લડાયક ત્રીપુટીનો એક જ માર્ગ – કોંગ્રેસ ખતમ કરો
જિજ્ઞેશ મેવાણી અને કોંગ્રેસમાં આંતરિક વિખવાદ
કોંગ્રેસની મજબૂત આંદોલનકારી ત્રિપુટીનો એક જ સરખો માર્ગ
દિલીપ પટેલ
અમદાવાદ, 1 જૂન 2025
ભાજપની આનંદીબેન પટેલની શ્રેષ્ઠ સરકારને ઉખેડી ફેંકવામાં અમિત શાહનો હાથો બનેલા નેતાઓ હવે કોંગ્રેસને છેલ્લો ખીલો મારી રહ્યાં છે. આનંદીબેન પટેલની સરકાર સામે આંદોલન કરનારા જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલનો એક સરખો માર્ગ હવે ચોખો થયો છે. આ ત્રણેય યુવા નેતાઓ ગુજરાતની આશા હતા. પણ ત્રણેય નેતાઓ સમય આવ્યે વિવાદો અને વિખવાદો કરીને ભાજપને ફાયદો કરતાં રહ્યાં હોવાનું હવે ચોખુ સાબિત થયું છે. આ ત્રણેય નેતાઓની એક સરખી ઓપરેશન પદ્ધતિ છે. કોંગ્રેસમાં જાઓ તેને ખતમ કરો અને પછી ભાગી નિકળી સત્તાનો સ્વાદ ચાખો.
જેમાં છેલ્લા જિજ્ઞેશ મેવાણી છે. જેઓ હવે કોંગ્રેસને બે વર્ષ પછી 2027માં ફરી એક વખત સત્તાથી દૂર રાખવાના રાજમાર્ગે જઈ રહ્યાં છે તેની ત્રીપુટીના બે નેતાઓ તો કોંગ્રેસની કબર ખોદીને ભાજપમાં ગયા છે. હવે જિજ્ઞેશ કબર ખોદી રહ્યા છે.
ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ વધ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ નામ લીધા વિના પક્ષના ભરત મા સોલંકી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહીલ જેવા નેતાઓને “ફૂટેલી કારતૂસો”ને પક્ષમાંથી હાંકી કાઢવાની માંગ કરી છે.
ફુટેલી કોંગ્રેસ
જિજ્ઞેશ મેવાણીએ પોતાના ‘X’ એકાઉન્ટ પર “ફૂટેલી કારતૂસો”ને પક્ષમાંથી હાંકી કાઢવાની માંગણી કરી હતી. ‘હવે તો, બીજા પક્ષના નેતાઓ પણ કહી રહ્યાં છે કે, તમારા પક્ષમાં તો નરી ફૂટેલી કારતૂસો જ છે. કાઢોને કોની રાહ જુઓ છો. ભાજપની બી ટીમ, ફૂટેલી કારતૂસો, સામેના કેમ્પ સાથે સેટિંગ કરનારાં અને લગ્નના ઘોડા, આ બધાને કોંગ્રેસમાંથી કાઢવામાં દુ:ખે છે. ક્યાં? મારું નહીં તો રાહુલજીનું તો માનો.’
ફોટો વિવાદ
આ વિવાદ વચ્ચે કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં AAP ઉમેદવાર જગદીશ ચાવડા સાથે જિજ્ઞેશ મેવાણીની તસવીરો બહાર આવી છે. એકબીજાના પરિચિત છે. જગદીશ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના સક્રિય સભ્ય છે, જે મંચની સ્થાપના મેવાણીએ વર્ષ 2016માં કરી હતી. કડી વિધાનસભા બેઠક પર AAPના ઉમેદવાર જગદીશ ચાવડા હશે તેવી શક્યતાને કારણે જ મેવાણીએ કડી કોંગ્રેસના પ્રભારી તરીકેની જવાબદારી સ્વીકારી નહોતી?
જૂથબંધી કરી
કોંગ્રેસની આંતરિક જૂથબંધી વધુ સ્પષ્ટ થઈ છે. પેટા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં આ પ્રકારનો વિખવાદ પક્ષ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આગામી દિવસોમાં આ રાજકીય ગતિવિધિઓ કયો વળાંક લે છે તે જોવું રસપ્રદ રહેશે. તેઓ કોંગ્રેસના બે નેતાઓના રવાડે ચઢી ગયા છે. દેસાઈ અને પાલ તેમની સાથે રહે છે.
