ગાંધીનગર લોકસભા વિસ્તારમાં આંગળીઓ પર સહી લગાડી દેવામાં આવી હોવાની ફરિયાદ કોંગ્રેસ પક્ષના ઉમેદવાર ડૉ.સી.જે.ચાવડાએ પણ ચૂંટણીપંચને કરી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને લેખિતમાં ગંભીર બાબત અંગે કરેલી ફરિયાદમાં મતદારોને તાત્કાલિક ન્યાય આપવાની માંગ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ કરી છે.
ગરીબ-સામાન્ય અને લઘુમતિ મતદારોને અનેક જગ્યાએ મતદાર સ્લીપો ચૂંટણી પંચ દ્વારા પહોંચાડવામાં આવી નથી. જે ઘણી જ ગંભીર બાબત છે. બપોરના 2 કલાકે ફરિયાદ કરી ત્યાં સુધી અનેક વિસ્તારોમાં મતદાર સ્લીપ મળી નથી. ગરીબ અને શ્રમિક વિસ્તારોમાં મતદારો પાસેથી વોટર આઈડી કાર્ડ ગેરકાયદેસર રીતે જપ્ત કરવામાં આવી રહ્યા છે. જેથી કરીને તેઓ મતદાનથી વંચિત રહે તેવી અનેક ફરિયાદો અગાઉની ચૂંટણીમાં અને હાલ લોકસભાના વિવિધ વિસ્તારોમાંથી મળી રહી છે. મતદાન પહેલા મતદાન કર્યું હોવાની શાહી આંગળી પર આગલા દિવસે લગાડી દેવાથી ચોક્કસ હિત ધરાવતાં લોકો ગરીબ અને શ્રમિકોને મતદાનથી વંચિત રાખવા જે તે વિસ્તારમાં કાર્યરત થયા છે. આવી પ્રવૃત્તિ કરતા તત્વો સામે તાત્કાલિક પગલાં લેવા કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરવામાં આવી છે.
વેજલપુર, જુહાપુરા, મકતમપુર, મકરબા વિસ્તારની અનેક સોસાયટી તથા વટવા સહિતના વિસ્તારોમાં પણ મતદાર સ્લીપ મળી નથી. મતદારોએ ચૂંટણી પંચમાં વારંવાર વ્યક્તિગત રીતે પણ રજૂઆત કરી હોવા છતાં કોઈ નક્કર જવાબ મળ્યો નથી. મતદાર સ્લીપ સમયસર મતદારો સુધી પહોંચે તે જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે.