The Plight of Lakes and Rivers at Pilgrimage Sites in Gujarat गुजरात के तीर्थ स्थलों की झीलों और नदियों की दुर्दशा
નવેમ્બર 2014માં ગુજરાતમાં તળાવો અને યાત્રાધામોની નદીઓની દુર્દશા હોવાનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે જાહેર કર્યું હતું. 2025માં તેની હાલત બહુ સારી નથી.
દ્વારકામાં ગંદા પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નથી એટલે મોટાભાગની ધર્મશાળા અને હોટલ સંચાલકોએ ભૂગર્ભ સોસ ખાડા બનાવ્યા છે જેનું યોગ્ય જતન ન થતાં આવા ખાડા વારંવાર ઉભરાતા રહે છે અને ગંદકી રસ્તા ઉપર વહેતી જોવા મળે છે, જે ઢાળ પ્રમાણે ગોમતીમાં ઠલવાતી રહે છે.તાજેતરમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાત રાજયના વિવિધ વિસ્તારમાં આવેલા 18 તળાવોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં તળાવની આસપાસ સ્વચ્છતાની સાથે પાણીની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવી હતી. આ સર્વેના અનુસંધાને વડોદરાનું સુરસાગર તળાવ સૌથી વધારે પ્રદૂષિત તળાવ તરીકે જાહેર કરવામાં આવેલું હતું. સુરસાગર તળાવના પાણીમાં ટી. ડી. એસ. નું પ્રમાણ પ્રતિ લિટરે ૧૬૪૦ મિ.લી. ગ્રામ, ડીસોલ્વ ઓકિસજનનું પ્રમાણ ૮.૫ મિ.લી. ગ્રામ, બાયો કેમિકલ ઓકિસજનનું પ્રમાણ ૫ મિ.લી. ગ્રામ, સી. ઓ. ટી. નું પ્રમાણ ૧૦ મિ.લી. ગ્રામ હોવાનું સર્વેમાં બહાર આવ્યું હતું. આ સર્વે દરમિયાન વડોદરા શહેરને પીવાના પાણીનો પૂરવઠો પૂરો પાડતા આજવા સરોવરના પાણીની ગુણવત્તા શ્રેષ્ઠ હોવાનું જાણવા મળ્યું હતું. જે તળાવોનો સર્વે કરવામાં આવેલો હતો તેના નામોની યાદી આ પ્રમાણે છે:
૧. સુરસાગર તળાવ-વડોદરા
૨. આજવા તળાવ-વડોદરા
૩. ધોબી તળાવ-ડભોઇ(વડોદરા)
૪. કાંકરીયા તળાવ-અમદાવાદ
૫. ચંદોળા તળાવ-અમદાવાદ
૬. નળ સરોવર-અમદાવાદ
૭. રણમલ તળાવ-જામનગર
૮. નરસિંહ મહેતા તળાવ-જુનાગઢ
૯. ઉમાડવા તળાવ-રાજકોટ
૧૦. ખોડીયાર તળાવ-ભાવનગર
૧૧. સાપુતારા તળાવ-સાપુતારા
૧૨. ઉમરવાડા તળાવ-ભરૂચ
૧૩. મુનસર તળાવ-વિરમગામ
૧૪. થ્રોલ તળાવ-કડી
૧૫. બિંદુ તળાવ- સિદ્ઘપુર
૧૬. વેરાઇ માતા તળાવ-આણંદ
૧૭. પાદરા તળાવ-પાદરા
૧૮. ગોમતી તળાવ-ડાકોર
ઉપરોકત તળાવોના પાણી ગુણવત્તા બાબતે સરકાર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો જયારે બીજી તરફ ગ્લોબલ ગુજરાત ન્યુઝની ટીમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતના પવિત્ર યાત્રાધામો પાસે વહેતી નદીઓનો સર્વે કરી તેનો એક અહેવાલ બનાવવામાં આવ્યો હતો. આ અહેવાલ એ. ઇકબાલ-જામનગર, રાકેશ પંચાલ-ખેડા અને દેવાંગ ભોજાણી-રાજકોટએ તૈયાર કર્યો છે જે અહી પ્રસ્તુત છે:મોક્ષપુરી દ્વારકામાં દર વર્ષે લાખો શ્રદ્ઘાળુંઓ ભગવાન શ્રી કૃષ્ણને શીશ ઝુકાવવા સાથે ગોમતી નદીમાં સ્નાન કરીને પાપ ધોઇ પુણ્ય ભાથું બાંધે છે.
બહારથી આવતાં લોકોથી તો ઠીક પણ દ્વારકાના નગરવાસીઓ પૈકી કેટલાક શ્રદ્ઘાળુંઓ ગોમતીમાં સ્નાન કરે છે. જયારે તેમને ગોમતીમાં આવતી ગંદકી વિશે જાણ થાય છે ત્યારે તેઓ અંદરથી હચમચી જાય છે. એ લોકો તંત્રમાં ફરિયાદ કરે છે પણ તેનું કોઇ ચોક્કસ પરિણામ આવતું નથી.
ખેડા જિલ્લામાં આવેલા જગવિખ્યાત યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં પદયાત્રિકો આવે છે. આ પદયાત્રિકો અને યાત્રાળુઓની સલામતિ તથા સુખાકારી માટે વહીવટી તંત્ર તરફથી સારા આયોજનની વાતો કરવામાં આવે છે પણ હકીકત એ છે કે ડાકોરનું ગામતી તળાવ ગંદકીથી ઉભરાઇ રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં ગોંડલ પાસેની ગોંડલી નદીનું પાણી પણ બેઠા પુલ પાસે પ્રદૂષિત થઇને લાલ રંગનું બની ગયું છે. ગંદકીને કારણે આસપાસ મચ્છરોનો ત્રાસ વધી રહ્યો છે જેને કારણે ભગવતીપરાના રહેવાશીઓ પરેશાન થઇ ગયા છે. પાણી કયા કારણોસર લાલ રંગનું બની ગયું છે તે અંગે તપાસ થવી યોગ્ય ગણાશે.