Scam of 535 bighas of land worth Rs 90 thousand crore in Gandhinagar, गांधीनगर में 90 हजार करोड़ रुपये की 535 बीघे जमीन का घोटाला
દિલીપ પટેલ
અમદાવાદ, 18 ઓગષ્ટ 2023
ગાંધીનગર અને અમદાવાદ શહેરની હદ પર આવેલા કોટેશ્વર ગામની જમીન પર અંદાજે 535 વીઘા જમીન પર 9 હજાર કરોડનું કૌભાંડ થયું હોવાનો ખટલો હતો.
પ્રથમ તબક્કાના કૌભાંડમાં જમીન ત્રણ સર્વે નંબરની 221 વીઘા અને બીજા તબક્કામાં નવો સર્વે નંબર 247 ઊભો 314 વીઘા જમીન મળીને 535 વીઘા જમીન કોટેશ્વર મંદિર ટ્રસ્ટને આપી દેવામાં આવી હતી. સરકારી જમીન ખાનગી કરી દેવામાં આવી હતી. તે જમીન બિનખેતી કરી દેવમાં આવી હતી. પછી જમીન ગુજરાતના મોટા ઉદ્યોગ હાઉસને વેંચી દેવામાં આવી છે. તે અંગેનો વાંધો ગાંધીનગર કલેક્ટર સમક્ષ પડેલો છે. સરકારી જમીન તો વેંચી મારી પણ સાબરમતી નદી પણ આ ઉદ્યોગપતિને વેંચી મારી છે. હવે એ જ જમીન સરકાર પોતે ખરીદ કરી રહી છે, અમદાવાદ અને ગાંધીનગરનો રિવરફ્રંટ બનાવવા માટે.
રિલાયંસના નીતા અંબાણી
આ મંદિર એટલું પવિત્ર છે કે અહીં રિલાયંસના માલિક મુકેશ ધીરૂભાઈ અંબાણીના પત્ની નીતા અંબાણી દર્શન કરવા માટે ખાસ ગયા હતા. તેઓ નજીકમાં જ આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ મેચ જોવા આવ્યા હતા. નીતા અંબાણી મંદિરમાં આવ્યા બાદ કૌટેશ્વર મંદિરની આસપાસની જમીનના ભાવ 4 ગણા થઈ ગયા છે. તેથી ગામના લોકો ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે અહીં નીતા અંબાણી વારંવાર આવે અને ક્રિકેટ સ્ટેડિયમ નજીક હોવાથી ઓલંપિક નગર બનાવવા અહીં જમીન ખરીદો. જેથી ગામ લોકોની જમીનોના ભાવ પણ વધે.
ગુજરાતનું સૌથી મોટું જમીન કૌભાંડ
ગુજરાતનું અત્યાર સુધીનું આ સૌથી મોટું જમીન કૌભાંડ માનવામાં આવી રહ્યું છે. મોટા ઉદ્યોગપતિની કંપની તેમાં સંડોવાયેલી હોવાથી તેની સામે કોઈ બોલવા તૈયાર નથી. છાપા અને ટીવીના માલિકો પણ મૌન છે. રાજનેતાઓ મૌન છે. સમાજિક સ્થાઓ મૌન છે. કોટેશ્વર ગામના લોકો લડતાં હતા. હવે તેમાંના ઘણાં લોકો મૌન થઈ ગયા છે. મંદિરના ટ્રસ્ટીઓ તો પહેલાંથી જ મૌન છે.
જમીન ખોટી રીતે આપી દેવાઈ હોવાના દાવા સાથે કલેક્ટર કચેરીમાં અરજી થઈ હતી. કોટેશ્વર ગામના કેટલાક રહીશોએ કલેક્ટરને પુરાવા રજૂ કરીને ખોટી રીતે આપી દેવાયેલી જમીન પરત લેવા માંગ કરી હતી.
કોટેશ્વર ગામની જુના સરવે નંબર 13, 151,152 જમીનો સાથે જ બિનઆકારી અને બિન માપણીવાળી જમીન અને સાબરમતી નદીતટની અને કોતરની 300 વીઘા જમીન છે. આ તમામ જમીનો હડક કરી જવા પ્રયત્નો થયા હતા.
મામલતદાર
ગાંધીનગર મામલતદાર સરકારી જમીનો હોવાનું જાણતાં હોવા છતાં તેને ખાનગી માલિકીની બનાવી દેવા મોટું કૌભાંડ કરેલું હતું. મામલતદારે સત્તાની ઉપરવટ જઈ સરકારી રેકર્ડ પર સુધારો કર્યો હતો. જેમાં નોંધ નંબર-1511 અને 1513 પાડવામાં આવેલા હતા.
વડી અદાલત
વડી અદાલત દ્વારા 31 ઓગસ્ટ 2018ના રોજ ભૂતપૂર્વ ઈનામદારની અરજી મંજૂર કરી હતી, જેમાં જૂના સરવે નંબર-13, 151, 152 નંબરની જમીન ઈનામદારની હોવાનું ઠરાવ્યું હતું. હુકમ કર્યો તે ત્રણેય સરવે નંબરની જમીનનું ક્ષેત્રફળ અંદાજે 53 હેક્ટર છે. તેનાથી બમણી સરકારી જમીનની માપણી કરી દેવાઈ હોવાનો દાવો કરાયો હતો. વધારાની જમીન પણ ખોટી રીતે હડપ કરી જવા માપણી કરાવેલી હોવાની રજૂઆત કરી હતી.
DIRLએ કોઈ પ્રકારની માપણી કરી જ નથી
નવો સરવે નંબર ઊભો કરવા ડિસ્ટ્રિક્ટ ઈન્સ્પેક્ટર લેન્ડ રિકોર્ડ (DIRL) પાસે કોઈ જ પ્રકારની માપણી કરાવાઈ નથી. નિયમ મુજબ કલેક્ટરની મંજૂરી લેવાની હોય છે. આ બાબતે DIRLએ જાહેર કર્યું હતું કે, , સરવે નંબર 247 સંદર્ભમાં તમામ રેકોર્ડ ગાંધીનગરના મામલતદારે તૈયાર કર્યા હતા.
બીન નંબર જમીન
જમીન આકારબંધ અને બિનનંબરી હોવાનું માણપી ખાતાએ માપણી પત્રકમાં લખેલું છે.
અદાલતનો હુકમ જુના સરવે નંબર-13, 151, 152 અંગેની બાબત બને છે. તેમાં બીજી જાહેર હેતુવાળી સાર્વજનીક જમીન, જાહેરમાર્ગ, ગામતળ, વાઘા-કોતર વહેણ કે નદીતટવાળી જમીનનો ઉલ્લેખ નથી. તેમ છતાં આવી જમીનોની નિયત હિસ્સા ફોર્મ નં-4માં માણપી કરવામાં આવી છે તે અદાલતના હુકમમાં દર્શાવેલું નથી. આ જમીનો બિનઆકારી અને બિનનંબરી હોવા છતાં જમીનો નવા રિ-સરવે નં-247નું હોવાનું ઉપજાવીને સુધારા હુકમો થયો હોવાનો દાવો થયો હતો.
વાંધા અરજી થઈ હોવા છતાં તેને તકરારી જાહેર કરાઈ ન હતી.
