37 હજાર બાળકો ગુજરાતમાંથી ગુમ થયા

બાળકો ગુમ થવાના મામલે ગુજરાત દેશમાં પહેલા ક્રમે આવે છે. આ સમગ્ર મામલે વાત કરવામા આવે તો 2 જુન, 2015થી 21 ડિસેમ્બર, 2018 સુધીની મળતી માહિતી અનુસાર ગુજરાતમાંથી દર મહિને 882 જેટલા બાળકો ગુમ થાય છે. આંકડાઓ અનુસાર ગુજરાતમાંથી છેલ્લાં સાડા ત્રણ વર્ષમાં 37,06૩ બાળકો ગુમ થયા છે અને દુઃખની વાત એ છે કે તેમાંથી મોટાભાગના બાળકો ક્યારેય પાછા મળતા નથી.

ગુજરાત પછી બાળકો ગુમ થવા મામલે બીજો નંબર મધ્યપ્રદેશનો આવે છે. લોકસભાના મંત્રી ડૉક્ટર વીરેન્દ્ર કુમાર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, સાડા ત્રણ વર્ષના સમય દરમિયાન દેશમાંથી ફુલ 1.61 લાખ બાળકો ગુમ થયા છે. 1.61 લાખમાંથી 37,063 હજાર બાળકો એકલા ગુજરાતમાંથી અને 32,925 બાળકો મધ્યપ્રદેશમાંથી ગુમ થયા છે.

ગુજરાતમાં બાળકો ઉઠાવી જતી ગેંગ આવી છે અને તે બાળકોને ઉઠાવી જાય છે એવી અફવા જૂન 2018માં ફેલાઈ હતી. જેમાં લોકોએ ખોટી રીતે હુમલો કરતાં અમદાવાદમાં એક મહિલાનું મોત થયું હતું. દેવીપુજકની હત્યા કરવામાં આવી અને અનેક લોકો પર હુમલા કરાયા હતા. આ માત્ર અફવા ફેલાવવામાં આવી હતી અને તે સોશિયલ માધ્યમ દ્વારા ફાલાવવામાં આવી હતી. એક અંદાજ મુજબ પોલીસ દફતરે નોંધાયેલી અને ન નોંધાયેલી 200થી વધું લોકો પર હુમલા કર્યા હતા. આપી તદ્દન પાયા વગરની અફવા ફેલાવીને નિર્દોષ લોકોનો ભોગ લેવાયો હતો. પણ ગુજરાતના મધ્યપ્રદેશના સરહદી ગામમાં 11 નવેમ્બર 2017માં 24 બાળકો ઉઠાવી જઈને વેચી માર્યા હોવાની ખરી ગેંગ અંકે કોઈએ ચર્ચા પણ કરી નથી. જેમાંથી 13 બાળકો પોલીસે પરત મળવ્યા છે. હજુ 12 બાળકો ક્યાં છે તે શોધી શક્યું નથી. ભાજપના બે નેતાઓ બાળકો ગુમ થવાના રેકેટમાં ફસાયેલા છે.

મધ્યપ્રદેશ અને ગુજરાતના સરહદી પર બાળકો ઉઠાવી જવાની ગેંગનો સૂત્રધાર શૈલુ રાઠોર પકડાયો હતો. જેમાં 25 આરોપીઓ અત્યાર સુધીમાં પકડાયા છે. છોટાઉદેપુર નગરપાલિકાનાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ રાજુ નિરંજન અગ્રવાલની પણ બાળ તસ્કરીનાં મામલે મધ્યપ્રદેશ પોલીસે ધરપકડ કરી હતી.

તેઓએ એક ગેંગ બનાવીને બાળ તસ્કરી કરી, બાળકોને વેચી દીધા હતા. આવા 12 બાળકો શોધી કઢાયા છે. મધ્યપ્રદેશની પોલીસે આ કૌભાંડ પકડી પાડ્યું હતું. બાળકો ગુજરાતથી ઉઠાવી લેવાતાં હતા.

ઉઠાવેલા બાળકોમાં લક્ષ્યની ઉંમર સાડા ત્રણ વર્ષ, વિરાટની ઉંમર સત્તર માસ, તથા વૈષ્ણવીની ઉંમર નવ માસ હતી.

છોટાઉદેપુરની કેસર હોસ્પિટલ ના ડો. એ. રાજુ તેમજ મેનેજર પરેશ શાહ આવા બાળકોને ઉઠાવી જવામાં મદદ કરતાં હતા. શોધી કઢાયેલા બાળકોમાં મોટાભાગના બાળકો કેસર હોસ્પિટલ દ્વારા આપવામાં આવ્યા હતા. 11 નવેમ્બર 2017માં અલીરાજપુર પોલીસ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરીને, પીએસઆઇ ચંચલા સોની અને ભોપાલની સામાજિક સંસ્થા અવાજના સંચાલક પ્રશાંત દુબેને દંપતી બનાવી આરોપી શૈલુ રાઠોરને ઘરે મોકલ્યાં હતાં. મુખ્ય આરોપી શૈલુ રાઠૌર ને રૂ.1.40 લાખમાં 18 મહિનાના બાળક માટે શોદો કરતાં પકડી લેવામાં આવ્યો હતો.

મોટી સંખ્યામાં બાળકો વેચાયા હોવાનું તેના પરથી જણાયું છે.

11 જાન્યુઆરી 2019

આ દિવસે વધું એક આરોપી પાસેથી એક વર્ષના બાળક મેળવીને પોલીસે ધરપકડ કરી હતી. શૈલુએ આ બાળક રૂ.1 લાખમાં એક નિઃસંતાન દંપતીને વેંચ્યુ હતું. તે કયાંથી ખરીદ્યું હતું તે અંગે ચોક્કસ માહિતી પોલીસને હજુ નથી. 14મું બાળક આ રીતે પરત મેળવાયું હતું. તેની સાથે કૂલ 28 આરોપીઓ પકડી લીધા હતા.

ડોક્ટર આ કાળા કામ કરતો હતો

છોટાઉદેપુરના કેસર હોસ્પિટલના માલિક ડૉ.એ.આર. રાજુની ધરપકડ કરવામાં આવી હતી. ડૉ. રાજુ ના કેસર હોસ્પિટલના નામે 4 દવાખાના છે. છોટાઉદેપુર, કવાંટ, અલીરાજપુર અને કઠ્ઠીવાળા. ડૉ. રાજુના દવાખાનામાં એક બાળકનો જન્મ થયા બાદ તે બાળકને તેના માતા-પિતાએ સાથે લઈ જવાની ના પાડી હતી. ડૉકટરે દવાખાનાના ખર્ચના રૂ.17 હજાર તેની પાસેથી લીધા હતા. બાળકને હોસ્પિટલમાં જ સારવાર અને દેખરેખ હેઠળ રાખ્યો હતો. તેવામાં બાળક તસ્કરી ના માસ્ટર માઈન્ડ શૈલુ રાઠોડે દવાખાના નો સંપર્ક કરી તેને રૂ.50 હજારમાં ખરીદી લીધો હતો. જે વડોદરાના દંપતીને રૂ.1 લાખમાં વેચી દીધો હતો.

કેસર હોસ્પિટલની નર્સ સાયરા શેખ દ્વારા છ મહિના પહેલાં માત્ર રૃા.૩૦ હજારમાં છોટાઉદેપુરમાં સમદાની ઇકબાલભાઇ શેખને બાળક વેચ્યુ હતું.

આ કિસ્સામાં મોટાભાગે આડા સંબંધોના કારણે જન્મેલા બાળકો હોય તેમજ કોઈ બાળકનું પોષણ કરવામાં અસમર્થ હોય એવા બાળકો છોડીને આવતા. કેટલાકે ત્યાં પ્રસૃતિ કરાવી હતી એના પૈસા પણ આપ્યા હતા. અને અહીંયા લોકલાજે મહિલા જે બાળક જન્મે તેને વેચવામાં આવતા હતા.

મધ્યપ્રદેશ અનુસૂચિત જાતિ, જનજાતિ તથા કર્મચારી સંઘ દ્વારા અલીરાજપૂર જિલ્લા કલેક્ટરની કચેરીમાં આવેદન પત્ર આપીને આ ટોળકી દ્વારા બાળ તસ્કરી ઉપરાંત આદિવાસી વિસ્તારમાંથી યુવતીઓની પણ તસ્કરી કરવામાં આવતી હોવાની વ્યવસ્થીય કૌભાંડ ચાલી રહ્યુ છે. આ વિસ્તારમાં યુવતીઓને પટાવીને ઇન્દોર, ભોપાલ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અન્ય સ્થળોએ લઇ જઇને તેને પણ વેચી દેવામાં આવતી હોય છે.

રાધનપુરની આસ્થા હોસ્પીટલમાંથી બાળક ગુમ

પાટણના રાધનપુર શહેરની ભાભર રોડ પર આવેલ આસ્થા હોસ્પિટલમાં 14 મે 2018માં મહિલાની પુત્ર સાથેની નોર્મલ પ્રસુતી થઈ હતી. પણ બાળકને મરેલું જાહેર કરી દીધું હતું. પુત્રની લાશ માંગતા હોસ્પિટલના તબિબો જવાબ આપતા ન હતા. બાળકની લાશને બાળી નાંખી છે કે, કુતરા લઈ ગયા છે એવી વાત તબિબોએ કરી હતી. હોસ્પિટલ દ્વારા અલગ અલગ નિવેદન આવતા આસ્થા હોસ્પિટલ ઉપર બાળકની તસ્કરી થઇ હોવાની ફરિયાદ લેવામાં આવી હતી.

પીડિત પરિવારે આસ્થા હોસ્પિટલના સંચાલક ડો. દેવજી પટેલ ઉપર આરોપ લગાવ્યો હતો કે, અહીં બાળકોને સારા ઘરના લોકોને વેંચી મારવામાં આવે છે. તસ્કરીની સંભાવના છે. મુખ્ય આરોપી મહિલા ડોક્ટર મીના પ્રજાપતિ આ ઘટના થયા બાદ તરત હોસ્પિટલથી ફરાર થઇ ગઈ હતી.

ડોકટર દેવજી પટેલે જાહેર કર્યું હતું કે, બાળકને કુતરા કે, બિલાડી બાળકને લઇ જવાથી અમને બાળક મળતું નથી.

ઘટનાને રાજકીય રીતે દબાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. આસ્થા હોસ્પિટલના સંચાલક રાધનપુરમાં ભાજપના એક આગેવાન નેતા છે. આ હોસ્પિટલમાં પહેલા પણ આવી ગંભીર બેદરકારીઓ સામે આવી છે.

આસ્થામાં 30 હજાર પ્રસૂતિ

પૂર્વ આરોગ્ય મંત્રી અને ભાજપના નેતા, બનાસ ડેરીના અધ્યક્ષ શંકર ચૌધરીની ભાગીદારીવાળી રાધનપુરની આસ્થા હોસ્પિટલમાં બાળકો ગુમ થવા તેમજ સારવાર દરમિયાન મહિલાઓના મૃત્યુ થવાની અનેક ઘટનાઓ બની છે. તેમજ પાટણ જિલ્લામાં સૌથી વધુ સરકારી સહાય પણ આસ્થા હોસ્પિટલને જ આપવામાં આવેલી છે. જેથી આ હોસ્પિટલમાં છેલ્લા સાત વર્ષમાં બનેલી ઘટનાઓ જેવી કે 25 થી 30 હજાર પ્રસૂતિ આસ્થામાં થઈ છે. તેની તપાસ કરવાની જરૂર છે. એવી અરજી પાટણ ખાતે કલેક્ટરને અતુલ દવે દ્વારા કરવામાં આવી હતી.

આ બનાવની તપાસ થઈ નથી.

કેનેડા બાળકો મોકલાયા

માનવ તસ્કરી પ્રકરણમાં 21 આરોપી વિરુદ્ધ સહાર પોલીસે મુંબઈ – ગુજરાતનની ટોળકીએ અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 52થી વધુ બાળકો, મહિલા અને પુરુષોને બોગસ પાસપોર્ટ અને વિઝા દ્વારા કૅનેડા મોકલ્યા હોઈ દરેક વ્યક્તિ માટે તેમણે રૂા.50થી 65 લાખનું કમિશન મળ્યું હતું.

300 બાળકો અમેરિકા વેંચી દેવાયા

ભારતમાંથી રૂ.45 લાખના એક એવા 300 બાળકોને અમેરિકામાં વેંચી મારવાના 2007થી ચાલતા કૌભાંડના સંબંધમાં મુંબઇ પોલીસે સૂત્રધાર રાજુભાઇ ગમલેવાલાની અમદાવાદમાંથી ધરપકડ કરી હતી. મોટાભાગે ગુજરાતના ગરીબ કુટુંબોના 11થી 16 વર્ષની વયના બાળકોને અમેરિકામાં વેંચી દેવાયા હતા.

વર્ષે 2500 બાળકો ગુમ થઈને ક્યાં જાય છે

ગુજરાતમાં 2018 પ્રમાણે છેલ્લા બે વર્ષમાં 4800 બાળકો ગુમ થયા હતા. જેમાંથી હજુ પણ 1150 બાળકો લાપતા છે. કેન્દ્ર સરકારની NCRBના – રાષ્ટ્રીય ગુના નોંધણી બ્યુરોએ જાહેર કર્યું છે કે, મોટા શહેરોમાં વધુ બાળકો ગુમ થયા છે, જેમાં 2156 બાળકો ગુમ હતા.

જિલ્લો ગુમ – લાપત્તા થયા

અમદાવાદ 1241 – 310

વડોદરા 322 – 45

ગાંધીનગર 223 – 47

રાજકોટ 223 – 45

મહેસાણા 217 – 56

ભરૂચ 180 – 30

ભાવનગર 169 – 59

કચ્છ 162 – 26

વલસાડ 140 – 19

અમરેલી 133 – 43

મોરબી 81 – 48

નવસારી 60 – 26

બોટાદ 57 – 10

પોરબંદર 44 – 7

પાટણ 45 – 4

મહીસાગર 44 – 14

ગીર સોમનાથ 38 – 14

ખેડા 33 – 6

જામનગર 28 – 14

પંચમહાલ 22 – 11

બનાસકાંઠા 17 – 2

સાબરકાંઠા 13 – 4

છોટાઉદેપુર 12 – 4

તાપી 11 – 0

દેવભૂમિ દ્વારકા 9 – 0

આણંદ 7 – 1

દાહોદ 6 – 1

સુરેન્દ્રનગર 5 – 0

નર્મદા 4 – 1

ડાંગ 3 – 1

કૂલ 4800 – 1150

8 વર્ષમાં 1450 બાળકો ગુમ

2007 થી 2015ના વર્ષ દરમિયાન 8 વર્ષમાં 1450 બાળકો ગુમ થયા હોવાનું ગુજરાત સરકારે વડી અદાલતને કહ્યું હતું. પણ જાહેર હીતની અરજીમાં 8 વર્ષમાં 11 હજાર બાળકો ગુમ હોવાનું જણાવાયું હતું.

ક્યાં જાય છે બાળકો

ભારતમાં દર વર્ષે 1 લાખ બાળક ગુમ થાય છે. ગુજરાતમાં 5 હજાર બાળકો ગુમ થાય છે. જેમાં 55 ટકા તો બાળકીઓ હોય છે. આ માટે ભારત દેશ દુનિયામાં બદનામ છે. બાળકો ગુમ થવામાં પાંચ વર્ષમાં 4 ગણો વધારો થયો છે. ખરેખર બાળકો ગુમ થતાં નથી પણ તેમને ઉઠાવી જવામાં આવી રહ્યાં છે. તેનું વેચાણ કરવામાં આવે છે. બાળકોના અંગો કાઢી લેવા માટે તેમાં હોસ્પિટલ વધારે સામેલ છે. લોકો પૈસા આપીને કિડની જેવા અંગો ખરીદે છે જે આવા બાળકોના વધું હોય છે. બીજા કેટલાંક બાળકો ભિક, મજૂરી, યૌન શોષણના વ્યવસાય માટે અપહરણ કરીને ધકેલી દેવામાં આવી રહ્યાં છે. આવા બાળકોની કોઈ ભાળ મળતી હોતી નથી.

તસ્કરીનો કાયદો, પણ અમલ નહીં

કેન્દ્રી મંત્રીમંડળે 28 ફેબ્રુઆરી 2018માં વ્યક્તિઓની તસ્કરી (અટકાવવા, સુરક્ષા અને પુનર્વસન) ખરડો, 2018ને લોકસભામાં રજૂ કરવા મંજૂરી આપી હતી. પણ પછી તેનો અમલ ગુજરાતમાં થયો નથી. કાયદા મુજબ તસ્કરીનાં ગંભીર સ્વરૂપોમાં જબરદસ્તી મજૂરી, ભીખ માંગવી, સમય પહેલા યૌન પરિપક્વતા માટે કોઈ વ્યક્તિને રાસાયણિક પદાર્થ કે હોર્મોન આપવા, લગ્ન કે લગ્નનાં છળકપટ અંતર્ગત કે વિવાહ પછી મહિલાઓ અને બાળકોની તસ્કરી સામેલ છે. કેસોની ઝડપથી સુનાવણી માટે દરેક જિલ્લામાં વિશેષ અદાલત સ્થાપવાની હતી. 10 કે આજીવન કારાવાસની સજા છે. એક લાખનો દંડ છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત ગુનાહિત જોડાણને તોડવા માટે સંપત્તિને જપ્ત કરવાની અને ગુનાખોરીમાંથી પ્રાપ્ત નાણાંને જપ્ત કરવાની જોગવાઈ છે. પણ તેનો અમલ કરવા કંઈ થતું નથી.

હેલ્પ લાઈન

ખોયાપાયા નામનું પોર્ટલ ગુમ બાળકોની શોધખોળ માટે છે. દેશમાં ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે, ગુજરાતમાં કુલ 125 જેટલા ચાઇલ્ડ કેર હોમ કામ કરે છે.