૯ મે – રવીન્દ્રનાથ ટાગોર જન્મ જયંતિ Gurudev Rabindranath Tagore and the intimacy of Gujarat
રવીન્દ્રનાથ ટાગોરે અમદાવાદમાં રહીને જ પોતાની બે લોકપ્રિય બંગાળી કવિતાઓ
‘બંદી ઓ અમાર’ અને ‘નીરોબ રજની દેખો’ કૃતિઓ રચી હતી
ગુજરાતના પ્રવાસ દરમિયાન રવીન્દ્રનાથ ટાગોરે પોતાની પ્રસિધ્ધ રચના ‘ક્ષુદિત
પાશાન’નો એક હિસ્સો લખ્યો
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા ‘શાહી મહેલ’ જેને વર્તમાનમાં સરદાર
વલ્લભભાઇ પટેલ નેશનલ મેમોરિયલ તરીકે ઓળખવામાં છે, ત્યાં પોતાના ભાઇ
સત્યેન્દ્રનાથ ટાગોર સાથે ઘણો સમય રોકાયા હતા
૭ મે ૧૮૬૧માં કોલકાતાના એક બંગાળી પરિવારમાં એક બાળકનો જન્મ થયો, જેને
નામ મળ્યું રવીન્દ્ર. આગળ જઈને જેણે દુનિયાના ખ્યાતનામ સાહિત્યકાર, કવિ અને મહાન
વ્યક્તિત્વ તરીકે નામના મેળવી. આપણે વાત કરી રહ્યાં છીએ મહાન વિભૂતિ રવીન્દ્રનાથ
ટાગોરની. ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ ૭ મે ૧૮૬૧ના રોજ થયો
હતો. જોકે, રવીન્દ્રનાથ ટાગોર જયંતિ બંગાળી કેલેન્ડર મુજબ ઉજવવામાં આવે છે અને તે
બંગાળી મહિનાના વૈશાખ મહિનાના ૨૫મા દિવસે આવે છે. વર્ષ ૨૦૨૫માં રવીન્દ્રનાથ ટાગોર
જયંતિ શુક્રવાર ૯ મેના રોજ ઉજવાઇ રહી છે. રવીન્દ્રનાથ ટાગોર જયંતી એ રવીન્દ્રનાથ
ટાગોરના મહાન સાહિત્યકાર્યને ઉજવવા માટે કરવામાં આવે છે.
રવીન્દ્રનાથ ટાગોરને 'ગુરુદેવ' તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાત્મા ગાંધીએ તેમને
'ગુરુદેવ'નું બિરુદ આપ્યું હતું. એટલું જ નહીં, ગાંધીજીને સૌ પ્રથમ રવિન્દ્રનાથ ટાગોરે જ
મહાત્મા તરીકે બોલાવ્યા હતા, જે પછી ગાંધીજીના નામની આગળ મહાત્મા ઉમેરવામાં આવ્યું.
ગુરૂદેવ રવીન્દ્રનાથ ટાગોર અને ગુજરાતની આત્મીયતાની વાત કરીએ તો, રવીન્દ્રનાથ
ટાગોર ગુજરાતના અમદાવાદ ખાતે ઘણો સમય રોકાયા હતા. રવીન્દ્રનાથ ટાગોર
અમદાવાદના શાહીબાગ ખાતે આવેલા ‘શાહી મહેલ’ જેને વર્તમાનમાં સરદાર વલ્લભભાઇ
પટેલ નેશનલ મેમોરિયલ તરીકે ઓળખવામાં આવે છે ત્યાં રહીને ઘણી રચનાઓ લખી હતી.
ગુરૂદેવના મોટાભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર જ્યારે આઈસીએસમાં હતા ત્યારે તેમની
નિમણુંક ગુજરાતના અમદાવાદમાં થઈ હતી. રવિન્દ્રનાથ ટાગોર પણ ઘણી વખત ગુજરાત
આવતા હતા અને તેમણે ત્યાં ઘણો લાંબો સમય પણ વિતાવ્યો હતો. અમદાવાદમાં રહીને જ
તેમણે પોતાની બે લોકપ્રિય બંગાળી કવિતાઓ ‘બંદી ઓ અમાર’ અને ‘નીરોબ રજની દેખો’ આ
બંને કૃતિઓ રચી હતી. પોતાની પ્રસિધ્ધ રચના ‘ક્ષુદિત પાશાન’ નો એક હિસ્સો પણ તેમણે
ગુજરાતના પ્રવાસ દરમિયાન જ લખ્યો હતો અને એટલું જ નહીં, ગુજરાતની જ એક દિકરી
શ્રીમતી હઠીસીંગ ગુરૂદેવના ઘરે વહુ બનીને આવી હતી.
