અમપામાં નિષ્ફળ વિજય નહેરા હોમ કવોરેન્ટાઇન, શું રંધાયું ?

Vijay Nehra Home Quarantine, failed in AMC, what cooked?

અમદાવાદ, 6 મે 2020

અમદાવાદમાં કોરોનાની સ્થિતી સુધરવાના બદલે વધારે વકરી રહી છે. સ્થિતીને કાબુમાં લેવા માટે સરકારે અધિકારીઓની બેઠક બોલાવી હતી અને અમદાવાદને લગતાં આકરાં નિર્ણયો લીધા હતા. જે રીતે નેહરા હોમકોરેન્ટાઈન થયા છે તે જોતા અંદર કંઈક રંધાયું છે અને તેઓ એકાએક બે અઠવાડિયા માટે ઘરે રહેશે. સરકારે તેમનો ચાર્જ સોંપવાના બદલે બીજા અનેક લોકોને જવાબદારી સોંપી છે. તે જોતા વિજયનો પરાજય દેખાય રહ્યો છે.

અમદાવાદ મ્યુનિસીપલ કમિશનર વિજય નહેરાએ તેઓ કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટાઇન થવાનો તેમણે નિર્ણય કર્યો છે, તેની જાણ રાજ્ય સરકારને કરી હતી.

રાજ્ય સરકારે અમદાવાદ મહાનગરમાં કોરોના વાયરસ- કોવિડ-19ની પ્રવર્તમાન સંક્રમણની સ્થિતીની સંવેદના પારખીને અગ્રતાના ધોરણે અગત્યના નિર્ણયો કર્યા છે.

વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ. મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે. તેઓ અગાઉ અમદાવાદ શહેરના મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ બજાવી ચૂકયા છે.
અમદાવાદમાં કોરોના વાયરસના વ્યાપને નિયંત્રણમાં રાખવા માટે સર્વેલન્સ, ટેસ્ટીંગ અને ટ્રીટમેન્ટ તથા મોનિટરીંગ અને સુપરવિઝનની કામગીરી સઘન અને વધુ સુવ્યવસ્થિત બનાવવા ડૉ. રાજીવકુમાર ગુપ્તાને વિશેષ અધિકારી તરીકે નિમણૂંક આપવાનો આદેશ કર્યો છે.

કોવિડ-19ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક કરી છે. તેઓ અગાઉ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં અગ્ર સચિવ તરીકે સેવાઓ આપી ચૂકયા છે.

મુખ્ય સચિવ અનિલ મુકિમે અમદાવાદ શહેરની કોરોના વાયરસ સંક્રમણની છેલ્લામાં છેલ્લી સ્થિતીનો ઝોન વાઇઝ તાગ મેળવવા મંગળવારે મોડી સાંજે અમદાવાદમાં સાબરમતિ રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કંપનીની કચેરીમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને નવનિયુકત વિશેષ અધિકારી ડૉ. રાજીવકુમાર ગુપ્તા અને મ્યુનિસીપલ કમિશનર  મુકેશકુમાર સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં બધા જ નાયબ મ્યુનિસીપલ કમિશનરો પણ વિડીયો કોન્ફરન્સથી જોડાયા હતા અને કોરોનાની સ્થિતીની સમીક્ષા અને આગામી રણનીતિ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું.