પાલિકા પ્રમુખનું ફરમાન, અધિકારી કર્મીઓ ખંતથી કામ કરો નહીં તો શિક્ષાત્મક પગલા લેવાશે

મહેસાણા, તા.20

મહેસાણા પાલિકાના પ્રમુખ ઘનશ્યામ સોલંકી દ્વારા ગુરુવારે પાલિકાની ચાર શાખાના કર્મચારીઓને કામગીરી ખંતથી કરો અન્યથા બેદરકારીભરી કામગીરી બદલ શિક્ષાત્મક પગલા લેવાનો કડક આદેશ કરાતાં હડકંપ મચી ગયો છે. શહેરમાં પ્રજાના કામો પ્રત્યે સભાન,સજાગ રહી સુચારૂ અમલવારી થાય તે હેતુથી આદેશ કરાયો હોવાનું સત્તાધીશો જણાવી રહ્યા છે. ત્યારે શિથીલ કામગીરી વેગવંતી બનવાની આશા બંધાઇ છે.

બીજી તરફ નગરપાલિકામાં દરવર્ષે શહેરીજનોમાંથી મિલ્કતવેરા સામે માર્ચ સુધીની વાંધા અરજીઓમાં સ્થળ ચકાસણી કરીને 31 જુલાઇ સુધી કારોબારી સમિતિની બેઠકમાં સુનાવણી કરી નિકાલ કરાય છે. ચાલુ વર્ષે કારોબારીના અસ્તિત્વ વગર 340 લોકોના વેરા સામે આવેલા વાંધાની સુનાવણી અધ્ધરતાલ રહી છે. કમીટીઓની રચના ન થતાં અત્યાર સુધી ટી.પીમાં 204 બાંધકામ પરવાનગીની ફાઇલો પેન્ડીગ છે.જોકે ટી.પીમાં શહેરીજનો માટે બાંધકામ પરવાનગીનો ઓનલાઇન વિકલ્પ ખુલ્લો છે. પાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઇ સોલંકીએ કહ્યુ કે,દરેકને પોતાની જવાબદારીનું ભાન થવુ જોઇએ.દાખલા તરીકે હેલ્મેટનો કાયદો પહેલા પણ હતો,જેમ સરકાર કાયદાનું ભાન કરાવે છે એમ શહેરમાં પ્રજાના કામો પ્રત્યે સજાગ બનીસભાનતાથી અમલવારી થાય તે માટે પ્રજાહિતમાં આદેશ કર્યો છે.ગાયો,ખાડા વગેરે ફરિયાદો આવે છે,કામગીરી શુષ્ક હોઇ આદેશ કર્યો છે.

શહેરમાં પ્રજાના વેરા સામેના વાંધા પાલિકામાં કારોબારી કમીટી વગર સુનાવણી ન થતા પેન્ડીગ પડ્યા છે, ટી.પીમાં બાંધકામની પેન્ડીગ ફાઇલોમાં લોન માટે લોકોને મુશ્કેલી પડે છે.કોંગ્રેસશાસનમાં કમિટીઓ અસ્તિત્વમાં ન હોવાથી વહીવટ ખાડે ગયો છે, તેને ઢાંકવા માટે દોષનો ટોપલો કર્મચારીઓના માથે થોપાઇ રહ્યો છે.ચીફઓફસરની પણ જવાબદારી આવે છે તેવા આક્ષેપો વિપક્ષ ભાજપના કોર્પોરેટર કૌશિકભાઇ વ્યાસે કર્યા હતા.