સત્યેન્દ્રનાથ ટાગોરજીની પત્ની જ્ઞાનંદિની દેવીજી જ્યારે અમદાવાદમાં રહેતા હતા ત્યારે
તેમણે જોયું કે, સ્થાનિક મહિલાઓ પોતાની સાડીનો પાલવ જમણા ખભે રાખે છે. જો પાલવ
જમણા ખભા પર રાખવામાં આવે તો મહિલાઓને કામ કરવામાં પણ તકલીફ પડતી હતી. આ
જોઈને જ્ઞાનંદિની દેવીએ એવો વિચાર કર્યો કે સાડીના પાલવને શા માટે ડાબી તરફ બાંધીને
રાખવામાં ના આવે. ત્યારથી કહેવામાં આવે છે કે, સાડીનો પાલવ ડાબા ખભા પર રાખવાની
બાબત તેમની જ દેણ છે.
ભારતનું રાષ્ટ્રગીત 'જન-ગણ-મન' એ રવીન્દ્રનાથ ટાગોરની ભેટ છે. તેમને સૌથી
પ્રભાવશાળી અને વિવેચનાત્મક રીતે વખાણાયેલા લેખકો, કવિઓ અને નવલકથાકારોમાંના
એક તરીકે ગણવામાં આવે છે. તેમની કેટલીક સૌથી નોંધપાત્ર કૃતિઓમાં ગીતાંજલિ, પોસ્ટ
માસ્ટર, કાબુલીવાલ્લાહ અને નસ્તાનિર્હનો સમાવેશ થાય છે. તેમના નોંધપાત્ર કાર્યોમાં ટૂંકી
વાર્તાઓ, નિબંધો અને ગીતોનો સમાવેશ પણ થાય છે, જેણે અન્ય ઘણી પ્રખ્યાત કૃતિઓને
પ્રેરણા આપી છે. આ ટૂંકી વાર્તાઓ અને ગીતોના સમૂહને ‘રવીન્દ્ર સંગીત’ તરીકે ઓળખવામાં
આવે છે. જે સંગીતની દુનિયામાં એક મશહૂર સાહિત્ય ગણવામાં આવે છે. રવીન્દ્રનાથ ટાગોરે
લખેલી ગીતાંજલિ કવિતા માટે વર્ષ ૧૯૧૩માં તેમને નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે તે
ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો.
રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલા લખાણો આજે પણ આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને
તેમનું નામ વિશ્વના મહાન કવિઓ અને લેખકોમાં ગણાય છે. ૮૦ વર્ષની જૈફ વયે ૭ ઓગસ્ટ
૧૯૪૧ના રોજ કોલકાતામાં તેમનું અવસાન થયું.
રવીન્દ્રનાથ ટાગોર માત્ર એક લેખક કે કવિ જ નહીં પણ પ્રખર સમાજ સુધારક પણ રહ્યાં
છે. તેમણે સમાજજીવનના અનેક મહાન કાર્યો કર્યાં હતાં. રવિન્દ્રનાથ ટાગોર એક વ્યક્તિ નહીં,
પરંતુ એક સંસ્થા હતા. તેમનું જીવન અને કાર્ય માનવતા, સર્જનાત્મકતા અને સ્વાતંત્ર્યનું પ્રતીક
છે. તેમની રચનાઓ અને વિચારો આજના યુવાનોને પ્રેરણા આપે છે કે જીવનને માત્ર જીવવું
નહીં, પરંતુ તેને સુંદર અને અર્થપૂર્ણ બનાવવું.
રવિન્દ્રનાથ ટાગોરની જન્મ જયંતિ પર, ચાલો આપણે તેમના આદર્શોને અપનાવીએ
અને એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરીએ.