દિલ્હી 23 મે 2020
2010માં અપનાવવામાં આવેલા 20 વૈશ્વિક આઇચી (જ્ઞાનપ્રિય) લક્ષ્ય સાથેના જૈવવિવિધતાના વ્યૂહાત્મક પ્લાનનો સમય 2020માં પૂરો થાય છે. અને તમામ દેશો સાથે મળીને 2020 પછી વૈશ્વિક જૈવવિવિધતાનું માળખું તૈયાર કરવામાં કામ કરી રહ્યા છે. ભારત ખૂબ જ વિશાળ જૈવવિવિધતા ધરાવતો દેશ છે જે એવા દેશોને આવકારે છે જેઓ તેમની જૈવવિવિધતાની પરિસ્થિતિમાં સુધારો લાવવામાં રસ ધરાવે છે અને અમે અમારા અનુભવો તેમજ શ્રેષ્ઠ આચરણોનું તેમની સાથે આદાનપ્રદાન કરવા માટે તૈયાર છીએ.
“આપણા ઉકેલો પ્રકૃતિમાં છે” અને તેથી, આપણી પ્રકૃતિનું રક્ષણ કરવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ખાસ કરીને કોવિડ-19ના કારણે ઉભી થયેલી વર્તમાન સ્થિતિમાં વધુ જરૂરી છે કારણ કે તે આપણને વિવિધ ચેપી બીમારીઓ સહિત રોગચાળાની આપત્તિઓ સામે રક્ષણ આપે છે.
આ પ્રસંગે, કેન્દ્રીય મંત્રીએ રાષ્ટ્રીય જૈવવિવિધતા સત્તામંડળ (NBA) અને સંયુક્ત રાષ્ટ્રસંઘ વિકાસ કાર્યક્રમ (UNDP) ‘જૈવવિવિધતા’ સંરક્ષણ ઇન્ટર્નશીપ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો જેમા અનુસ્નાતક પદવી સાથેના 20 વિદ્યાર્થીઓને એક વર્ષ સુધી મુક્ત, પારદર્શક, ઑનલાઇન સ્પર્ધાત્મક પ્રક્રિયા દ્વારા જોડવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો હેતુ એવા ગતિશીલ અને સર્જનાત્મક વિદ્યાર્થીઓને જોડવાનો છે જેઓ કુદરતી સંસાધનોના વ્યવસ્થાપન અને જૈવવિવિધતાના સંરક્ષણ અંગે વધુ જાણવા માંગે છે. આ ઉપરાંત તેનો હેતુ, વિવિધ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં NBA પ્રોજેક્ટ્સને સહકાર આપવાનો અને રાજ્ય જૈવવિવિધતા બોર્ડ/ કેન્દ્ર શાસિત પ્રદેશ જૈવવિવિધતા પરિષદને તેમના આદેશોનું અનુપાલન કરવામાં મદદ કરવાનો છે.
WWF મોડલ કોન્ફરન્સ ઓફ પ્રેક્ટિસ (MCoP)ની સાથે ‘જૈવવિવિધતા સંરક્ષણ અને જીવવિજ્ઞાન વિવિધતા અધિનિયમ, 2002’ પર એક વેબિનાર શ્રેણીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. MCoP એક એવી પહેલ છે જેમાં નાની પેઢીને સામેલ કરવામાં આવે છે જેથી તેઓ એક નવી શરૂઆતમાં જોડાઇ શકે અને જૈવવિવિધતા પર માનવજાતના પગલાંની એકંદરે અસરો અંગેના વાર્તાલાપમાં સામેલ થઇ શકે અને તેમને ટકી રહેવા માટે જૈવવિવિધતા ટકી રહેવી કેટલી મહત્વની છે તે પણ સમજી શકે. પ્રકૃતિ માનવજાત માટે પોતાની વિનામૂલ્યે ઇકોલોજિક સેવાઓ દ્વારા કેવી રીતે મહત્વની ભૂમિકા નિભાવે છે જેના પર પ્રકાશ પાડતું એક જાગૃતિ અભિયાન પણ WWFના સહકારથી આ સમયગાળા દરમિયાન શરૂ કરવામાં આવ્યુ હતું.