મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019ની ધારા 96 અંતર્ગત કેન્દ્રીય કાયદાઓ અપનાવવા માટે આદેશ બહાર પાડવાની મંજૂરી આપી
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી 2020
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019માં ધારા 96 હેઠળ કેન્દ્રના કાયદાઓ અપનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આદેશ બહાર પાડવાની મંજૂરી આપી છે.
જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019 અમલમાં આવ્યા પછી, ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્ય 31 ઓક્ટોબર 2019ના રોજ અમલથી જમ્મુ અને કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે.
કેન્દ્રના તમામ કાયદાઓ 31.10.2019 પહેલાં ભૂતપૂર્વ જમ્મુ અને કાશ્મીર રાજ્ય સિવાય સમગ્ર ભારતમાં લાગુ થવા પાત્ર હતા તે હવે કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં તા. 31.10.2019થી લાગુ થવા પાત્ર છે. વધુમાં, સમકાલીન યાદી હેઠળ તૈયાર કરવામાં આવેલા કેન્દ્રના કાયદાને જરૂરી ફેરફારો અને સુધારા સાથે અપનાવવા જરૂરી છે જેથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વહીવટી અસરકારકતા અને સરળ પરિવહન સુનિશ્ચિત કરી શકાય અને તે પ્રમાણે ભારતના બંધારણને અનુરૂપ આ કાયદાઓના અમલ અંગે રહેલી કોઇપણ અસ્પષ્ટતાઓ દૂર થઇ શકે.
જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદો, 2019ની ધારા 96 અનુસાર, અનુગામી કેન્દ્ર શાસિત પ્રદેશના સંબંધમાં નિયુક્તિની તારીખ પહેલાંથી બનાવેલા કોઇપણ કાયદા માટે નિયુક્તિની તારીખથી એક વર્ષ સુધીની મુદત માટે કેન્દ્ર સરકાર જરૂરિયાત અનુસાર અથવા કોઇપણ કાયદાનો અમલ કરવા માટે ઉચિત લાગે તે અનુસાર કાયદો રદ કરીને અથવા તેમાં સુધારો કરીને તેને અપનાવવા માટે સત્તા ધરાવે છે.
તદ્અનુસાર, મંત્રીમંડળે આજે પોતાની બેઠકમાં કેન્દ્ર સરકારને આદેશ બહાર પાડવા સંબંધિત પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્ર સરકારના આવા 37 કાયદા કે જે જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન, 2019 કાયદાની ધારા 96 અંતર્ગત કેન્દ્રને મળેલી સત્તાનો ઉપયોગ કરીને તેને કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં લાગુ થવા પાત્ર કરવામાં આવ્યા છે તે અપનાવવા અને સુધારો કરવા માટે કેન્દ્ર સરકારને આ મંજૂરી આપવામાં આવી છે. ઉપરોક્ત કેન્દ્રીય કાયદા આવા સુધારા સાથે અપનાવવાથી કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં વહીવટીતંત્રની અસરકારકતા સુનિશ્ચિત થશે અને ભારતના બંધારણને અનુરૂપ કાયદાઓના અમલીકરણ માટેની અસ્પષ્ટતાઓ દૂર થશે.
મંત્રીમંડળે જમ્મુ અને કાશ્મીર પુનઃગઠન કાયદાનો આદેશ બહાર પાડવાની મંજૂરી આપી
The Cabinet allowed the order of Jammu and Kashmir Reorganization Act