અમદાવાદમાં શ્રમિકોને વતન મોકલી દેવા માટે ટ્રેન થકી ૨૧,૮૫૪ શ્રમિક તથા ગ્રામ્ય વિસ્તારના ૨૧,૬૬૩ શ્રમિકોને ટ્રેન થકી પોતાના વતનમાં મોકલવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ ૩૬ ટ્રેનમાં જિલ્લાના કુલ ૪૩,૫૧૭ શ્રમિકોને તેઓના વતન ભણી મોકલવામાં આવ્યા છે.
સૌ પ્રથમ જે-તે તાલુકામાં શ્રમિકોની નોંધણી કરવામાં આવે છે. નોંધણી બાદ શ્રમિકોની સંપૂર્ણ વિગત સાથેની રાજ્યવાર યાદી તૈયાર કરવામાં આવે છે. શ્રમિક યાદી તૈયાર થયા બાદ જે-તે રાજ્ય પાસેથી દરેક શ્રમિકોના નામ સાથેની પરવાનગી મેળવવામાં આવે છે. સંલગ્ન રાજ્ય પાસેથી પરવાનગી મળ્યા બાદ તમામ શ્રમિકોનો સંપર્ક સાધવામાં આવે છે અને તેઓને વતન વાપસી અંગેની આગળની કાર્યવાહી જણાવવામાં આવે છે. શ્રમીકોને નિયત સ્થાને બોલાવી તેઓનું આરોગ્ય તપાસ (હેલ્થ ચેકઅપ) કરવામાં આવે છે. રાજ્યવાર દરેક શ્રમિકોને ટ્રેનની ફાળવણી કરવામાં આવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા દરમિયાન અને ટ્રેનમાં બેસાડતી વખતે પણ શ્રમિકોના ભોજન નાસ્તાની આપૂર્તિ સુનિશ્ચિત કરવામાં આવે છે.
શ્રમિકોની વતન વાપસી માટે હેલ્પલાઇન નંબર 1800-233-9008, 079 26440626, ડિજિટલ પ્લેટફોર્મ અને નિયત ફોર્મ પણ જાહેર કરવામાં આવ્યો છે.
તાલુકા કક્ષાએ અને અન્ય રાજ્ય સાથેની સંકલનની કામગીરીમાં 150થી વધુ કર્મચારીઓ/અધિકારીઓ દિનરાત કાર્યરત છે. સંકલનની કામગીરી સાથે સંકળાયેલા કર્મચારી-અધિકારીઓના ફોન સતત રણકતા રહે છે. મોબાઇલ ફોનની બેટરી ક્યારેક ખૂટી જાય છે. ટ્વિટર, ટેલિફોન અને ઇ-મેઇલ થકી પણ શ્રમિકોની વતન વાપસી અંગે તમામ પૂછપરછનો યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.