ગાંધીનગર, 29 જૂન 2021
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીનું નામ લીધા વગર પાટણમાં કહ્યું કે, ભાજપના એકપણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી. નરેન્દ્ર મોદીના નામ પર ચૂંટણી જીતી રહ્યાં છો. ગુજરાત ભાજપમાં એકમાત્ર નરેન્દ્ર મોદી એવા લીડર છે કે તેઓ આજે પણ લોકપ્રિય છે. તેમના જેવી લોકપ્રિયતા બીજા કોઇ રાજનેતામાં નથી. મોદી સિવાય બીજા કોઇ લોકપ્રિય નેતા નથી.
આપણા નેતાઓ ચૂંટાયા પછી પણ ભૂલો કરે છે અને કાર્યકરો નેતાઓની ભૂલોને ભૂલીને કામ કરે છે. હું જાણું છું કે ગુજરાત ભાજપના કોઇ નેતામાં એટલો દમ નથી કે તે પોતાની તાકાત ઉપર ચૂંટણી જીતી લાવે. જો ભાજપના નેતાઓ મતદારોનો ખરેખર વિશ્વાસ જીતે તો તે સાચો કાર્યકર અને નેતા છે.
ઉત્તર ગુજરાત નિતિન પટેલનો વિસ્તાર છે. ભાજપના કોઈ પણ નેતામાં ચૂંટણી જીતવાની તાકાત નથી એવું કહીને પાટીલે સીધો પ્રહાર વિજય રૂપાણી પર કરી દીધો છે.
પણ તેમને એ ખબર નથી કે ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણીમાં સી પ્લેન ઉડાવવા સિવાય નરેન્દ્ર મદીનો કોઈ હિસ્સો ન હોવા છતાં કોંગ્રેસની તમામ બેઠકો ભાજપના ઉપમેદવારો જીતી ગયા હતા. વળી સ્થાનિક સ્વરાજ્યની 8 મહિનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટમી પણ નરેન્દ્ર મોદી વગર જીતી હતી.
રાજ્યમાં 2022માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે સીઆર પાટીલ સ્થાનિક ચૂંટણીની જેમ આ ચૂંટણીમાં પણ પેજ સમિતિ અને પેજ પ્રમુખ બનાવવાનો આગ્રહ રાખી રહ્યાં છે. તેઓ રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેજ કમિટી બનાવવા માટે નેતાઓ અને કાર્યકરોને પ્રશ્નો પૂછી રહ્યાં છે.
પ્રદેશના નેતાઓના ભવાં ચઢી ગયા છે. પ્રદેશના નેતાઓને આ નિવેદન અપમાન સમાન લાગ્યું છે. તેમના આ નિવેદન પછી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના સંગઠન માળખામાં કાનાફૂસી શરૂ થઇ છે. જે લોકો તેમની પોતાની મહેનત પર ચૂંટણી જીત્યા છે તેમને સીઆર પાટીલના નિવેદનથી આઘાત લાગ્યો છે અને કહી રહ્યાં છે કે ચૂંટણીમાં મોદીના નામનો ઉપયોગ ભલે કરવામાં આવતો હોય પરંતુ અમે અમારા વિસ્તારમાં અસ્તિત્વ ધરાવીએ છીએ. અમે વિસ્તારમાં લોકપ્રિય છીએ એટલે મતદારો અમને મત આપે છે. પાર્ટીને મત આપે છે.