21મીએ વાજપેયીની ગુજરાતમાં અસ્થિ યાત્રા નિકળશે, વડાપ્રધાન અંજલિ આપશે

પૂર્વ વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ સાંસદ સ્વ. અટલ બિહારી વાજપેયીના અસ્થિ ૨૧મીએ ગુજરાત લાવવામા આવશે.  ભાજપ પ્પ્રરદેશ મુખ જીતેન્દ્ર વાઘાણી અસ્થિ દિલ્હીથી જઈને લાવશે. અમદાવાદ એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ ભાજપના અન્ય અગ્રણી આગેવાનો બપોરે ૩.૩૦ વાગે ઉપસ્થિત રહી અસ્થિકુંભને સ્વીકારશે. ત્યાંથી અસ્થિ કળશ યાત્રા સાબરમતી નદી ખાતે પહોંચશે અને અસ્થિનું નદીમાં વિસર્જન કરાશે. ત્યાર બાદ સમગ્ર ગુજરાતની નદીઓમાં અસ્થિનું વિસર્જન કરાશે.

અમદાવાદમાં 22મીએ તમામ પક્ષ, ધર્મના વડાઓ, સંતો-મહંતો અને સામાજિક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ, વેપારી મહાજનો, સંગઠનોની ઉપસ્થિતિમાં સર્વપક્ષીય પ્રાર્થના સભા થશે. 27 સુધીમાં અમદાવાદ ઉપરાંત સુરતમાં તાપી, સોમનાથમાં ત્રિવેણી સંગમ, વડોદરામાં મહી, સિદ્ધપુરમાં સરસ્વતી, ભરૂચમાં નર્મદા ખાતે અસ્થિ વિસર્જન કરાશે.

23 ઓગસ્ટ 2018ના રોજ અટલ બિહારી વાજપેયીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ગુજરાત શ્રદ્ધાંજલિ આપશે. 16 ઓગસ્ટે વાજપેયીના નિધન બાદ જાહેર થયેલા એક સપ્તાહના રાષ્ટ્રીય શોક ૨૨મીએ પૂરો થાય છે. એના બીજા દિવસે વડાપ્રધાનનો જાહેર કાર્યક્રમ ગુજરાતમાં યોજાનાર છે. આથી તેમના જાહેર કાર્યક્રમના પ્રારંભે વલસાડમાં સૌ બે મિનિટનું મૌન પાળીને પૂર્વ વડાપ્રધાનને અંજલિ અપાશે. વડાપ્રધાન કાર્યાલય તરફથી ગુજરાતના વહીવટી તંત્રને પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ રાષ્ટ્રીય શોકની સમાપ્તી બાદ યોજાનાર હોવાથી તેને યથાવત રાખવાની સૂચના આપી હતી.

વડાપ્રધાન 23મીએ સવારે દિલ્હીથી સીધા સુરત પહોંચશે. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે વલસાડના જૂજવા ગામ ખાતે મહિલા અને બાળ કલ્યાણ તેમજ ગ્રામ વિકાસ મંત્રાલયના સંયુક્ત ઉપક્રમે મહિલા લાભાર્થીઓના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે 12.25 કલાકે વલસાડથી હેલિકોપ્ટર મારફતે જૂનાગઢ જશે. ગાંધીનગરમાં સાંજે 6.40થી 8.15 વાગ્યા સુધી રાજ્યના વહીવટી તંત્ર ઉપરાંત ગુજરાત ભાજપના નેતાઓ સાથે અલગ અલગ બેઠક યોજશે. ત્યાર બાદ નવી દિલ્હી જવા રવાના થશે.