ગુજરાતમાં ગરીબી વધીને 17 ટકા થઈ

Poverty in Gujarat increased to 17 percent गुजरात में गरीबी बढ़कर 17 फीसदी हो गई

ભાજપ સરકાર 30 વર્ષમાં ગરીબી દૂર ન કરી શકી, પણ વધારી છે

અમદાવાદ, 20 ઓગસ્ટ 2024
ગુજરાતમાં ગરીબોની સંખ્યા વધીને 1.02 કરોડ સુધી પહોંચી ચૂકી છે. સુખી-સમૃદ્ધ ગુજરાતમાં આજે એવી પરિસ્થિતિ પરિણમી છે કે, ગામડાનો માણસ રોજ 26 રૂપિયા પણ વાપરી શકતા નથી.  જ્યારે શહેરી વિસ્તારનો વ્યક્તિ રોજના 32 રૂપિયા ખર્ચવા પણ અસમર્થ છે. તેથી તેના બાળકોને ખાનગી શાળામાંથી ખસેડીને સરકારી શાળામાં ભણાવવા મોકલી રહ્યા છે.

સંસદમાં રજૂ કરાયેલા એક રિપોર્ટ અનુસાર, વિકસિત ગુજરાતમાં આજે 16.62 ટકા લોકો ગરીબી અવસ્થામાં જીવી રહ્યાં છે. શહેર કરતાં ગામડામાં લોકો દારુણ પરિસ્થિતિમાં જીવન ગાળી રહ્યા છે. ગામડામાં 21.54 ટકા એટલે કે, 75.35 લાખ ગરીબો છે. જ્યારે શહેરમાં ગરીબ લોકોનું પ્રમાણ 10.14 ટકા રહ્યું છે.

27 લાખ ગરીબો શહેરમાં
શહેરમાં ગરીબોની સંખ્યા વધીને 26.88 લાખ સુધી પહોંચી છે. કુલ મળીને સુખી સંપન્ન ગણાતા ગુજરાતમાં 1.02 કરોડો લોકો ગરીબ છે. ગરીબી નાબૂદી માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દર વર્ષે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચી રહી છે. એટલુ જ નહીં, બજેટમાં કરોડો રૂપિયા નાણાંકીય જોગવાઈ કરે છે છતાં ગુજરાતમાં ગરીબીનુ ચિત્ર સુધર્યું નથી.

છેલ્લાં બે વર્ષમાં 1359 ગરીબ પરિવારો વધ્યાં
અનેકવિધ સરકારી યોજનાઓ અમલમાં છે તેમ છતાં ગુજરાતમાં ગરીબ પરિવારોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ખુદ રાજ્ય સરકારે કબૂલ્યું છે કે, છેલ્લા બે વર્ષમાં ગુજરાતમાં 1359 ગરીબ પરિવારો વધ્યાં છે. સાબરકાંઠા, પંચમહાલ, બનાસકાંઠા, આણંદ, જૂનાગઢ અને દાહોદમાં ગરીબ પરિવારોની સંખ્યા વધુ છે. સરકારે ભલે તે દાવા કરે પણ હકીકત એ છે કે, ગુજરાતમાં ગરીબી અડીંગો જમાવ્યા છે. વર્ષ 2023માં ગરીબીનું ચિત્ર સુધર્યું નથી.

ભાજપ સરકાર નિષ્ફળ
ગરીબી આજે સરકાર માટે પણ પડકારરૂપ બની રહી છે કારણ કે, ગરીબ પરિવારોને પુરતો આહાર, રહેઠાણ અને વસ્ત્રો પણ પ્રાપ્ય નથી. ગરીબી હટાવોના સૂત્રો પોકારી સત્તા પક્ષ અને વિપક્ષ સામસામે આક્ષેપબાજી કરી રહ્યાં છે. પરંતુ છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરતી ભાજપ સરકાર પણ ગરીબી દૂર કરવામાં નિષ્ફળ રહી છે.

ગરીબી હટાવોના નારાં ભાષણ પૂરતો સીમિત રહ્યા છે. વાસ્તવમાં ગરીબી નાબુદી કાર્યક્રમ અમલમાં હોવા છતાં વાઈબ્રન્ટ ગુજરાતમાં ગરીબી દૂર થઇ શકી નથી. એક તરફ વાઈબ્રન્ટ ગુજરાતનો ધૂમ પ્રચાર કરીને વાહવાહી મેળવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ કડવી વાસ્તવિકતા છે.

શહેરોની સરખામણીમાં, ગામડાઓમાં ગરીબ પરિવારો વધી રહ્યા છે. સવાલ છે કે, લાખો કરોડોના આંધણ પછીય ગુજરાતમાં ગરીબી કેમ દૂર થઈ શકી નથી. ગરીબો સુધી સરકારના લાભ કેમ પહોંચી રહ્યા નથી. જો ખરેખર સરકાર ગરીબી નાબૂદી કાર્યક્રમને અસરકારક અમલ કરી રહી છે તો ગરીબીમાં સુધારો કેમ આવતો નથી. ગરીબી નિવારણ કાર્યક્રમ માત્ર કાગળ પર અમલમાં હોય તેમ પ્રસ્થાપિત થઈ રહ્યું છે. ટૂંકમાં વિકસિત ગુજરાત, વાઈબ્રન્ટ ગુજરાત, વિકાસશીલ ગુજરાતની ડીંગો હાંકવામાં આવી રહી છે. પરંતુ વાસ્તવિકતા એછે કે, ગુજરાતમાં ચોથા ભાગની વસ્તી ગરીબ છે.