ખેડામાં મનરેગામાં ૧૫૩ પંચાયતોમાં ૩૭૫ સ્થળે ૩૮૦૯ શ્રમિકોને રોજગારી

નડિયાદ, 16 મે 2020

ખેડા જિલ્‍લામાં ગ્રામીણ વિસ્‍તારમાં પણ વિકાસલક્ષી યોજનાઓ થકી ગ્રામ્ય અર્થતંત્રમાં ગતિનો સંચાર થાય તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના હેઠળ શ્રમિકોને રોજગારી પુરી પાડવાની સૂચના મળતા ખેડા જિલ્‍લામાં કલેકટરશ્રી આઇ.કે.પટેલ અને શ્રી ડી.એસ.ગઢવી, જિલ્‍લા વિકાસ અધિકારી સહ ચેરમેનશ્રી, જિલ્‍લા ગ્રામ વિકાસ એજન્‍સીના માર્ગદર્શન હેઠળ કામોનું ત્‍વરીત આયોજન કરી, મંજૂરીઓ આપી મનરેગા યોજના અંતર્ગત ૧૫૩ ગ્રામ પંચાયતોમાં ૩૭૫ કામો શરૂ કરી ૩૮૦૯ શ્રમિકોને રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

ગાડવા ગામે સ્‍થાનિક તળાવ ઉંડુ કરવાની કામગીરી મનરેગા કાર્યક્રમ અન્‍વયે ચાલી રહી છે. અહિંયા દરેક શ્રમિકોને બપોરના તાપમાં રાહત રહે તે માટે ઠંડા પીવાના પાણી, લીંબુ શરબત તેમજ છાસની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવે છે શ્રમિકો જયાં કામ કરી રહયાં છે ત્યાં કોરોના વાયરસની ગાઇડ લાઇન મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ શ્રમિકોના બેંક એકાઉન્‍ટમાં બારોબાર તેમને મળવાપાત્ર નાણાં જમા કરવામાં આવે છે.

કોરોના મહામારીના લીધે શ્રમિકોને ઘર આંગણે રોજગારી મળી રહે તે માટે સરકાર દ્વારા મનરેગા યોજના અંતર્ગત જિલ્‍લામાં વરસાદી પાણીના સંગ્રહ કરવા માટે નવા તળાવો બનાવવા, હયાત તળાવો ઉંડા કરવા, ચેકડેમ ડિસીલ્‍ટીંગ, પ્રધાન મંત્રી આવાસ યોજના, નહેરની સાફ સફાઇ કરવી જેવા કામો કોવિડ-૧૯ની માર્ગદર્શીકાને અનુસરી શ્રમિકોને આરોગ્‍ય ચકાસણી હાથ ધરી, ફેસ માસ્‍ક પહેરી, સોશ્યલ અંતર જાળવી કામો શરૂ કરવામાં આવ્યા છે. આમ, લોક ડાઉનની પરિસ્‍થિતિમાં ગામડાના શ્રમિકોને ઘર આંગણે રોજગારી આપતા આર્શીવાદરૂપ બની રહી છે. રાજય સરકારના સકારાત્‍મક પગલાંઓ અન્વયે ખેડા જિલ્‍લાનું ગ્રામ્ય જીવન ગતિશીલ બની રહયું છે.