વુહાનમાં 90% કોવિડ-19 દર્દીઓ ફેફસાના નુકસાનથી પીડિત છે: રિપોર્ટ

વુહાન યુનિવર્સિટીના ડોક્ટરો દ્વારા કરવામાં આવેલા એક સર્વેમાં ખુલાસો થયો છે. ચીનના વુહાન શહેરમાં જેટલા પણ દર્દીઓ કોરોના વાયરસને માત આપીને સાજા થયા છે તેમાંથી મોટાભાગના લોકોના ફેફસાંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલું જ નહીં, સાજા થયેલા દર્દીઓમાંથી 5 ટકા જેટલા ફરીથી કોરોના વડા સંક્રમિત થીને હોસ્પિટલમાં દાખલ થયા છે.

હોસ્પિટલના ઈન્ટેન્ટિવ કેર યુનિટના ડિરેક્ટર પેંગ ઝિયોંગની અધ્યક્ષતામાં વુહાન યુનિવર્સિટીની ઝાન્ગેનૈન હોસ્પિટલમાં એક ટીમ કામ કરી રહી છે. આ ટીમે વુહાનમાં કોરોનાથી સાજા થયેલાં 100 દર્દીઓનો એક સર્વે કર્યો હતો. આ ટીમ એપ્રિલ મહિનાથી કોરોનાથી સાજા થયેલાં 100 દર્દીઓપર નજર રાખી રહી હતી. તે સિવાય સમય સમય પર દર્દીઓના ઘરે જઈને તેમના સ્વાસ્થ્યની જાણકારી મેળવી રહી હતી.

એક વર્ષ સુધી ચાલનારા આ સર્વેનો પ્રથમ તબક્કો જુલાઈ મહિનામાં સમાપ્ત થયો હતો અને આ સર્વેમાં દર્દીઓની સરેરાશ ઉંમર 59 વર્ષ છે. પહેલા તબક્કાના પરિણામો પ્રમાણે સાજા થયેલા દર્દીઓમાંથી 90 ટકાના ફેફસાં બરબાદીના કિનારે છે. મતલબ કે આ દર્દીઓના ફેફસાંનું વેન્ટિલેશન અને ગેસ એક્સચેન્જ ફંક્શન કામ નથી કરી રહ્યું. આ લોકો હજુ સુધી સંપૂર્ણપણે સ્વસ્થ નથી થઈ શક્યા.

પેંગની ટીમે દર્દીઓ સાથે 6 મિનિટનો વોક ટેસ્ટ કર્યો હતો. જેમાં દર્દીઓ 6 મિનિટમાં માત્ર 400 મીટર જ ચાલી શકતા હોવાની જાણ થઈ હતી. જ્યારે એક સ્વસ્થ વ્યક્ત 500 મીટર સુધી ચાલી શકે છે. સાજા થયેલા દર્દીઓ પૈકીના કેટલાંક દર્દીઓને ત્રણ મહિના પછી પણ ઓક્સિજન સિલિન્ડર પર જ નિર્ભર રહેવું પડે છે. એટલું જ નહીં, 100માંથી 10 દર્દીઓના શરીરમાંથી કોરોના સામે લડી શકે તેવા એન્ટીબોડી જ સમાપ્ત થઈ ગયા છે.