તક ગુમાવી
જિજ્ઞેશ મેવાણી પાસે ગુજરાતના શ્રેષ્ઠ નેતા બનવાની તક અને લાયકાત હતી. પણ તેઓ એક ધારાસભ્ય અને દલિત નેતા બની શક્યા તે તેમની મોટી નબળાઈ છે. તેઓ વિશાળ દીલના નેતા બનવાના બદલે સંકુચિત વિચારો ધરાવતા કાર્યકર બની ગયા છે. કોંગ્રેસમાં તેમને હજું તો થોડા વર્ષો જ થયા છે. તેના પર કોંગ્રેસના અગણિત ઉપકાર છે. તે બધું ભૂલીને હવે કોંગ્રેસના નેતાઓની સામે લડી રહ્યાં છે. જેમાં રાહુલ ગાંધીને પણ ઘસડી રહ્યાં છે. મેવાણી પોતે લડાયક ધારાસભ્ય છે. આમ આદમી પક્ષની પત્રકાર પરિષદની બહાર ઊભા કરીને વાતો કરતા હતા. કોંગ્રેસની મદદથી અપક્ષ ધારાસભ્ય ચૂંટાઈને હવે કોંગ્રેસનો પાયો ખોદી રહ્યા છે.
ઉપકારનો આવો બદલો
કોંગ્રેસના તેના પર અગણિત ઉપકારો છે. જે તેઓ ભૂલી ગયા છે. જેમ હાર્દિક પટેલે કર્યું અને અલ્પેશ ખોડા ઠાકોરે કર્યું તેમ હવે જિજ્ઞેશ મેવાણી તે જ માર્ગે છે.
પુરાવા વગરની વાત
તેઓ ઝડપથી કોંગ્રેસ પર કબજો કરવા માંગે છે. તેના પરિણામે તે કોંગ્રેસના નેતાઓને પણ પછાડવા ગમે તે હદે જઈ રહ્યા છે. તેઓ કોંગ્રેસના પ્રમુખ બનવા માંગે છે. જે લડતમાં પોતાનું કદ નાનું કરી રહ્યાં છે. કોંગ્રેસના 22 નેતાઓ ફૂટેલા છે અને ભાજપ કહે તેમ જ કરે છે. તે વાત સાથે આખુ ગુજરાત સહમત છે. પણ મેવાણી કોઈ પુરાવા શોધી શક્યા નથી કે કોંગ્રેસના કયા નેતા ભાજપ સાથે મળેવા છે. માત્ર અફવાઓના આધારે તેઓ આરોપ મૂકી રહ્યા છે. જેમાં તેઓ પોતાનું કદ નાનું કરી રહ્યાં છે.
મેવાણીને ઓળખો
1982માં અમદાવાદમાં જન્મેલા પૂર્વ પત્રકાર, સામાજિક ચળવળકાર, આંદોલનકારી, દલિતો માટે લડતાં અને વકીલ તરીકે કામ કરનારા મેવાણી છે. 2016માં ગુજરાતમાં દલિત દેખાવોની આગેવાની કરી હતી.
તેમનું કુટુંબ મેઉ, મહેસાણા જિલ્લાના વતની છે. શાળા અભ્યાસ સ્વસ્તિક વિદ્યાલય અને વિશ્વ વિદ્યાલય માધ્યમિક શાળામાંથી કર્યો હતો. 2003માં એચ.કે. આર્ટ્સ કોલેજ અમદાવાદમાંથી સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 2004માં તેમણે પત્રકારિતા અને જનસંચારમાં ડિપ્લોમા કર્યું. 2004થી 2007 સુધી તેમણે ગુજરાતી સાપ્તાહિક “અભિયાન”માં પત્રકાર તરીકે કામ કર્યું. 2013 ડી.ટી કોલેજ અમદાવાદમાંથી કાયદા સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે મુંબઈમાં એનીમેશન ફિલ્મ બનાવા નોકરી કરી હતી.
જીજ્ઞેશ મેવાણીએ ગુજરાત વિધાનસભા 2017ની ચૂંટણી વડગામથી લડી અને અપક્ષ જીતી હતી. જીજ્ઞેશ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસે પોતાનો ઉમેદવાર હટાવી લીધો હતો. વડગામની બેઠક ઉપરથી અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પાર્ટીમાં જોડાયા , પરંતુ ટેકનિકલ કારણોસર તેમણે પોતાનું અપક્ષ ધારાસભ્ય પદ છોડ્યું ન હતું.
