3200 યુગલોએ જ્ઞાતિ છોડી લગ્ન કરી લીધા

આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપતી રાજ્ય સરકાર

લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય

અનુસૂચિત જાતિ-જનજાતિના યુગલોને આંતરજ્ઞાતિય લગ્નો માટે અમલી ડૉ. સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના હેઠળ ૩,૨૦૭ યુગલોને રૂ.૧૮.૫૫ કરોડની સહાય ચૂકવાઇ છે.

સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અમલી ૨૦ જેટલી યોજનાઓ ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઇન કરાઇ છે. અનુસૂચિત જાતિ-જનજાતિ યુવાઓ આંતરજ્ઞાતિય લગ્નો કરે તો રૂપિયા એક લાખની સહાય આપવામાં આવે છે.

પતિ-પત્નીને સંયુકત રીતે નાની બચતના રૂ.૫૦ હજારનાં પ્રમાણપત્રો તથા રૂ.૫૦ હજારની સહાય ઘરવખરીનાં સાધનો વસાવવા માટે અપાય છે.

લગ્ન કરનાર યુગલમાં એક એક અનુસૂચિત જાતિ-જનજાતિના હોવા જોઇએ. ગુજરાતના મૂળ વતની હોવા જોઇએ. લગ્ન બાદ બે વર્ષમાં અરજી કરવાની હોય છે. પરપ્રાંતિય યુવાન લગ્ન કરે તો પાંચ વર્ષથી ગુજરાતમાં વસવાટ કરતા હોવા જોઇએ. હિન્દુ ધર્મ પાળતો હોવાનું પ્રમાણપત્ર, વસવાટ અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું હોય છે. ૩૫ વર્ષના વિધુર કે વિધવા કે જેને પુત્ર-પુત્રી ન હોય અને પુન:લગ્ન કરે તો તેને પણ આ યોજનાનો લાભ મળે છે. જેમાં આવકની કોઇ મર્યાદા લાગુ પડતી નથી. આ માટે યુગલે જાતિનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર, યુગલનો સંયુકત ફોટો, બેન્કની પાસબુક, આધારકાર્ડ રજૂ કરવાનું હોય છે તેમ તેમણે ઉમેર્યું હતું.