સરકારે જણાવ્યું છે કે, “કોવિડ-19નો ચેપ ફેલાવાનું હવે હળવું થઇ રહ્યું છે અને પરિસ્થિતિ હવે નિયંત્રણ હેઠળ આવી રહી છે.”
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, જેમને ચેપ લાગી રહ્યો છે તેમાંથી અંદાજે 80%ને માત્ર હળવી બીમારીનો અહેસાસ થશે અને 15%ને ઓક્સિજન સપોર્ટની જરૂર પડશે જ્યારે 5% દર્દીઓની સ્થિતિ ગંભીર અથવા જટીલ થશે અને તેમને વેન્ટિલેટરની જરૂર પડશે
આમ, ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર કરતી વખતે વેન્ટિલેટર એ તબીબી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્વપૂર્ણ હિસ્સો છે જે અત્યંત ગંભીર બીમાર દર્દીઓને મહત્વપૂર્ણ શ્વસન સહાય પૂરી પાડે છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને, સરકારે દ્વી-તરફી અભિગમ અપનાવ્યો છે જેમાં ઘરેલું ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવો અને સમગ્ર દુનિયામાં મેડિકલ પૂરવઠા માટે તપાસ કરવી આ બંને વિકલ્પો છે. તદઅનુસાર, 25 એપ્રિલ 2020ના રોજ મંત્રીઓના સમૂહની બેઠકમાં આપવામાં આવેલા અપડેટ્સ અનુસાર, ઘરેલુ ઉત્પાદકો દ્વારા વેન્ટિલેટરના ઉત્પાદનની શરૂઆત કરી દેવામાં આવી છે અને નવ ઉત્પાદકો દ્વારા 59,000થી વધુ યુનિટ્સ તૈયાર કરી દેવામાં આવ્યા છે
આ સંદર્ભે, આનંદની વાત એ છે કે, ભારતના સંશોધનાત્મક અને સર્જનાત્મક જુસ્સાનું કટોકટીની સ્થિતિમાં ઉત્તમ ફળ મળી રહ્યું છે. CSIR સહિત સમગ્ર વૈજ્ઞાનિક સમુદાય અને તેની 30થી વધુ લેબ, ઇન્સ્ટિટ્યુટ જેમકે IIT અને અન્ય ઘણા ખાનગી ક્ષેત્રો તેમજ નાગરિક સોસાયટીઓ વિવિધ ઉકેલો સાથે આગળ આવ્યા છે અને આ મહામારી સામે લડવામાં કોઇને કોઇ પગલામાં દરેકનું યોગદાન રહ્યું છે.
IIT મુંબઈના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ, NIT શ્રીનગર અને ઇસ્લામિક યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (IUST), અવંતીપુરા, પુલવામા, જમ્મુ અને કાશ્મીરની ટીમ સાથે આવો જ એક સમૂહ છે જેઓ વેન્ટિલેટરની જરૂરિયાતની સમસ્યાનો ઉકેલ લઇને આગળ આવ્યા છે. આ ટીમે ઓછા ખર્ચે તેમજ સ્થાનિક સ્તરે ઉપલબ્ધ સામગ્રીમાંથી વેન્ટિલેટર તૈયાર કર્યું છે.
આ વેન્ટિલેટર તૈયાર થયા પછી ટીમે તેને રુહદાર વેન્ટિલેટર નામ આપ્યું છે તેની માહિતી આપવામાં આવી છે. IIT મુંબઈમાં ઇન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન સેન્ટરમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થી ઝુલ્કાર્નૈનની આ પ્રોજેક્ટના વડા છે, તેઓ આ મહામારી દરમિયાન ઇન્સ્ટિટ્યુટ બંધ થતા પોતાના વતન કાશ્મીર ગયા હતા. આસપાસમાં મહામારીના ફેલાવાની પરિસ્થિતિ જાણ્યા પછી તેમને લાગ્યું કે કાશ્મીર ખીણ પ્રદેશમાં માત્ર 97 વેન્ટિલેટર છે જેથી અહીં વધુ વેન્ટિલેટરની જરૂર છે અને વેન્ટિલેટરની અછતની સમસ્યા સંખ્યાબંધ લોકો માટે ચિંતાનું કારણ બની ગઇ છે.
આથી, ઝુલ્કાર્નૈને અવંતીપુરામાં IUSTમાં પોતાના મિત્રો પી.એસ. સોહિબ, આસિફ શાહ અને શાકર નેહવી તેમજ NIT શ્રીનગરમાં મજિદ કૌલને ભેગા કર્યા. IUST ખાતે આવેલા ડિઝાઇન ઇનોવેશન સેન્ટર (DIC)માંથી મદદ લઇને આ ટીમે ઓછા ખર્ચ તૈયાર થતું વેન્ટિલેટર બનાવ્યું છે અને તેના માટે જરૂરી સામગ્રી સ્થાનિક સ્તરે ઉપલબ્ધ થઇ જાય છે. પ્રારંભમાં તેમનો ઉદ્દેશ્ય માત્ર અજમાવીને આગળ વધવાની ડિઝાઇન તૈયાર કરવાનો હતો પરંતુ જેમ જેમ તેઓ કામ કરતા ગયા તેમ વેન્ટિલેટર માટે પોતાની જ અલગ ડિઝાઇન તૈયાર કરી દીધી.
