એસ.ટી. કર્મચારીઓ તથા પ્રાથમિક શિક્ષકોના સાથે વાત કરવા પ્રધાનોની સમિતિ

એસ.ટી. – ગુજરાત વાહનવ્યવહાર નિગમના બસ ડ્રાઈવરો અને કંડક્ટરોની હડતાલ પૂરી કરવા માટે મુખ્ય પ્રધાને અપીલ કર્યા બાદ સરકારી કર્મચારીઓએ અપીલ માની ન હોવાથી હવે વિજયભાઈ રૂપાણીએ રાજ્યમાં એસ. ટી. કર્મચારીઓ અને પ્રાથમિક શિક્ષકોના હાલ ચાલી રહેલા આંદોલન અને હડતાળ અંગે તેમના પ્રશ્નોની ચર્ચા વિચારણા માટે 3 પ્રધાનોની સમિતિની રચના કરી છે. જેમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, કૃષિ મંત્રી આર. સી. ફળદુ અને શિક્ષણ મંત્રી ભુપેન્દ્ર ચુડાસમા છે. આંદોલનકારી કર્મચારીઓ સાથે વાતચીત અને વાટાઘાટો કરશે. તેથી મુખ્ય પ્રધાને ફરી અપીલ કરી હતી કે આંદોલન પાછું ખેંચે.

21 ફેબ્રુઆરી 2019ની રાતના 12 વાગ્યાથી વાહન વ્યવહાર નિગમના 45 હજાર કર્મચારીઓની હડતાલ શરૂ થઈ હતી. 7 હજાર એસ.ટી. બસ બંધ રહી હતી. તેથી 25 લાખ મુસાફરોને સીધી અસર થઈ હતી.

તેઓની માંગણી છે કે, 7મું પગારપંચ આપવામાં આવે. મુખ્ય પ્રધાને સ્પષ્ટ કહી દીધું હતું કે 7માં પગાર પંચનો લાભ આપવામાં નહીં આવે.

તેથી કર્મચારીઓએ રાજ્યભરમાં વિજય રૂપાણી હાયહાયના નારા લગાવ્યા હતા. બે દિવસના ધરણાં-સૂત્રોચ્ચાર બાદ એસ.ટી. કર્મચારીઓ માસ સી.એલ. પર ઉતરી ગયા હતા.

હડતાલ તોડી પાડવા નોટિસ

હડતાલને તોડી પાડવા સામ-દામ, દંડ-ભેદની નીતિ સરકારે અપનાવી છે. રાજ્યના કુલ 2508 ફિક્સ પગારદારોને હડતાલથી અળગા રહેવા અને ફરજપર હાજર થઈ જવા ફરમાન જારી કર્યું હતું. ફરજપર હાજર થવા માટેની નોટિસ પાઠવવામાં આવી હતી.

ખાનગી સંચાલકો મારફત સંચાલન કરવા માટે નિર્ણય કરાયો છે. આ નિર્ણયને એસ.ટી. કર્મચારીઓએ સખત વિરોધ દર્શાવી આક્રોશ ઠાલવ્યો હતો. રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને ખાનગી બસ સંચાલકો સાથે બેઠક કરી હતી.