2015માં પાટીદાર અનામત આંદોલન થકી હાર્દિક પટેલ એક ગુજરાતમાં લોકપ્રિય નેતા બની ગયેલા. આ જ અરસામાં જિજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર વગેરે યુવાનોએ પણ રાજ્યના રાજકીય મંચ પર તેમની હાજરી નોંધાવી.
2017ની વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસનું આ ચૂંટણીમાં છેલ્લાં વર્ષોનાં ઉત્તમ પ્રદર્શનોમાંનું એક હતું. આ ચૂંટણીમાં ભાજપને 99 સીટ મળી હતી, જ્યારે કોંગ્રેસને 77 સીટ મળી હતી. ત્યારે ત્રિપુટી કોંગ્રેસ સાથે હતી. પછી વિખેરાવા લાગી અને ભાજપને દરેક ચૂંટણીમાં ફાયદો કરતા રહ્યાં છે.
ઉનાથી કારકિર્દી બનાવી
ગુજરાતના ઉનામાં દલિત અત્યાચારની ઘટના બાદ એલાન કર્યું હતું કે, “હવે દલિતો સમાજ માટે ‘ગંદું કામ’ નહીં કરે, એટલે કે મૃત પશુના ચામડાં ઉતારવાનું કામ અથવા માથે મેલું ઊંચકવાનું કામ વગેરે…
ત્રિપુટીનો માર્ગ એક
આ ત્રણેય યુવા નેતા કોંગ્રેસમાં જોડાઈ ગયેલા, પરંતુ હાર્દિક અને અલ્પેશ પછીથી ભાજપમાં જોડાઈ ગયા. હાર્દિક પટેલ પહેલી વાર ચૂંટણી લડી રહ્યા છે, જિજ્ઞેશ મેવાણી બીજી વાર (વર્તમાન ધારાસભ્ય વડગામ) અને અલ્પેશ ઠાકોર ત્રીજી વાર ચૂંટણી લડી હતી.
ઉપાધ્યક્ષ
7મી જુલાઈ 2022માં ગુજરાત કોંગ્રેસના નવા સાત કાર્યકારી પ્રમુખની જાહેરાત કરવામાં આવી. કોંગ્રેસના રાજકીય ઇતિહાસમાં પહેલી વખત એક સાથે સાત કાર્યકારી પ્રમુખ નિયુક્ત કર્યા હોય.
નવા સાત કાર્યકારી પ્રમુખમાંથી પાંચ ધારાસભ્ય હતા. જેમાં જિજ્ઞેશ મેવાણી (વડગામ), લલિત કગથરા (પડધરી – ટંકારા), અંબરીષ ડેર (રાજુલા), હિંમતસિંહ પટેલ (બાપુનગર, અમદાવાદ) અને ઋત્વિક મકવાણાનો સમાવેશ થાય હતા. આ સિવાયના નવા બે કાર્યકારી અધ્યક્ષ ઇન્દ્રવિજયસિંહ ગોહિલ અને કદીર પીરઝાદા હતા.
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થોડા જ મહિનાઓમાં યોજાવાની હતી અને થોડા વખત પહેલાં જ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પાર્ટી છોડીને ભાજપમાં ચાલ્યા ગયા હતા. જે વિરમગામથી ભાજપના ધારાસભ્ય બન્યા હતા. હાર્દિક પટેલે બળાપો કાઢ્યો હતો કે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હોવા છતાં તેમને કામ અને મહત્ત્વ મળતાં નહોતાં. તેમની હાલત ‘નસબંધી કરાવી ચૂક્યા વર જેવી’ હતી. કાર્યકારી અધ્યક્ષનું પદ એ ઘણું સિનિયર પદ છે. ‘પાટીદાર કાર્ડ’ રમવાના ઇરાદાથી જો તેઓ 27 વર્ષના યુવકને આ પદ સોંપે તો સિનિયર નેતાઓમાં નારાજગી તો રહેવાની જ ને! આવું જ અલ્પેશ અને હવે જિજ્ઞેશ કરી રહ્યાં છે.
