220 કિલો મીટરની ઝડપે આગળ વધતું વાવાઝોડું 90 કિ.મી. ઝડપે ચક્રવાતથી મકાનના છાપરા ઉડી જશે

ગાંધીનગર : રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આફતની સ્થિતી અંગે વહીવટીતંત્રની સજ્જતા અને સર્તકતાની સર્વગ્રાહી સમીક્ષા ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી. આ બેઠક બાદ સંભવિત ‘મહા’ વાવાઝોડાની સ્થિતીની વિગતો આપી હતી. હાલ પ્રતિ કલાક રર૦ કિ.મી.ની ઝડપે આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે, પરંતુ તેની તીવ્રતા આગામી દિવસોમાં ઘટી જવાની સંભાવનાઓ પ્રબળ છે. હાલ વેરાવળથી ૬૮૦ કિ.મી. દિવ થી ૭૩૦ કિ.મી. અને પોરબંદરથી ૬પ૦ કિ.મી.ના અંતરે દરિયામાં છે.
આગામી ૭ નવેમ્બરે આ વાવાઝોડું કલાકના ૮૦ થી ૯૦ કિ.મી. ઝડપે પવન સાથે દિવ-પોરબંદર વચ્ચે ગુજરાતમાં પ્રવેશ કરશે.

પંકજકુમારે જણાવ્યું કે, હાલની સ્થિતીએ આ ‘મહા’ વાવાઝોડું તા. ૬ નવેમ્બર થી ૭ નવેમ્બર વચ્ચે રાજ્યના દિવ-પોરબંદર નજીકની સંભાવના છે.  આ વાવાઝોડાની હાલની તીવ્રતા ઇન્ટેન્સીટી દિન-પ્રતિદિન ઘટી રહી છે અને કલાકના ૮૦ થી ૯૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.

રાજ્યમાં હાલ ૧પ NDRF ટીમ તૈનાત છે અને વધુ ૧પ ટીમ આવી રહી છે. પ્રાથમિકતા દરિયામાં માછીમારી માટે ગયેલી ફિશીંગ બોટ પરત આવે તે છે. કુલ ૧૨૬૦૦ બોટ સમુદ્રમાં માછીમારી માટે ગયેલી છે તેમાંથી ૧ર હજાર જેટલી પરત આવી ગઇ છે.
આગાહીઓને ધ્યાને રાખી વખતોવખત આગોતરી તૈયારીઓ પણ કરવામાં આવી જ રહી છે.
આ સંદર્ભમાં ખાસ કરીને મીઠાના અગરિયાઓ, નીચાણવાળા વિસ્તારો, બેટ વિસ્તારો, બંદરો અને બાંધકામ સાઇટ તેમજ વરસાદમાં સંપર્ક વિહોણા થઇ જાય છે તેવા ગામડાઓ પ્રત્યે ખાસ આગોતરી સતર્કતા રાખવામાં આવી છે.

હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક જ્યંત સરોકારે આ ‘મહા’ વાવાઝોડાની વર્તમાન સ્થિતીની માહિતી આપતા જણાવ્યું કે આ સંભવિત વાવાઝોડાની અસરને કારણે રાજ્યના દરિયા કિનારાના સુરત, ભરૂચ, વડોદરા, વલસાડ, અમરેલી, પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા તેમજ અમદાવાદ, આણંદ, ભાવનગર જિલ્લાઓમાં વરસાદ થવાની પણ સંભાવનાઓ છે.