નોંધ પાડી
વડી અદાલતના હુકમ બાદ મામલતદાર દ્વારા નોંધ નં-1511થી હુકમ કરાયો હતો. જેમાં કોટેશ્વરની 564 ગુંઠા જમીન સનદથી 1864માં કોટેશ્વર મહાદેવને અપાઈ હતી. દેવસ્થાન ઈનામી નાબૂદી અધિનિયમ 1969 અમલમાં આવતા જમીન ગામ દફતર થઈ હતી. જેને વડી અદાલતે હુકમ કરતાં રેકર્ડ મુજબ અમલ કરવા હુકમ કરાયો હતો. આ હુકમ પછી નોંધ નં-1513થી સુધારા હુકમ કરાયો હતો. જેમાં સરવે-બ્લોક નં-247 વાળી જમીનમાં યોગ્ય અસર આપી ક્ષેત્રફળ 74251722ની જગ્યાએ 745457 ચો. મી. કરવા તથા જમીનના ઉપયોગમાં કોતરના બદલે ખુલ્લી જમીન લખવા સુધારા હુકમ કરાયો હતો. જેની સામે 25 મે 2021ના રોજ વાંધા અરજી કરાઈ હતી, જેને પરંતુ તેને તકરારી નોંધવામાં આવેલી નથી. જેથી જાહેર હીતમાં નોંધ રદ કરવા માંગણી કરાઈ હતી.
વડી અદાલતનો આદેશ
જૂના સરવે નંબર-13, 151, 152 અંગે પણ અદાલતમાં બીજી અરજી કરાઈ હતી. જુના સરવે નંબર-13,151, 152 અંગે વડી અદાલતે 2018માં મંદિર ટ્રસ્ટ તરફનો હુકમ કર્યો હતો.
1969ના કાયદો
ગુજરાતમાં 1969માં દેવસ્થાન ઈનામ નાબૂદી કાયદો અમલી કર્યો હતો. જેની સામે દેવસ્થાન ટ્રસ્ટોએ વડી અદાલતમાં દાવો કર્યો ત્યારે 1970માં નામંજૂર કરી હતી. 1974માં દેશની સર્વેચ્ચ અદાલતે ઈનામદારો – ટ્રસ્ટોનો દાવો કાઢી નાંખ્યો હતો.
1977માં કાયદામાં સુધારો થતાં ફરીથી વડીઅદાલત અને પછી સર્વોચ્ચ અદાલતમાં દાવો નિકળી ગયો હતો. આથી 2018માં ગુજરાત વડી અદાલતે જે ચૂકાદો આપ્યો છે તે કાયદેસરનો ન હોવાથી આ ચૂકાદો રદ થવાને પાત્ર હોવાનું ગામના લોકો માને છે.
વિવાદ
કોટેશ્વરના ત્રણ સર્વે નંબરોની 221 વીઘા જમીનો વિવાદ થયો હતો. આ જમીન બિન નંબરી, ખરાબાની, ગૌચરની હોવા છતાં ખાનગી ટ્રસ્ટના નામે કરાઈ હતી. બે તબક્કામાં જમીન એક જ ટ્રસ્ટને આપી દેવાઈ હતી. બીજી 314 વીઘા જમીન આપી દેવામાં આવી હતી.
221 વીઘા નદીની, ખરાબાની જમીનો ટ્રસ્ટના ખાનગી ખાતામાં આવી ગયા બાદ કોટેશ્વર મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની દાનત બગડી હતી.
બીજી જમીન પણ આપી
વડીઅદાલતના ઓગષ્ટ 2018માં આવેલા ચૂકાદાનો આધાર લઈને નદી પટની વધુ 314 વીઘા જમીન પણ ટ્રસ્ટના નામ પર ચઢાવી દેવાઈ હતી.
તમામ જમીનો ઘણા વર્ષોથી સરકારી નોંધમાં સરવે નંબર વગરની બિન નંબરી હતી. પોત-ખરાબાની, નદી પટની વહેણની જમીન છે. તેમજ કોતર અને વરસાદી પાણીના વહેણ માટેની જમીન છે. જે ખાડા ટેકરા ધરાવે છે.
મામલતદારે સત્તા બહાર નવો સર્વે નંબર 247 ઊભો કરી દીધો હતો. જેની નોંધ પાડી હતી. નવા સર્વે નંબરમાં 74-54-57 એટલે કે 184 એકર જમીનને ટ્રસ્ટના નામે કરી દેવાઈ હતી.
