2000 ગામ ભૂતિયા બની ગયા, ગામના પાદરે વિકાસ ન પહોંચ્યો  

ગુજરાત સરકારની શહેરીકરણની નીતિ અને ગામડાં વિરોધી નીતિના કારણે આખા ગામો નેસ્ત નાબૂદ થઈ ગયા છે. 2001થી 2011 વર્ષના ભાજપના શાસનમાં 2000 સુધીની વસતી ધરાવતાં 1009 ગામ તૂટીને ભૂત બની ગયા છે. આ રફતાર હજુ ચાલુ છે. તેથી 2021 સુધી ભાજપનું શાસન રહેવાનું છે ત્યાં સુધીમાં બીજા 1000 ગામ તૂટી જશે. આમ 20 વર્ષના શાસનમાં 2000 ગામ નેસ્તનાબૂદ થઈ ગયા છે.

2001માં 12942 ગામો હતા જે 2011માં 1009 ગામ ઘટીને 11933 ગામ થઈ ગયા હતા. 2021માં ભાજપની રૂપાણી સરકારનું શાસન પૂરું થશે ત્યાં સુધીમાં બીજા એટલા જ ગામને તાળું વાગી જતાં ગુજરાતમાં ઓછી વસતી ધરાવતાં 10900 ગામ થઈ જશે. આમ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના બદલે ગામડાંઓ ભાંગી જાય એવી નીતિ ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને હાલના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ અપનાવી છે.

ગામ તૂટવાનું કારણ શું

નજીકના મોટા ગામડામાં લોકો હિજરત કરી રહ્યાં છે. જ્યારથી ભાજપ સરકાર આવી છે ત્યારથી આખા ગામ ખાલી થઈ ગયા હોય અને ત્યાં માણસો રહેતા ન હોય એવા 200 ગામ છે. અને 200 માણસોથી નીચે રહેતાં હોય એવા 568 ગામડાઓ છે. ભાજપ સરકાર આવી ત્યાં સુધી ગામડાઓની સંખ્યા વધી રહી હતી.  હવે ઘટી છે. લોકો હિજરત કરીને ગામ ખાલી કરીને જતાં રહ્યાં છે. આ અત્યંત ગંભીર બાબત માનવામાં આવે છે.

200થી ઓછી વસતી ધરાવતાં 25 ટકા નાના ગામ તૂટી ગયા

ગુજરાત બન્યું ત્યારે 200 માણસોથી ઓછી વસતી ધરાવતાં હોય એવા 2000 ગામ હતા જે હવે નજીકના ભવિષ્યમાં 100ની અંદર થઈ જશે. જે બતાવે છે કે ગામડામાં વિકાસ થયો નથી પણ વિકાસ બંધ થયો છે. ગ્રામ્ય વિસ્તારમાં સરકાર સુરક્ષા, સવલત અને ખેતીને સુવિધા આપવામાં નિષ્ફળ રહી છે. એક સમય હતો કે નાના ગામ વધું હતા. ઈ.સ.2001માં 768 ગામ હતા. ઈ.સ.2011માં 200 લોકો રહેતા હોય એવા 576 ગામ હતા. આમ 10 વર્ષમાં 192 ગામ ખાલી કરીને લોકો હિજરત કરી ગયા હતા. 10 વર્ષમાં 25 ટકા ગામો તૂટી ગયા છે. 2021 સુધીમાં 200 લોકોની વસતી ધરાવતાં હોય એવા ગામની સંખ્યા 100ની અંદર જતી રહેશે.

500ની વસતી ધરાવતાં ગામડાંઓ

200થી 499 સુધી વસતી હોય એવા ગામ 2001માં 2297 હતા જે 2011માં ઘટીને 1900 થઈ ગયા છે. 397 ગામડાં તૂટી ગયા છે. જે 17.28 ટકા ઘટાડો બતાવે છે. આ હિસાબે વર્ષ 2021 સુધીમાં બીજા 350 ગામોના લોકોએ હિજરત કરી હશે. ગુજરાત અલગ થયું ત્યારે 4352 ગામ હતા હવે તે 2021 સુધીમાં 1500 થઈ જશે. આમ તમામ રાજકીય પક્ષો નાના ગામડાંનું ધ્યાન રાખવામાં સદંતર નિષ્ફળ ગયા છે.