આમ જનતાને સાથે ન લઈ શક્યા
જિજ્ઞેશે ઉપપ્રમુખ બન્યા બાદ જાહેર કર્યું હતું કે તેઓ શિક્ષણ, આરોગ્ય, રોજગારમાં એક નવા ગુજરાતની બ્લુ પ્રિન્ટ તૈયાર કરશે. ઉત્તર ગુજરાતમાં વધારે ધ્યાન આપશે. બેરોજગારી, દલિત, આદિવાસી અને લઘુમતી માટે કામ કરીશ. તેથી તેઓ આમ જનતાના નેતા બની શક્યા ન હતા.
અદાલત સજા
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા 6 મહિનાની કેદની સજા આપવામાં આવી . આ કેસમાં જિજ્ઞેશ મેવાણી સહિત 19 આરોપીઓને કેદની સજા કરવામાં આવી હતી. 2016માં ગુજરાત યુનિવર્સિટીના ‘કાયદા ભવન’નું નામ બાબાસાહેબ આંબેડકર ભવન કરવાની માગ સાથે રોડ બ્લોક કરવાનો આ કેસ હતો. આઈપીસીની કલમ 143 હેઠળ એક કેસ થયો હતો.
3 મહિનાની સજા
જિજ્ઞેશ મેવાણી અને રેશમા પટેલ સહિત દસને મહેસાણાની કોર્ટે ત્રણ માસની સજા ફટકારી હતી. વર્ષ 2017માં તેમને સરકારી મંજૂરી વગર મહેસાણાથી ધાનેરા સુધી આઝાદી કૂચ યોજવા બદલ કોર્ટે મે, 2022માં જાહેરનામાના ભંગ બદલ કસૂરવાર ઠેરવ્યાં હતાં.
મોદી ગોડસેના પુજારી
વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદી વિરુદ્ધ એક ટિપ્પણી કરી હતી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ‘ગોડસે’ની પૂજા કરે છે અને એમને ભગવાન માને છે જેવી વાતો લખી હતી. વડા પ્રધાનને ચૅલેન્જ કરું છું કે તેઓ લાલ કિલ્લા પરથી ‘ગોડસે મુર્દાબાદ’નો નારો લગાવે. જે મામલે આસામમાં ભાજપના નેતા અનૂપ કુમાર ડે દ્વારા કોકરાઝાર પોલીસમથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એક મહિલાને આગળ કરીને કેસ કરાવ્યો, એ 56 ઇંચની કાયરતા કહેવાય. કમ્પ્યુટર લેપટોપ અને ફોન જપ્ત કર્યા.
બે કેસોમાં આસામ પોલીસ દ્વારા ધરપકડ કરાઈ હતી. પાલનપુર સર્કિટ હાઉસ ખાતેથી આસામની કોકરાઝાર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
દેબિકા બ્રહ્માના આરોપ
કોકરાઝાર પોલીસ સ્ટેશન મહિલા સબ ઇન્સ્પેક્ટર દેબિકા બ્રહ્માએ આરોપી જિજ્ઞેશ મેવાણીને ધરપકડ પછી ગુવાહાટીના એલજીબી એરપોર્ટ પરથી કોકરાઝાર લાવવામાં આવી રહ્યા હતા. બરપેટા જિલ્લામાં બપોરે 1.30 વાગ્યાની આસપાસ સિમલાગુરી પોઇન્ટ પરથી પસાર થતાં ધરપકડ કરાયેલા આરોપી (જિજ્ઞેશ મેવાણી)એ મારી સામે અશિષ્ટતા ભરેલા શબ્દનો ઉપયોગ કર્યો. મેં તેમને સરખું વર્તન કરવાનું કહ્યું તો તેમણે વધુ અશિષ્ટતા કરી. તેમણે મારી સામે આંગળી ચીંધી અને મને ડરાવવાનો પ્રયત્ન કર્યો તથા મને જોરથી મારી સીટ પર ધક્કો માર્યો. આ રીતે તેમણે હું સરકારી કર્મચારી તરીકે મારી ફરજ બજાવતી હતી ત્યારે મારી પર હુમલો કર્યો અને ધક્કો મરતી વખતે મને અયોગ્ય રીતે અડીને મહિલાના શીલનો ભંગ કર્યો છે.
નકલી વિડિયો
જૂન 2019ના રોજ વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પર સોશિયલ મીડિયા પર કથિત રૂપે એક ફેક વીડિયો પોસ્ટ કરી એક ખાનગી સ્કૂલને બદનામ કરવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. માર મારી રહેલા વ્યક્તિ વલસાડમાં આરએમવીએમ સ્કૂલના એક શિક્ષક છે.
