ગાંધીનગર, તા.૧૬
કેન્દ્ર સરકારે પશુધનની વસતી ગણતરીના બહાર પાડેલા આંકડામાં ગુજરાત એક એવું રાજ્ય છે કે, જ્યાં પશુધનમાં ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં છેલ્લા સાત વર્ષમાં 0.95 ટકા પશુઓની ઘટ વર્તાઇ છે, જ્યારે દેશના બીજા રાજ્યો જેવાં કે મધ્યપ્રદેશમાં 11.81 ટકા, પશ્ચિમ બંગાળમાં 23.32 ટકા, બિહારમાં 10.67 ટકા તેમજ આંધ્રપ્રદેશમાં 15.79 ટકા પશુધન વધ્યું છે.
લાઇવસ્ટોક પોપ્યુલેશનના 2012ના આંકડા પ્રમાણે ગુજરાતમાં 27.1 મિલિયન પશુધન હતું, જેની સામે 2019માં ધટીને 26.9 મિલિયન થયું છે. પશુધન ઘટાડાના અનેક કારણો છે, પરંતુ સરકાર તરફથી હજી સુધી કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
ભારતમાં થયેલી પશુધનની વસતી ગણતરી પ્રમાણે 2012માં 512.06 મિલિયન પશુધન હતું જે વધીને 535.78 મિલિયન થયું છે. ગાયો અને ગૌવંશની વસતી વધીને 192.49 મિલિયન થઇ છે. જ્યારે ભેંસની વસતી વધીને 109.85 મિલિયન થઇ છે. આખા દેશમાં પશુધનની વસતીમાં 4.63 ટકાનો વધારો થયો છે, જો કે ગઘેડાં અને ઉંટની સંખ્યામાં અનુક્રમે 61.23 ટકા અને 37.05 ટકાનો ઘટાડો નોંધાયો છે. સમગ્ર ગણતરીમાં મુજબ એક મિલિયન એટલે દસ લાખની વસતી થાય.
સમગ્ર ભારતમાં ટકાવારીની દ્રષ્ટીએ જોઇએ તો સૌથી મોટો 35.94 ટકાનો ફાળો ગૌવંશનો છે. બીજાક્રમે 27.80 ટકા સાથે ઘેટાં અને 20.45 ટકા સાથે ભેંસ આવે છે. ઘેટાંની ટકાવારી 13.87 ટકા છે.