ફસાયેલા કામદારોને ટ્રેન દ્વારા આવનજાવન સંબંધિત પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા તા. 17.05.2020ના રોજ બહાર પાડવામાં આવેલી લૉકડાઉનના માપદંડો અંગેની સુધારેલી માર્ગદર્શિકાના અનુસંધાનમાં ફસાયેલા કામદારોને ટ્રેનો દ્વારા આવનજાવન સંબંધે સુધારેલા પ્રમાણભૂત પરિચાલન પ્રોટોકોલ (SOP) બહાર પાડવામાં આવ્યા છે.

આ SOP દ્વારા ફસાયેલા કામદારો નીચે જણાવ્યા અનુસાર ટ્રેનોમાં મુસાફરી કરી શકશે:

MHA સાથે વિચારવિમર્શ કરીને રેલવે મંત્રાલય (MoR) દ્વારા શ્રમિક વિશેષ ટ્રેનોના આવનજાવનની મંજૂરી આપવામાં આવશે.
તમામ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોએ નોડલ અધિકારીની નિયુક્તિ કરવી જોઇએ અને આવા ફસાયેલા લોકો માટે તેમને ત્યાં લાવવા માટે અને ત્યાં ફસાયેલા લોકોને બહાર જવા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઇએ.
રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને જરૂરિયાત હોય તેના આધારે, ટ્રેનનું શિડ્યૂલ નક્કી કરવામાં આવશે જેમાં વિરામસ્થળો અને અંતિમ ગંતવ્ય સ્થાન અંગેનો નિર્ણય રેલવે મંત્રાલય દ્વારા લેવામાં આવશે. આ બાબતે રેલવે મંત્રાલય દ્વારા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરવામાં આવશે જેથી તેઓ આવા ફસાયેલા લોકોને પ્રાપ્ત કરવા અથવા તેમને મોકલવા માટે યોગ્ય વ્યવસ્થા કરી શકે.
ટ્રેનના શિડ્યૂલ, મુસાફરોને પ્રવેશ અને મુસાફરી સંબંધિત પ્રોટોકોલ, કોચમાં પૂરી પાડવામાં આવનારી સેવાઓ અને ટિકિટોના બુકિંગ માટે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કરવામાં આવતી વ્યવસ્થા અંગેની માહિતીનો પ્રસાર રેલવે મંત્રાલય દ્વારા કરવામાં આવશે.
મુસાફરોને મોકલી રહેલા રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો અને રેલવે મંત્રાલયે સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ મુસાફરોની અનિવાર્યપણે તબીબી તપાસ કરવામાં આવે અને જેમનામાં કોઇ જ લક્ષણો ન જોવા મળે માત્ર તેવા મુસાફરોને જ ટ્રેનમાં બેસવા દેવામાં આવે.
ટ્રેનમાં બેસતી વખતે અને મુસાફરી દરમિયાન તમામ મુસાફરોએ સામાજિક અંતરના નિયમોનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.
ગંતવ્ય સ્થળે પહોંચ્યા પછી, મુસાફરી કરી રહેલા તમામ લોકોએ ગંતવ્ય રાજ્ય/ કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા સૂચિત કરવામાં આવેલા આરોગ્ય પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.