એક હજાર વસતી ધરાવતાં ગામોની ખરાબ હાલત

500થી 999 લોકોની વસતી ધરાવતાં હોય એવા ગામો ઈ.સ.2001માં 4262 ગામ હતા. જે ઘટીને 2011માં 3891 થઈ ગયા છે. 371 ગામ ઓછા થયા છે. 2021માં તે ઘટીને 3500ની આસપાસ રહેશે. આમ ભાજપ સરકારમાં 760ની આસપાસ ગામો તૂટી પડ્યા છે. જો ત્યાં વિકાસ થયો હોત તો આવું ન થયું હોત.

2000 માણસોની વસતીના મોટા ગામોની ખરાબ હાલત

1000થી 1999 લોકોની વસતી હોય એવા ગામ ઘટ્યા છે. 1991માં 5432 ગામ હતા જેમાં વધારો થઈને 2001 સુધીમાં 5615 ગામ થયા હતા. જે 10 વર્ષમાં 185 ગામ વધ્યા હતા. પણ ભાજપની સરકાર આવતાં જ તે ઘટીને 5566 થઈ ગયા હતા જે 134 ઘટી ગયા હતા. 2021 સુધીમાં 5400 ગામ રહે એવી સંભાવના છે. આમ અહીં ક્યાંય વિકાસ દેખાતો નથી. કોઈ માણસને સ્થાનિક રોજગારી અને સલામતી મળી રહેતી હોય તો તે પોતાનું વતન છોડે નહીં. તે પ્રગતિ શોધવા નજીકના મોટા ગામ કે શહેર તરફ હિજરત કરે છે. આવું જ સમગ્ર ગુજરાતમાં થયું છે.

મોટા ગામ વધી ગયા

2000થી 4999 સુધીની વસતી ધરાવતાં ગામો 2001માં 4154 હતા જે વધીને 2011માં 4782 થયા હતા. 2021માં વધીને 5000 સુધી થઈ જશે. આવું જ 5000થી વધુ વસતી ધરાવતાં ગામોમાં થયું છે. 2001માં 960 ગામ હતા તે વધીને 2011માં 1129 થયા હતા. 2021માં તે 1500ની પાર થઈ જશે. તેનો સીધો મતલબ એ થયો કે લોકો રોજગારી, સલામતી અને સુવિધા મેળવવા માટે નજીકના મોટા ગામ કે શહેર તરફ દોટ મૂકી રહ્યાં છે.

1થી 5000ની વસતી ધરાવતાં કૂલ ગામનું ચિત્ર

200થી ઓછા અને 5,000 સુધીની વસતી ધરાવતાં ગામો 1991માં 18028 હતા. 2001માં તે વધીને 18056 ગામડાં થઈ ગયા હતા. 1991થી 2001 સુધીના 10 વર્ષમાં 28 ગામનો વધારો થયો હતો. ત્યાં સુધી લોકો ખેતી કરવા માટે તૈયાર હતા. પણ પછી નાના ગામડાં ભાંગવા લાગ્યા છે. તે 2011માં ઘટીને 17844 થઈ ગયા છે. તે હિસાબે 2021 સુધીમાં ગુજરાતના ગામડાઓની સંખ્યા 20 હજારની આસપાસ થવી જોઈતી હતી તેના બદલે 17500 થઈ જશે. આ વિગતો એવું સ્પષ્ટ કહે છે કે, ગ્રામ્ય વિસ્તાર અને ખેડૂતોનો વિકાસ થયો છે એવો દાવો ખોટો ઠરે છે. જો વિકાસ થયો હોત અને સુવિધા, રોજગારી અને સલામતી વધી હોત તો ગામડાઓ મોટા થયા હોત અને સંખ્યા વધી હોત.

(દિલીપ પટેલ)