કૌભાંડમાં કેટલાક અધિકારીઓ ભળી ગયા હતા. રાજકારણી પણ હતા. ગુજરાતના એક વગદાર ઉદ્યોગપતિ તેની પાછળ હતા. બે તબક્કામાં ટ્રસ્ટને જમીન આપી દીધી હતી. કોઈની સૂચનાથી મનઘડંત અહેવાલો અપાયા છે.
અદાલતની આંખમાં ધૂળ નાખીને ભૂમાફિયાઓએ જમીનનુ મોટું કૌભાંડ કર્યું હતું. તમામ પુરાવાઓ છતા સરકારી તંત્ર સદંતર મૌન રહ્યું હતું.
ઉપજાવી કાઢેલા સર્વે નં.247 સામે ગામલોકોએ અપીલ કરી પણ કાર્યવાહી થઈ નથી. લોકોએ આગળ કાર્યવાહી કરી હતી.
નદી કાંઠા વિકાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રિવરફ્રન્ટના ફેઝ-2ના કામમાં જમીન સંપાદનની ગૂંચ ઊભી થવાના કારણે કામમાં વિઘ્ન આવે તેવી શક્યતા છે. રિવરફ્રન્ટને ઇન્દિરા બ્રિજ સુધી લંબાવવા સાબરમતી નદીના બંને છેડે મ્યુનિ. દ્વારા પૂરજોશમાં કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સાબરમતીના કિનારે અને ગાંધીનગરમાં આવતા કોટેશ્વર મહાદેવ મંદિરની માલિકીની જમીનને લઈ વિવાદ શરૂ થયો છે.
રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ શરૂ થવાનું છે તે નદીની જગ્યા છે. આ જગ્યા પર મંદિર ટ્રસ્ટ દ્વારા ખોટો સરવે નંબર ઊભો કરી જમીન પચાવી પાડી હોવાનો આક્ષેપ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના અધ્યક્ષે સરકારને લખેલા પત્રમાં કરવામાં આવ્યો છે.
ઓગસ્ટ 2018માં રિવરફ્રન્ટ ફેઝ-2 માટે ગાંધીનગરના કોટેશ્વર અને ભાટ ગામની આશરે બે લાખ ચોરસ મીટરની જમીનની દરખાસ્ત મુકાય હતી. રિવરફ્રન્ટ ફેઝ-2નું કામ આગળ વધતાં ધ્યાને આવ્યું હતું કે, કોટેશ્વર મંદિરે નદીની જમીન પર ચાલુ વર્ષે નવો સરવે નંબર 247 મેળવ્યો છે. ઉપરાંત સરવે નંબરનો 7/12માં પણ સમાવેશ કરી દેવાયો હતો. SRFDCLના અધ્યક્ષ કેશવ વર્મા પણ પછી મૌન બની ગયા હતા.
હવે અમદાવાદ મહાનગર પાલિકા પોતે આ જમીન નદી કાંઠા વિકાસ માટે ખરીદ કરવી પડે એવી હાલત છે.
કોટેશ્વર મંદિરના સંચાલકો પણ મૌન બની ગયા હતા.
ગાંધીનગર જિલ્લામાં જમીનના ભાવ કરોડો રૂપિયાને આંબી રહયા છે ત્યારે ખેડૂતોની આ મહામુલી જમીન પચાવી પાડવા માટે ભુમાફિયાઓ સક્રિય થયા છે અને બોગસ દસ્તાવેજો બનાવી જમીનમાં વિવાદ ઊભો કરતાં હોય છે.
ગાંધીનગરમાં બેઠેલી સરકાર અને અધિકારીઓ આ તમામ ઘટનાઓ મુકપ્રેક્ષક બનીને જોઈ રહયા છે. ગાંધીનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતોના નામે બોગસ બાનાખત કરી એક ચોકકસ ટોળકી અદાલતમાં દાવા દાખલ કરી રહી છે.