ભાજપના પ્રધાન વાસણ આહીર સાધુની ‘પીરિયડ્સ’ સભામાં હાજર ? શું થયું, જૂઓ વિડિયો

Did BJP minister Vasan Aheer know about the strict rules of 'Periods' present in the Sadhu's meeting?

 

જયેશ શાહ .કચ્છ

કચ્છનાં ભુજમાં આવેલી મહિલા કોલેજમાં માસિક ધર્મને લઈને મામલો માંડ શાંત પડ્યો હતો ત્યાં ભુજ સ્વામીનારાયણ મંદિરના એક સ્વામીનો વધુ એક વિડિઓ બહાર આવ્યો છે. જેમાં આ સ્વામીએ ભુજ મંદિર સંચાલિત સંસ્થાઓમાં મહિલાઓના માસિક ધર્મને લઈને કેવી કડકાઈ કરવામાં આવે છે તેની જાહેરમાં ચર્ચા કરતા જોવા મળે છે. તેમની આ ચર્ચા વખતે ગુજરાત સરકારનાં મંત્રી વાસણ આહીર તથા જે કોલેજનો વિવાદ થયો હતો તેના ટ્રસ્ટી પ્રવિણ પીન્ડોરિયા પણ આ વખતે હાજર હતા તેવું વિડિઓ જોતા ખબર પડે છે.

વર્ષ 2016ની વખતનાં આ વીડિયોમાં સ્વામી પાટીદાર અગ્રણી પ્રવિણ પીન્ડોરિયાનો ઉલ્લેખ કરીને ગૃહમાતા દ્વારા પીરિયડ્સ દરમિયાન દિકરીઓને કેવી રીતે સમજાવીને ધર્મ પાળવાની સિસ્ટમ ઉપર કામ કરે છે તેની વાત કરે છે. આ વેળાએ સ્વામી મંત્રી વાસણ આહીરને ઉદ્દેશીને કહે છે કે ‘સંતો ભલે વેલ એજ્યુકેટેડ ન હોય, પરંતુ તેમની પાસે ભગવાનનો પાવર હોય છે’. આ એ જ સાધુ છે જેનો એક વીડિયો એવો પણ બહાર આવ્યો હતો જેમા તેઓ માસિક ધર્મ ન પાળનાર સ્ત્રી કુતરી અને તેની બનાવેલી રસોઈ આરોગનાર પુરુષ બળદ થાય તેવી વાત કરી હતી.

વર્ષ 2016નાં ભુજ મંદિરનાં આ વિડીયોમાં કૃષ્ણા સ્વરૂપદાસ નામનાં સ્વામી મંદિર સંચાલિત સંસ્થાઓમાં દિકરીઓને શિક્ષણ ઉપરાંત સામાજિક રીતિ-રિવાજ પ્રમાણે ઘડતર કરવામાં આવે છે તેની વાત કરતા જોવા મળે છે. માસિક ધર્મને લઈને ઢીલું પોચુ રાખવામાં આવતું નથી એમ કહીને પ્રવિણ પીન્ડોરિયાને પૂછે છે. આટલી વાત કર્યા પછી તેઓ વાસનભાઈનો ઉલ્લેખ કરીને કહે છે કે, ‘સંતો ભલે વધારે ભણેલા-ગણેલા ન હોય પરંતુ તેઓ ભગવાનનાં માણસો હોય છે’.

સ્વામીની વાતચીતના આ વીડિયો દરમિયાન ગુજરાત સરકારનાં મંત્રી અને અંજાર ક્ષેત્રમાં ધારાસભ્ય વાસણ આહીર તે વેળાએ હાજર હોય તેવું સ્પષ્ટ થાય છે. જેનો અર્થ એ પણ થાય છે કે, મંદિરની સંસ્થામાં માસિક ધર્મને લઈને કેવી રીતે કામ કરવામાં આવવા છે તેની વાત મંત્રી આહીરને ચાર વર્ષ પહેલા જ ખબર હતી. વીડિયો ભલે ઘણો જૂનો છે પરંતુ સ્વામીની આ ક્લિપને કારણે માંડ ભુલાઈ ગયેલો પીરિયડ્સનો એ વિવાદ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.

*મંદિરને બદનામ કરવામાં કોને રસ છે ?*

માસિક ધર્મના વિવાદને કારણે દેશભરના મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બનેલા આ કિસ્સામાં હવે જયારે બધુ શાંત પડી ગયુ છે ત્યારે બહાર આવેલા સ્વામીનાં આ વીડિયો પાછળ કોનુ ભેજુ કામ કરે છે એ પણ નવેસરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે. મંદિર તથા હરિભક્તો સાથે સંકળાયેલા સૂત્રો આ વિવાદ પાછળ વસંત પટેલ નામનાં એક શિક્ષકનો હાથ હોવાનું માની રહ્યા છે. જિલ્લા કક્ષાનાં એક અખબાર સાથે સંકળાયેલા અખબારના પ્રતિનિધિ હોવાને કારણે વસંતનો મંદિર ઉપર સારું એવુ વર્ચસ્વ હતું. પરંતુ કચ્છનાં લેઉવા પટેલ સમાજની સંસ્થાઓમાંથી વસંતની બાદબાકી થઈ જતા તેને અખબારના જોરે પોતાનું અસ્તિત્વ બતાવવા માટે સમાજની સંસ્થાઓ બદનામ થાય તે માટે ઇરાદાપૂર્વક માસિક ધર્મનાં વિવાદને હવા આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.