હાર્દિક પટેલેનો ટેકો
હાર્દિક પટેલે કહ્યું, ગઈ કાલે અર્ધી રાત્રે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીને આસામ પોલીસે ધરપકડ કરી. ફક્ત એક ટ્વિટને કારણે ધરપકડ અને તે પણ અર્ધી રાત્રે કંઈક તો ગરબડ છે મારી સરકારને ચેતવણી છે કે જિજ્ઞેશ મેવાણીને કંઈ પણ થયું તો જવાબદારી સરકારની રહેશે. હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી.
અમિત શાહના આરોપ
ચૂંટણીમાં ભાજપના નેતા અમિત શાહે પત્રકાર પરિષદ યોજીને મેવાણી સામે આરોપો જાહેર કર્યા હતા અને પાકિસ્તાનના તત્વોની અને ફંડની મદદ લેતા હોવાનો આરોપ મૂક્યો હતો. અમિત શાહે આજ સુધી આ આરોપો અંગે ક્ય.ારેય પોલીસ ફરિયાદ કરી નથી.
સસ્પેન્ડ
ગુજરાતની વિધાનસભામાં ભાજપના એક નેતા દ્વારા દલિત મહિલા પર દુષ્કર્મનો મામલો પણ ઉછળ્યો હતો.
મેવાણીને વિધાનસભામાંથી કોંગ્રેસના અન્ય ધારાસભ્યો સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
ડ્રગ્સ મામલે ગૌતમ અદાણીની પૂછપરછ કરવાની માંગણી તેમણે કરી હતી.
અભિમાન
જિજ્ઞેશ મેવાણીએ જાહેર કર્યું કે, ‘હું ભારતનો યુવા નેતા છું, રાષ્ટ્રીય દલિત યુવા નેતા છું. નીતિન પટેલ માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા. મારો મત માગ્યા પહેલા નીતિન પટેલે કહ્યું કે હું ગુજરાતનો દલિત નેતા છું પણ હું એમને કહું છું કે હું ગુજરાતનો નેતા છું અને દેશનો પણ યુવા નેતા છું. તમે માત્ર ઉત્તર ગુજરાતના પાટીદાર નેતા છો.’
નીતિન પટેલે કહ્યું કે, હું નેતા નથી, હું કાર્યકર છું. હવામાં ન ઉડો, ઘણા આવ્યા અને જતા રહ્યાં. ભાજપમાં તમારા કરતાં પણ ઘણા મોટા આદિવાસી, દલિત અને OBC નેતા છે. અમે તમને સન્માન આપીએ છીએ, પરંતુ ભૂલથી પણ એવું ન માની લો કે તમે ખૂબ મોટા દલિત નેતા છો. હું મારી જાતને નેતા નથી માનતો. તમે કહ્યું કે હું ઉત્તર ગુજરાતનો પાટીદાર નેતા છું. પણ હું મારી જાતને કાર્યકર માનું છું. તમારી જેમ નેતા નહીં.
હવે શું?
નીતિન પટેલ જે કહી રહ્યા હતા તે આખું ગુજરાત સાંભળું રહ્યું હતું. તેમણે જે કહ્યું હતું તે હવે 2025માં તે જ માર્ગે મેવાણી છે. ગુજરાત એક સારા નેતા ગુમાવે તે કોઈ રીતે પરવડે તેમ નથી. જિજ્ઞેશ પાસે હજુ સમય છે. કોંગ્રેસના ફુટેલા નેતાઓના પુરાવા એકઠા કરે, રાહુલ અને ખડગેને આપે તે એક જ માર્ગ તેમની પાસે બચ્યો છે.
આખી કોંગ્રેસ અને ગુજરાતની જનતા પણ હવે આ 22 નેતાઓથી મૂક્તિ ઈચ્છી રહી છે. પણ તેઓ શું ખોટું કરી રહ્યાં છે તેના પુરાવા એકી સાથે જાહેર કરી શક્યા નથી. આ કામ પૂર્વ પત્રકાર જિજ્ઞેશ મેવાણી કરે. જો તેમ નહીં કરે તો ગુજરાતના લોકો માનશે કે તેઓ પણ હાર્દિક અને અલ્પેશના માર્ગે છે. ફરી એક વખત 2027માં ભાજપ સત્તા પર આવે તે માટે જિજ્ઞેશ કામ કરી રહ્યાં છે.