતુ. સેબીના મતે રિલાયન્સના પ્રમોટરોએ પીએસીની સાથે મળીને નોન ટ્રાન્સફરેલ સિક્યોરિટી રિડિમેબલ ડિબેન્ચર સંબંધિત વોરંટને શેરમાં તબદીલ કરવાના વિકલ્પનો ઉપયોગ કરી 6.83 ટકા હિસ્સેદારી હસ્તગત કરી હતી. આ ટેકઓવર નિયમ મુજબ નિર્ધારિત 5 ટકાની મર્યાદા કરતા વધારે હતુ. આદેશ મુજબ હિસ્સેદારી હસ્તગત કરવા માટે તેમણે 7 જાન્યુઆરી, 2000ના શેર અધિગ્રહણની સાર્વજનિક રીતે ઘોષણા કરવાની જરૂર હતી. પીએસીને 1994માં જારી વોરંટના આધારે આ તારીખે રિલાયન્સના ઇક્વિટી શેર ફાળવવામાં આવ્યા હતા.

અલબત્ત સેબીએ નોંધયુ કે પ્રમોટર અને પીએસી એ શેર ટેકઓવર માટે કોઇ સાર્વજનિક ઘોષણા કરી ન હતી. આથી તેમણે ટેકઓવરના નિયમોનું ઉલ્લંઘન કર્યુ છે. સેબીના નિયમો હેઠળ પ્રમોટર ગ્રૂપે કોઇ પણ નાણાકીય વર્ષમા 5 ટકાથી વધારે વોટિંગ રાઇટ્સનું અધિગ્રહણ કરવામાં આવે તો તેની માટે તેમણે શેરધારકો માટે ઓપન ઓફર લાવવી જરૂરી છે. સેબીએ કહ્યુ કે, સંબંધિત કસુરવાર વ્યક્તિઓ અને એન્ટિટીને દંડની ચૂકવણી સંયુક્ત રીતે અને વ્યક્તિગત અલગ-અલગ કરવાની છે.