ઝુલ્કાર્નૈને જણાવ્યું હતું કે, “આ પ્રોટોટાઇપ ટીમે અંદાજે રૂ. 10,000માં તૈયાર કર્યું છે અને જો આનુ જથ્થાબંધ ઉત્પાદન કરવામાં આવે તો ખર્ચ હજુ પણ ઓછો થઇ શકે છે.” તેમણે જણાવ્યું કે, હોસ્પિટલોમાં ઉપયોગમાં લેવાતા અદ્યતન વેન્ટિલેટર લાખો રૂપિયાના હોય છે ત્યારે, “રુહદાર કોવિડ-19થી પીડાતા ગંભીર દર્દીઓનો જીવ બચાવવા માટે પૂરતા પ્રમાણમાં શ્વાસ લઇ શકાય તેવી જરૂરી સહાય પૂરી પાડે છે.”
આગામી પગલાં અંગે ચર્ચા કરતા ઝુલ્કાર્નૈને જણાવ્યું હતું કે, “ટીમ હવે આ પ્રોટોટાઇપના તબીબી પરીક્ષણ માટે જશે. એકવાર તેને માન્યતા મળી જાય પછી, તેનું મોટાપાયે ઉત્પાદન શરૂ કરવામાં આવશે. અમારા પ્રયાસો એવા છે કે લઘુ ઉદ્યોગને પણ તેનું ઉત્પાદન કરવામાં અનુકૂળતા રહે. આ ટીમ આના ઉત્પાદન માટે કોઇપણ પ્રકારની રોયલ્ટી ચાર્જ નહી કરે.”
ઝુલ્કાર્નૈને જણાવ્યું હતું કે, ટીમને સૌથી વધુ સંસાધનોની સમસ્યા પડી હતી. ટીમે યુએસએની મેસેચ્યૂસેટ્સ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજીએ તૈયાર કરેલી ડિઝાઇન સહિત અન્ય ઘણી ડિઝાઇનો અજમાવી જોઇ હતી. ટીમે સંસાધનોની મર્યાદિત ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને કરકસરપૂર્ણ ડિઝાઇન તૈયાર કરી છે. તેમણે કહ્યું હતું કે, આ ડિઝાઇન અદ્યતન સોફ્ટવેરથી તૈયાર કરવામાં આવી છે અને ટીમ તેના પરિણામોથી સંતુષ્ટ છે.
IUSTના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને સીમકોર ટેકનોલોજીસના CEO આસિફે જણાવ્યું હતું કે, “અમારો મૂળ વિચાર પરંપરાગત વેન્ટિલેટરના બદલે ઉપયોગમાં લઇ શકાય તેવા ઓછા ખર્ચના વેન્ટિલેટરની ડિઝાઇન તૈયાર કરીને તેને વિકસાવવાનો હતો. અમારી ટીમ મૂળભૂત માપદંડો જેમકે ટાઇટલ વોલ્યૂમ, મિનિટ દીઠ શ્વાસ અને શ્વસન: સમાપ્તિ દર વગેરે પર નિયંત્રણ મેળવી શકી છે અને તેની કામગીરી દરમિયાન સતત દબાણ પર મોનિટરિંગ પણ કરી શકાય છે.”
આ પ્રોજેક્ટના સંકલનકાર IUSTના DIC શાકર અહેમદ નેહવીએ જણાવ્યું હતું કે, જરૂરિયાતના આ સમયમાં સમાજ માટે લાભદાયી યોગદાન આપવાની ઇચ્છા સાથે યુવાનોની આ ટીમ આગળ વધી હતી. તેમણે કહ્યું કે, આ વેન્ટિલેટર એન્જિનિયરિંગના પરિપ્રેક્ષ્યથી કામ કરે છે પરંતુ તબીબી સમુદાય તરફથી તેને માન્યતા મળવી જરૂરી છે.
IUSTના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર ડૉ. મજિદ એચ કૌલે જણાવ્યું હતું કે, DIC ખાતે ઉપલબ્ધ ભાગોનો ઉપયોગ કરીને ઓછા ખર્ચે કરકસરપૂર્ણ વેન્ટિલેટર તૈયાર કરવામાં આવ્યું છે. સેન્ટર પર ઉપલબ્ધ સુવિધાઓ જેમકે 3-D પ્રિન્ટિંગ અને લેસર કટિંગ ટેકનોલોજીએ આ પ્રોટોટાઇપ તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ ભારત સરકારના માનવ સંસાધન અને વિકાસ મંત્રાલયની પહેલ છે.