ઇડર, તા.૧૭
ઇડર પાલિકામાં ભ્રષ્ટ અને અંધેર વહીવટ ચાલતો હોવાની આક્ષેપવાળી પૂર્વ પાલિકા પ્રમુખના નામજોગ પત્રિકાઓ દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતાં ખળભળાટ મચી ગયો છે. જોકે પાલિકા દ્વારા આક્ષેપો પાયા વિહોણા હોવાનુ કરી નકારાઇ રહ્યું છે. ઇડર પાલિકાના પૂર્વ પ્રમુખ ડૉ. હરીશ એ. ગુર્જરે મુખ્યમંત્રીને લખેલા ખુલ્લા૫ત્રની પત્રિકાઓનુ ઇડરમાં દુકાને દુકાને ફરીને વિતરણ કરવામાં આવતા શહેરમાં ખળભળાટ મચી ગયો હતો. પત્રિકામાં આક્ષેપ કરવામાં આવ્યા છે કે, શહેરમાં શૌચાલય બનાવાયા છે તેમાં કોઇકમાં બારણા નથી તો કોઇકમાં ટાંકી નથી ઘણા બન્યા જ નથી અને પૈસાની ચૂકવણી થઇ ગઇ છે.
રૂ. 60 લાખનો ખર્ચ કરી પીવાના પાણીની લાઇનો નખાઇ હતી. પરંતુ સ્વચ્છ પાણી મળ્યુ નથી. ઘર વિહોણા લોકો માટે બનતા આવાસમાં પ્લોટ કોઇનો અને મકાન કોઇનુ કામ પુરૂ થાય ત્યાં સુધીમાં લાભાર્થીઓને મોટી રકમ ચૂકવણી પડે છે. ખુલ્લા ભોગવટાના પ્લોટ કાયમ કરી આપવાનુ કૌભાંડ ચાલી રહ્યુ છે. મહિલા સદસ્યોના પતિ અને સંતાનો પાલિકા કચેરી ખુલતાં જ આવી જાય છે અને દરેક કામમાં દખલ કરે છે સીસીટીવી ફૂટેજ ચેક કરી આ બાબત ચકાસી શકાય છે. અસામાજીક તત્વો દબાણો કરાવી ભાડા વસૂલ કરે છે. ચીફ ઓફિસરની બદલી થાય છે અને થોડા વખતમાં પાછા આવી જાય છે તેનુ રહસ્ય ઇડરવાસીઓને સમજાતુ નથી.
ડૉ. હરીશ ગુર્જરે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યુ કે મુખ્યમંત્રીને ઇમેલ પણ કર્યો છે અને પત્ર પણ ટપાલથી મોકલ્યો છે પરંતુ ઇડરના નગરજનો શહેરના વિકાસ માટે અને અંધેર વહીવટ સામે અવાજ ઉઠાવે તે માટે પત્રિકા બનાવી વિતરણ કર્યું છે.
પાલિકા, પ્રમુખ ઇડર ડૉ. જશવંતકુમાર એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે, પત્રિકાનું વિતરણ કરનાર પોતે પૂર્વ પ્રમુખ છે અને સિસ્ટમથી પરીચિત છે. ક્યાંક ત્રુટી હોય તો તેમણે પાલિકામાં આવી ધ્યાન દોરવુ જોઇએ બાકી, પત્રિકા તેમનો અંગત અભિપ્રાય છે. ગેરરીતીના પૂરાવા રજૂ થશે તો દોષિતોને છોડવામાં નહી આવે સ્વાભાવિક છે.