ગુજરાત યુનિવર્સિટીના ૫૨૫૧૪ વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત

ગુજરાત યુનિવર્સિટીના ૬૭માં વાર્ષિક પદવીદાન સમારોહ યોજાયો હતો. ગુજરાત યુનિવર્સિટી લાંબો, પુરાતન અને યશસ્વી ઇતિહાસ ધરાવે છે. અહીંથી પદવી મેળવેલ વિદ્યાર્થીઓએ સમાજમાં એક ઉંચી શાખ ઉભી કરી છે.

ઝાયડસ કેડીલાના પંકજભાઇ પટેલે આ અવસરે જણાવ્યું કે, સ્વપ્ન તો બધા જોતા હોય છે પણ સફળ એ લોકો થતા હોય છે કે જે આ સ્વપ્નને સફળતાપૂર્વક અમલમાં મૂકે છે. આજ પછીની તમારી સફર એકલાની બની રહેશે. અત્યાર સુધી તમને યુનિવર્સિટીનું માર્ગદર્શન હતું. આથી અહીંથી નિકળ્યા બાદ પણ તમારો સંપર્ક યુનિવર્સિટી સાથે બનાવી રાખજો.
મિત્રો સાથે જોડાયેલા રહેજો જે તમને મુશ્કેલીના સમયમાં મદદ કરશે. બદલાવ નિરંતર છે, ટેક્નોલોજી સતત બદલાઇ રહી છે ત્યારે બીજાથી  અલગ વિચારી અને સતત નવા વિચાર- નવા સંશોધનથી જ ફેરફાર લાવી શકાશે.
તેમણે આસપાસના લોકો, સહયોગીઓ સાથે ટીમ વર્ક થી કામ કરવા સાથે તેમનું સન્માન જાળવવા સાથે લોકો પર વિશ્વાસ પણ જાળવવો પડશે તો જ તમારો સફળતાનો માર્ગ આસાન થશે.
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. હિમાંશુ પંડ્યાએ કહ્યું કે, ૫૨,૫૧૪ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત સમાજજીવનમાં મહત્વપૂર્ણ પ્રદાન કરનાર ૭ મહાનુભાવોને ડી.લીટ. ની માનદ પદવી એનાયત
કરવામાં આવી હતી.