ગુજરાતનાં ગૌરવ સમાન ગીરનાં સિંહોનાં એક પછી એક એમ કુલ થયેલાં 23 મોતનાં મામલે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી રિટ પિટીશનમાં રાજ્ય સરકારે સોગંદનામામાં કહ્યું હતું કે, સિંહોનાં મોત મામલે સરકાર ગંભીર છે. અને 500 જેટલાં સિંહોને રસી આપવામાં આવી છે. ઉપરાંત 31 જેટલાં સિંહોને અસર હતી તેમને અલગથી રાખવામાં આવ્યાં છે. જોકે, આ મામલે ગુજરાત હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરે એવી શક્યતાઓ છે.
ગુજરાતમાં એક પછી એક એમ 23 સિંહોના મોતને લઈને ગુજરાત હાઈકોર્ટ ગંભીર છે. મહત્વનું છે કે, સપ્ટેમ્બર મહિનામાં ગીરનાં પૂર્વ ભાગમાં આવેલી દલખાણિયા રેન્જમાં કુલ 23 જેટલા સિંહોના મોત થયા હતા. આ મામલો હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અને સાથે સાથે પ્રાણીવિદ્દોમાં પણ સિંહોનાં થયેલાં મોત મામલે ભારે નારાજગી જોવા મળી છે. બુધવારે હાઈકોર્ટ આ અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી શકે છે. જેમાં તમામ સિંહોનું રસીકરણ કરવા આદેશ અપાઈ શકે છે. તો ગેરકાયદેસર વીજ કરંટ બંધ કરવા આદેશ અપાશે. ઉપરાંત રસ્તા પર કેમેરા અને સ્પીડ ગન મૂકવાનું સૂચન આપશે. જરૂરી સ્થળોએ ફેન્સિંગ કરવાનું સૂચન પણ અપાઈ શકે છે. આ તમામ સૂચનો હાઈકોર્ટમાં કોર્ટમિત્રો દ્વારા આપવામાં આવ્યાં છે. આ મામલે રાજ્ય સરકારે પણ પોતાનો જવાબ રજૂ કર્યો છે. જેમાં સરકારે જણાવ્યું કે હાલમાં 31 સિંહોને અન્ય સિંહોથી અલગ રખાયા છે. કુલ 500 જેટલી રસી સિંહોને અપાઈ છે. જ્યારે વધુ 500 રસી મંગાવવામાં આવી છે.
રાજ્ય સરકારે હાઈકોર્ટમાં રજૂ કરેલા જવાબમાં જણાવ્યું હતું કે, સરકાર સિંહોના મોત મામલે અતિશય ગંભીર છે. સરકારે પોતાનાં સોગંદનામામાં જણાવ્યું હતું કે, 500 જેટલા સિંહોને રસી આપવામાં આવી છે. સિંહોના મોતને અટકાવવા માટે ફેન્સિંગ પણ કરવામાં આવશે. આ સાથે ગીર વિસ્તારમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ માટે વન વિભાગ અને વાઇલ્ડ લાઇફના જાણકાર લોકો કામ કરી રહ્યાં છે. સરકાર દ્વારા સિંહોના મોતને અટકાવવા માટે જરૂરી પગલા પણ લેવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સપ્ટેમ્બર મહિનામાં કુલ 23 સિંહોનાં થયેલાં મોત બાદ સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને રાજ્યની હાઈકોર્ટ તેમ જ સુપ્રીમ કોર્ટે પણ આ મામલે રાજ્ય સરકારે કેવાં પગલાં ભર્યા છે તે મામલે જવાબ રજૂ કરવા જણાવ્યું હતું. આ સિંહોનાં મોત બાદ રાજ્ય સરકારનાં વન વિભાગનાં અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી પર પણ અનેક સવાલ ઉઠવા પામ્યા હતા. દરમિયાનમાં સિંહોનાં મોત અટકાવવા માટે રાજ્ય સરકારે અમેરિકાથી 300 રસી મંગાવી હતી. જે સિંહોને આપવામાં આવી હતી. જોકે, આઈએમસીઆરનાં એક રિપોર્ટમાં સક્કરબાગ ઝૂમાં 27 જેટલાં સિંહોને કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે. જોકે, રાજ્ય સરકારનાં વન વિભાગે આ રિપોર્ટ હજુ નહિ મળ્યો હોવાની વાત કરીને આ મામલે ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું.