900 કરોડના જમીન કૌભાંડમાં કોઈ તપાસ ન થઈ 

નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, અનાર પટેલ, ઉદ્યોગપતિઓ, ગુજરાત પ્રવાસન નિગમના એમડી, 7 અધિકારીઓની જમીન કૌભાંડમાં સંડોવણી બહાર આવ્યા બાદ કોઈ પગલાં આજ સુધી ભરાયા નથી. રૂ.900 કરોડની કિંમત આ જમીનની ગણાતી હતી. ત્યારે તે રૂ27 કરોડમાં આપી હતી. આજે આ જમીનની કિંમત રૂ.2000 કરોડ આસપાસ થાય છે. તેની તપાસ કરવા માટે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું. પણ તપાસ થઈ નથી.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પોતાના મુખ્ય પ્રધાન તરીકેના કાર્યકાળના 3 વર્ષની ઊજવણી કરી રહ્યાં છે. ત્યારે ગુજરાતના નાગરિકો તેમણે આપેલા વચનો યાદ કરીને પાળવા માટે અપેક્ષા રાખી રહ્યાં છે. વિજય રૂપાણીએ જાહેરમાં કહ્યું હતું કે તેમના પક્ષના પૂર્વ મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલ સામે ગીરની જમીન આપવાની બાબત અંગે વિગતો મેળવી તપાસ કરશે. આ વચન તેઓએ 3 વર્ષમાં પાળ્યું નથી. તેમણે પોતાના પક્ષના નેતા સામે કોઈ પગલાં આજ સુધી લીધા નથી કે તે અંગે કોઈ જાહેરાત કરી નથી. તેથી ગુજરાતના નાગરિકો એવું ઈચ્છી રહ્યાં છે કે વહેલી તકે તેઓ રાજ્યના હીતમાં તેની તપાસની વિગતો જાહેર કરે.

મુખ્ય પ્રધાન બન્યા ત્યારે તપાસની જાહેરાત 

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલની પુત્રી અને સમાજ સેવક અનાર પટેલનું ગીર જંગલની જમીનું કૌભાંડ અને ભ્રષ્ટાચારના કેસની વિગતો વિજય રૂપાણીની સરકારે 12 ઓગસ્ટ 2016માં માંગી હતી. તેના આધારે આગળ શું કરવું તેનો નિર્ણય લેવાશે એવું મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેર કર્યું હતું. અનાર પટેલને ગીર અભ્યારણ્યને અડીને 422 એકર જમીન ફાળવવામાં ગુજરાતના ચોકીદાર વિજય રૂપાણીએ કોઈ જ પગલાં લીધા નથી.

કોંગ્રેસના આરોપો બાદ રૂપાણીએ જાહેર કર્યું હતું  

2 માર્ચ 2016માં સંસદમાં અનાર પટેલના બિજનેશ પાર્ટનરને 92 ટકાની રાહત પર ગીર રીસોર્ટ બનાવવાના ઉદ્દેશથી 422 એકર સરકારી જમીન 2010માં મોદી મુખ્ય પ્રધાન હતા અને આનંદીબેન મહેસુલ પ્રધાન હતા ત્યારે રૂ.15ના એક ચોરસ મીટરના ભાવે આપી હોવાનો મુદ્દો ઉઠાવાયો હતો. તે પહેલાં આનંદીબેન પટેલ સામે આંગળી ચિંધીને તેમની પુત્રી અનારની કંપનીના ભાગીદારને જમીન સસ્તાભાવે આપવાના કૌભાંડમાં ચોકીદારોએ કોઈ પગલાં ન લીધા હતા. ત્યારે સ્ટેમ્પ ડ્યુટીનો ભાવ રૂ.180 પ્રતિ મિટરે હતો. આમ 92 ટકા રાહત સરકારે આપી હતી. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલાબ નબી આઝાદે  સંસદમાં આરોપો મૂક્યા હતા. તે અગાઉ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડીયાએ આરોપો મૂક્યા હતા. કેટલાંક આરટીઆઈ એક્ટીવીસ્ટે વિગતો જાહેર કરી હતી. ગુજરાત વડી અદાલતમાં જાહેર હીતની અરજી થઈ હતી. ભાજપના જ નેતાઓ આ કૌભાંડ જાહેર કરવા માટે વિરોધ પક્ષ અને અખબારો સાથે સમજૂતી કરી હતી. મુખ્ય પ્રધાન બનતાની સાથે જ મુખ્ય પ્રધાને તપાસ કરવાનું વચન પ્રજાને આપ્યું હતું. પણ કંઈ થયું નથી.

એમડી અને અધિકારીઓની સંડોવળી 

પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલ અનાર પ્રોજેક્ટ લિ. જેવી કેટલીક કંપનીમાં ભાગીદાર છે. નિવૃત્ત જજ દ્વારા તપાસ, જિલ્લા કલેકટર, ફોરેસ્ટ ઓફિસર સહિતની અધિકારીઓએ જમીન ફાળવણી રદ્ કરી પગલાં ભરાય એવી માંગણી કરાઈ હતી. ગુજરાત ટૂરિઝમ વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટરે પત્ર લખી કંપનીને 5 વર્ષ માટે જમીન ડેવલપ કરવા આપી અને તેનો દર મહિને અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. જોકે તે બાદ કોઇ પ્રગતિ અંગે તપાસ કરાઇ નથી.

કઈ રીતે થયું કૌભાંડ 

400 એકર જમીન પૈકી 250 એકર જમીન રૂ. 15 દર સ્કવેર મીટરે ફાળવવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા વાઇલ્ડ વુડ રીસોર્ટ બનાવવા માટે આ જમીન આપી હતી. અનાર પટેલના ભાગીદાર તરીકે દક્ષેશ શાહ હતા. રાજય સરકાર દ્વારા પાણીના ભાવે દક્ષેશ શાહને અપાઇ હતી. ત્યારે સ્ટેમ્પ ડ્યુટીનો ભાવ રૂ.180 પ્રતિ મિટરે હતો. આમ 92 ટકા ડિસ્કાઉનંટ સરકારે આપ્યું હતું. 1.83 કરોડ ફૂટ પ્રમાણે રૂ.303નો જંત્રી ભાવમાં રાહત આપીને રૂ.27 કરોડની જમીન ગણીને સ્ટેમ્પ ડ્યુટીમાં ફાયદો આપ્યો હતોય. રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલાબ નબી આઝાદે આરોપો સંસદમાં મૂક્યા હતા.

ભાવ ફેર 

જમીનની નજીકની બીજી જમીન ગૌશાળા માટે આપવાની હતી, ત્યારે કલેકટરે તે જમીનની કિંમત રૂ.471 નક્કી કરી હતી, જ્યારે રિસોર્ટ માટે તે જમીન માત્ર રૂ.15ની કિંમતે આપવા નક્કી કર્યું હતું. રિસોર્ટમાં દારૂ, બિયર અને ડિસ્કોથેકની પણ પરવાનગી આપવામાં આવી હતી. એટલું નહીં પરંતુ ફોરેસ્ટથી માત્ર 1.5 કિ.મીના અંતરે હોવા છતાં તેને તમામ મંજૂરીઓ અપાયાનો ગુજરાતની વડી અદાલતમાં જાહેર હીતની અરજીમાં આક્ષેપ કરાયો હતો. આમ ભાવ ફેર અને જમીનની સ્ટેમ્પ ડ્યુટી મળીને રૂ.900 કરોડનું જમીન કૌભાંડ માનવામાં આવે છે.

નિયમનો ભંગ 

બોમ્બે ટેનન્સી એન્ડ એગ્રીકલચર લેન્ડ એક્ટ પ્રમાણે ખેડૂત સિવાય કોઇ પણ કંપનીને એન.એ. કર્યા સિવાય જમીન ફાળવી શકાય નહીં. જો જમીન ફાળવી હોય તો પણ બે વર્ષમાં તેમણે ત્યાં બાંધકામ કરી દેવું ફરજિયાત છે. જોકે કંપનીને 2008માં જમીન ફાળવ્યા બાદ 2010 સુધી બાંધકામની કોઇ કામગીરી કરી ન હતી.

અનારના પાર્ટનરનું જમીન કૌભાંડ

આનંદીબહેન મહેસૂલ મંત્રી હતાં ત્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકાના પાટલા ગામે અનાર પટેલની સહભાગીદારીની વાઇલ્ડ વૂડ રિસોર્ટ્સ એન્ડ રિયાલિટી પ્રા. લિ.એ તબક્કાવાર 245.65 એકર જમીન મેળવ્યા પછી બાકીની સર્વે નંબર 25માંથી 176.77 એકર મળીને સવા સો કરોડની કિંમતની કુલ 245.62 એકર જમીન મેળવવાનું મની લોન્ડરિંગ કૌભાંડ કર્યું હોવાનો આક્ષેપ કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ અમદાવાદમાં પત્રકાર પરિષદમાં કર્યો હતો. આનંદીબહેનનાં રાજીનામાંની માગણી કરી હતી.

કંપનીના ડાયરેક્ટર તરીકે દક્ષેશ શાહ અને ગૌરવ શાહ હતા. તે સમયે દક્ષેશ શાહ અનાર પટેલની કંપની અનાર પ્રોજેક્ટ્સમાં 50 ટકા ભાગીદાર હતા. અનાર પટેલની કંપની રેલિશ ફાર્માસ્યુટિકલ્સમાં પણ શાહ જોઈન્ટ-પ્રમોટર હતા. વિલ્ડવુડ્સ રીસોર્ટ્સની સહ માલિકી દક્ષેશ શાહની કંપની પાર્શ્વ ટેક્સકેમની હતા. ટેક્સકેમ કંપની રેલિશ ફાર્મામાં પણ મોટો શેર ધરાવતા હતા. ટ્વેન્ટી ફોર બાય સેવન ફિટનેસ તથા અનાર પ્રોજેક્ટ્સમાં ભાગીદાર હતા. રજિસ્ટ્રાર ઓફ કંપનીઝમાં રજૂ કરાયેલા ડોક્યુમેન્ટ્સમાં ગુજરાત સરકારે ગીર અભયારણ્ય પાસેની જમીન ફાળવી એ વખતે વાઈલ્ડવુડ્સ રીસોર્ટ્સ તથા અનાર પટેલની કંપનીઓ વચ્ચે મોટા પ્રમાણમાં નાણાંકીય વ્યવહાર થયા હતા. વાઈલ્ડવુડ્સ રીસોર્ટ્સે જે પ્રકારના પ્રોજેક્ટ માટે જમીન ફાળવાઈ તેવા પ્રોજેક્ટનો કંપનીને કોઈ અનુભવ નહીં હોવા છતાં કઈ રીતે કંપનીને જમીન ફાળવાઈ હતી.

અનાર પટેલે ફેસબુક પર શું કહ્યું 

ફેસબૂક પર અનાર પટેલે લખ્યું હતું કે, મેં સરકાર પાસેથી લાભ નથી મેળવ્યો. આ વિવાદિત કંપની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું અને મારા પતિ 22 વર્ષી સમાજ સેવા કરી રહ્યા છીએ. અનિલ ઈનફ્રાપ્લસ, પાર્શ્વટેક્સકેમ અને WWRRPL (વાઈલ્ડવુડ્સ રિસોર્ટ એંડ રિયલ્ટી પ્રાઈવેટ લિમિટેડ)ની હુ ડાયરેક્ટર નથી કે તેની શેરહોલ્ડર નથી. મારે WWRRPL સાથે કોઈ લેવાદેવા નથી. આ અંગે કોઈપણ વ્યક્તિ કે સરકારી ઓથોરિટી સાથે ચેક કરી શકે છે. ચોક્કસ દક્ષેશભાઈ મારા બિઝનેસ પાર્ટનર છે, પણ તેનો મતલબ એ નથી થતો કે તેમની દરેક કંપનીમાં હુ હોઉ. તે પોતાના બળે ઉભા થયેલા બીઝનેસમેન છે અને 22 વર્ષથી વેપાર કરે છે. અમે 7 વર્ષ પહેલા રીટેઈલ અને સર્વિસ ક્ષેત્રમાં અને અનાર પ્રોજેક્ટ્સ નામની કંપની શરૂ કરી હતી. અમે ક્યારેય કોઈ સરકારી સંગઠન તરફથી મદદ મેળવી નથી. અમે દરેક રીતે કાયદા અને નિયમોને અનુસરીએ છીએ. માત્ર અનુમાનો પર મારી પર વ્યક્તિગત હુમલા થઈ રહ્યા છે. જે નિરાશાજનક છે. હુ કોઈની મદદ લેવામાં માનવાને બદલે મારી નૈતિક તાકાત પર વિશ્વાસ રાખુ છું.

મારા પતિએ સ્વચ્છતા માટે સમગ્ર જીવન સમર્પિત કર્યુ છે. પરિવાર ચલાવવા માટે મે ફાઈનાંસ અને માર્કેટિંગમાં એમબીએ કર્યુ અને વેપારમાં આવી ગઈ. હુ માનુ છુ કે નૈતિકતા અને પ્રમાણિકતાપૂર્વક વેપર કરવો તે દરેકનો હક્ક છે.
મે આજ સુધી દરેક કામ યોગ્ય રીતે કર્યુ છે. આવા સમયે જ્યારે નૈતિકતાના સવાલો ઉભા કરે છે ત્યારે દુખ થાય છે. સત્યની હંમેશા જીત થાય છે.

દક્ષેશ શાહે શું જાહેર કર્યું ? 

દક્ષેશ શાહે  તે સમયે જાહેર કર્યું હતું કે તેમની કંપની વાઈલ્ડવુડ્સ તથા અનારની કંપનીઓ વચ્ચે કોઈ વ્યવહાર થયા નથી.